Sunday, 29 April 2012

આધ્યાત્મિકતા પોતાની જાત સાથે એક મુલાકાત છે!!

નૉર્વે, ૨૯ એપ્રિલ ૨૦૧૨

હું એક વસ્તુ તમને કહેવા માંગુ છુ, પોતાની જાતને બધો સમય માપ્યા ન કરશો.

આપણી આ ટેવ હોય છે, આપણે આપણી જાતને આંક્યા કરીએ અથવા આપણે અન્ય ને આંક્યા કરીએ છે.

ક્યાં તો તમે તમારી જાતને દોષ આપ્યા કરો, અથવા તમે બીજા કોઈને દોષ આપ્યા કરો. કાં તો તમે માનો કે તમે સાચા નથી, અથવા તમે માનો કે અન્ય ઠીક નથી. તમે જાગો અને અભિપ્રાય બાંધવાનું બંધ કરો.

પોતાની જાત પ્રત્યે એટલા સખ્ત ન બનો. તમે બની રહેલી અદ્ભુત ઘટનાઓનો જ એક ભાગ છો. જેમ વૃક્ષો છે, નદીઓ છે, પક્ષીઓ છે; તેમ તમે પણ અહીં છો. કેટલા બધા પક્ષીઓ જન્મે છે, અને કેટલા બધા પક્ષીઓ મૃત્યુ પામે છે, ખરુ કે નહીં? ઘણા બધા વૃક્ષો ઉગે છે અને નાશ પામે છે. એ જ રીતે, ઘણા બધા લોકો, ઘણા શરીરો આવે છે અને તે બધા અદૃશ્ય થઈ જશે. અને પછી નવા લોકો આવશે અને તેઓ નષ્ટ થઇ જશે.

આ ગ્રહ અબજો વર્ષો થી છે. તમારું જીવન એક વિશાળ સંદર્ભમાં જુઓ તો પછી તમે તમારી જાતને દોષ આપવાનું બંધ કરશો. આધ્યાત્મિક માર્ગનો પ્રથમ નિયમ છે - જાતને દોષી ઠરાવવાનું બંધ કરો, કારણ કે તમે જેમને દોષી ઠરાવો છો, તમને તેમની સાથે રહેવાનું ગમે છે? શું તમે જેની સાથે નાખુશ છો તેમની સાથે રહેવા માંગો છો? ના! તેથી, જો તમે તમારી જાતને દોષી ઠરાવો, તો તમે તમારી જાતની સાથે ન રહી શકો.

આધ્યાત્મિકતા જાત સાથેની એક મુલાકાત છે.

જો તમે તમારી જાતને દોષી માન્યા કરશો, તો તમે તમારી જાતની સાથે મુલાકાત ક્યારેય રાખી નહીં શકો. તેથી આધ્યાત્મિક પથ પર પ્રવાસ કરવા માટે પ્રથમ નિયમ છે જાતને દોષ આપવાનું બંધ કરો.

હવે, એવું ન કહેતા, 'ઓહ! તો એનો અર્થ એ કે હવે હું અન્ય પર દોષારોપણ કરી શકું.' ના! દર વખતે જ્યારે તમે કોઈકને દોષ આપો છો, જ્યારે તમે તે કારણને વ્યાપક પરિપ્રેક્ષ્ય માં જોશો, તો તમને થશે કે તે ખોટું અને નિરર્થક હતુ. હવે, જ્યારે તમે જાણશો કે તમારો અભિપ્રાય ખોટો હતો, તો પછી તમે ખૂબ જ ઝડપથી તમારી જાતને દોષ આપવાનું શરૂ કરી દો છો. તેથી, હું અન્ય ને દોષ ન આપો એટલા માટે કહું છુ કારણ કે જો તમે અન્ય લોકોને દોષ આપશો, તો તે ફરીને તમારી પર આવશે. માટે તમારે કોઇને પણ દોષ ન આપવો જોઇએ.

આ ૫૬ વર્ષોમાં મેં એક પણ ખરાબ શબ્દ કોઇને નથી કહ્યો. સૌથી ખરાબ શબ્દ મારા મોમાંથી નીકળ્યો છે 'અરે મૂર્ખ.' કેટલીકવાર, જ્યારે હું ગુસ્સે થાઉ ત્યારે મેં કહ્યું છે, 'અરે મૂર્ખ', આ કરતાં વધુ કશું નહીં. મેં ક્યારેય કોઈને દોષ આપ્યો નથી કે કોઇ ને ખરાબ શબ્દો ક્યારેય કીધા નથી. તે મારા મોમાં થી બહાર આવ્યા જ નથી. મેં તેના માટે કાંઇ કર્યું નથી; તે કુદરતી રીતે શરૂઆતથી જ તેવું હતું. મેં ક્યારેય દુર્વ્યવહાર કર્યો નથી, શબ્દો થી કે બીજી કોઇ પણ રીતે.

જ્યારે તમે આ તરફ ધ્યાન આપો છો, જ્યારે તમે ખરાબ શબ્દોનો ઉપયોગ બંધ કરો છો, તમારા શબ્દો માં આશિર્વાદ આપવાની શક્તિ આવે છે. અને તમારા આશીર્વાદ કામ કરશે. શું તમે સમજો છો હું શું કહુ છું?

તેથી, તમારી જાતને અને બીજાને દોષ આપવાનું બંધ કરો. પરિસ્થિતિઓ જેવી છે તેવી જ છે, બસ આગળ વધો.

ક્યારેક લોકો કહે છે, 'ઓહ! આ વ્યક્તિ ઢોંગી છે. તે સાચી નથી' પરંતુ અસલી અને નકલી શું છે તેનો ફરક જાણવા એક માપદંડ હોવો જોઇએ. ઘણી વખત, તમારી પાસે કોઈકને પારખવાનો માપદંડ નથી હોતો, પણ તમે ખાલી કોઈકને દોષ આપો છો, 'ઓહ! તે એક ઢોંગી છે.' થઇ ગયું. આજકાલ સમાજમાં એક અચેત વલણ બની ગયું છે અન્યને દોષ આપવો, અને પોતાને દોષ આપવો અને પછી તે વિશે ગુનાની ભાવના અનુભવવી. અને આધ્યાત્મિક પ્રવાસ એટલે આ દૂર કરવું અને તેનાથી વિરુદ્ધ કરવું. આ એક નાજુક બાબત છે. તેનો અર્થ એ નથી કે તમે બધી ભૂલો કરો તેને વાજબી ઠરાવો. જ્યારે તમે ભૂલ કરો તો તમે કહેશો, 'ઓહ હું આધ્યાત્મિક માર્ગ પર છું, હું મારી ભૂલ સ્વીકારી નથી શકતો અને હું મારી જાતને દોષી નથી માની શકતો. તેથી મેં જે કર્યું તે ઠીક હતુ.' ના! તે અત્યંત નાજુક સંતુલન છે - તમારી ભૂલને વાજબી નહીં ઠરાવવાનું, પણ તમારી ભૂલને ઓળખવાનું અને તે જ સમયે, જાતને દોષી નહીં ઠરાવવાનું. જો તમે તમારી ભૂલો સ્વીકારશો નહિં અને તમારી ભૂલો ઓળખશો નહીં તો તમે ક્યારેય પ્રગતિ નહીં કરો. સીધીસટ વાત છે. એ જ સમયે, જો તમે તમારી ભૂલ ઓળખીને ગુનાહિત ભાવના અનુભવશો અને તમારી જાતને દોષ આપ્યા કરશો, તો પછી પણ, તે નકામું છે. તેથી, તમારે આ ખૂબ નાજુક સંતુલન જાળવવાની જરૂર છે. તલવારની ધાર પર ચાલો, ન આ બાજુ કે ન પેલી બાજુ.

પ્ર: જો આપણે નગણ્ય હોઇએ, તો શા માટે અહિં આ કોર્સ ખાતે આપણે આપણી જાત પાછળ ખૂબ નાણાં, સમય, અને ઉર્જા વાપરી રહ્યા છીએ? જો આપણું કશું મહત્વ ન હોય તો આપણે આ આધ્યાત્મિક અને એવું બધું શા માટે બનવું જોઇએ? અને બીજા બધા પણ તુચ્છ હોય તો આપણે સારા બનીને કોને મદદ કરીએ  છે!

શ્રી શ્રી રવિ શંકર: શું તમને આ પ્રશ્ન માટે જવાબ ની જરૂર છે? તેનું પણ કશું મહત્વ નથી! તમને આ પ્રશ્ન થી શા માટે હેરાનગતિ થાય છે? શું ફર્ક પડે છે!

સાંભળો; અસ્તિત્વના ઘણા સ્તરો છે, પરંતુ જ્ઞાનના બે સ્તરો છે. એક શુધ્ધ જ્ઞાન હોય, અને બીજું વ્યવહારિક જ્ઞાન છે. શુદ્ધ વિજ્ઞાન અને વ્યવહારિક વિજ્ઞાન (એપ્લાઇડ સાયન્સ).

શુદ્ધ વિજ્ઞાન શું છે? આ રૂમ માં, બધું લાકડાનું બનેલુ છે. આ સોફા લાકડું છે, ટેબલ લાકડું છે, અને બારણું લાકડું છે. તેથી આ બધુ લાકડું છે. બધું જ અણુઓ છે, વધુ ચોક્સાઇ પૂર્વક કહીએ તો! તે શું છે? બધું જ અણુઓ છે!

તેથી, બધું લાકડાનું બનેલું છે, અથવા બધું અણુઓ છે - આ શુદ્ધ વિજ્ઞાન છે.

પરંતુ બધું અણુઓનું બનેલું હોવા છતા તમે સોફા ને બારણા તરીકે કે દરવાજાને સોફા તરીકે નહિં વાપરી શકો. તમે સમજો છો?

જુઓ, હીરો અને કોલસો, બન્ને એક જ પદાર્થ ના બનેલા છે. તે લગભગ એક જ છે. પરંતુ, તમે કોલસાને તમારા કાન પર લટકાવી ન શકો, અને તમે હીરા ને ચુલામાં ન નાખી શકો, સાચી વાત?

તેથી, તેઓ બીજા સ્તર પર અલગ અલગ છે. તે તો એના જેવું કે બરફ અને પાણી એક જ છે, તે ફક્ત H2O છે. પરંતુ તમે ચા પાણીમાંથી બનાવી શકો છો. તમે બરફ ની ચા નથી બનાવી શકતા. બરફ પાણી બને, માત્ર પછી તમે ચા બનાવી શકો છો. બરાબર? તેથી તે વ્યવહારિક જ્ઞાન છે.

તેથી, શુદ્ધ જ્ઞાનમાં કહ્યું છે કે તમે નગણ્ય છો. શા માટે? તે છે, કારણ કે અચાનક તમે બ્રહ્માંડ ના સંદર્ભમાં તમારું જીવન જુઓ છો. તેનો અર્થ એ નથી કે તમારે ન ખાવું જોઇએ. જો તમે તુચ્છ હો, તો પછી શા માટે અસ્તિત્વ ધરાવો છો? શા માટે ખાઓ છો? શા માટે ઊંઘો છો? શા માટે કશું પણ કરો છો?

બરાબર? તમારે તે બધું કરવાની જરૂર છે, અને તેથી તમારે કોર્સ પણ કરવાની જરૂર છે. સમજાઇ ગયું?

અહીં આવવાથી શું થાય છે? મન ઉત્સાહિત થાય છે, શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને તમારામાં જ્ઞાન પ્રવેશે છે. તેથી ઘણી વસ્તુઓ થાય છે.

પ્ર: ધ્યાન દરમ્યાન કે આરામ કરતી વખતે રોવું આવે તે ઠીક છે?

શ્રી શ્રી રવિ શંકર: રુદન ઠીક છે. એક અથવા બે વાર તે ઠીક છે, પરંતુ બધો સમય તે ટેવ ને પ્રોત્સાહન ન આપો. ખાસ કરીને, જ્યારે બધા ધ્યાન કરતા હોય અને જ્યારે સંપૂર્ણ શાંતિ હોય, તે સમયે તે સંવેદનાનું અવલોકન કરો અને તેને પસાર થવા દો.

પ્ર: દિવસ ના સમયે થોડી નિદ્રા લેવી તે ઠીક છે?

શ્રી શ્રી રવિ શંકર: જો તમે ૪૫ વર્ષ કરતા મોટા હોત તો હા, પરંતુ તે પહેલાં નહીં.

પ્ર: જો મને કાંઇ પણ અનુભવ ન થાય તો?

શ્રી શ્રી રવિ શંકર: તમને ખાલીપણાનો અનુભવ થાય છે? તે કંઈક અનુભવ છે!

તમે જાણો છો, ક્યારેક આપણે કોઇક અનુભવ કરવા ઇચ્છીએ છે. તમે અન્યના અનુભવો વિશે સાંભળો છો અને તમે બેસીને તે અનુભવ કરવા માંગો છો, અને તે પછી તે બનશે નહિં. બસ, કંઈક અનુભવ કરવાની ચાહના છોડી દો. તમે સમજો જો?

જુઓ, એક અપેક્ષા અથવા ખૂબ જ સતર્કતાને કારણે તમે મગજનો આગળનો ભાગ (ફ્ર્ન્ટલ લોબ) વાપરો છો, અને તમે ખૂબ સતર્ક રહો છો. તે સમયે, તમે ઊંઘી શકતા નથી, તમે આરામ નથી કરી શકતા, અને તમે ઊંડે જઇને કંઈક અનુભવ પણ નથી કરી શકતા. તેથી, તે એક શક્યતા છે.

બીજું, તમારામાંથી ઘણાએ પૂછ્યુ છે, 'મારે શું કરવું જોઇએ, મને કાયમ ઊંઘ આવે છે.' આપણા શરીરને જરૂરી ઊંઘ થી વંચિત રાખો તો શરીર તે તક મળ્યે લઈ લેશે. જો તમારી શર્કરાનું સ્તર નીચે અથવા ઉચે હશે તો પણ ઊંઘ આવ્યા કરશે, તો આ પહેલી વાત છે. બીજું, શરીરમાં પૂરતો પ્રાણ ન હોય, તો પણ તમે ઊંઘી જશો. તો કેટલાક પ્રાણાયામ મદદ કરશે. ધ્યાન ની તરત પહેલાં થોડા ઊંડા શ્વાસ મદદ કરશે. અને ચોક્કસપણે શરીરમાં ખનીજ અને શર્કરાનું સ્તરજુઓ. ક્યારેક તેના અભાવથી પણ તમને મંદપણું લાગે છે અને તમે ઊંઘી જાઓ છો.

બીજી શક્યતા છે કે શરીર થાકેલું છે. અમુક વખતે જ્યારે તમે થાકેલા હો તો તમને ઊંઘ આવે છે, અને ક્યારેક તમે થાકેલા હો તો તમને ઊંઘ નથી આવતી. તમને કેટલાને આ અનુભવ છે? તમે થાકેલું હો, પરંતુ તમને ઊંઘ ન આવે. ધ્યાનમાં આ વસ્તુઓ ઉલટી થાય છે, અને તે કારણે તમે ધ્યાન દરમ્યાન ઊંઘી જતા હો છો. પણ તેના વિષે બહુ ન વિચારો.

પ્ર: મારા મનમાં હંમેશા સંગીતવાગે છે, એવું કેમ?

શ્રી શ્રી રવિ શંકર: હંમેશા ના કહો. મને નથી લાગતું કે હંમેશા ગાયન ચાલે છે. તમે તમારા મગજના તે ભાગનો  એટલે કેતમારા મગજની જમણી બાજુ નો વધુ ઉપયોગ કર્યો હશે અને તેથી સંગીત કુદરતી રીતે આવે છે.

એક વિકલ્પ છે થોડો સમય કોયડા ઉકેલવા માં ગાળો. કોયડો ઉકેલવા તમે મગજની બીજી બાજુ વાપરો છો. તમે સંખ્યા ગણતરી કરી શકો છો; ગણિત ગણો, અથવા પૈસા ની ગણતરી કરો.

એ પ્રવૃત્તિ કરો જે મગજની બીજી બાજુ ને સંતુલિત કરે. અથવા કંઇક વાંચો, અથવા જ્ઞાન સાંભળો.

અત્યારે તમે જ્ઞાન સાંભળી રહ્યા છો અને તમારા મનમાં સંગીત નથી આવતું. તેથી, વાંચન, શ્રવણ, ગણતરી, આ બધા તમારા મગજની ડાબી બાજુને સક્રિય કરવા માટે મદદ કરશે.

પ્ર: આપણે બધા શ્વાસ સાથે અને તમામ જ્ઞાન અંદર લઇને જ્ન્મ્યા છીએ. તો, બધા શા માટે તમારા જેવા ગુરૂ નથી? જ્ઞાન ની મદદથી તમે ગુરુ શા માટે બન્યા?

શ્રી શ્રી રવિ શંકર: તમે જાણો છો, એક મહાન રચનામાં આપણે બધા અહીં કેટલાક મહાન આયોજન સાથે આવ્યા છીએ. એવું કંઇક કે- તમે આ કરો, તમે આ કરો અને તમે તે કરો.

જુઓ, જ્યારે આ બિલ્ડીંગ બાંધવામાં આવ્યુ હતું, બધી સામગ્રી ક્યાંક રાખવામાં આવી હતી. પરંતુ પછી આર્કિટેક્ટે કીધું કે, 'બારી અહીં હશે, અને બારણું ત્યાં હશે, અને ત્યાં છાપરું હશે.' આ બધું આયોજન આર્કિટેક્ટે કર્યું અને તે પ્રમાણે બધું બન્યું, બરાબર? એ જ રીતે, આપણા બધાનું જીવન છે!

એક મહાન યોજનાએ કહ્યું છે, 'તમારો ત્યાં જન્મ થશે, અને તમે ત્યાં જન્મશો, અને તમે અહીં જન્મ લેશો.' તેથી, આપણે બધા વિશ્વના જુદા જુદા ભાગોમાં જન્મ લઇએ છે અને અમુક ચોક્કસ સમયેઆપણે બધા ભેગા મળીને અહીં આવીએ છે.

આ વાસ્તવિકતા માં એક નજર નાખવી ઘણી જ રસપ્રદ છે. તે આપણને આ સંસારમાં દેખાય છે તેના કરતાં વધુ છે. આપણે અહીં જે જોઇએ છે તે માત્ર હિમશીલા ની ટોચ છે, અને અમે લાગે છે કે આ જ સમગ્ર વિશ્વ છે.

આપણે કૂવાની ધારે બેસેલા દેડકા ની જેમ વિચારીએ છે કે આ સમુદ્ર છે. આપણું જીવન તેના જેવું છે. જો આપણે જાગીને જોઇએ કે કૂવાની બહાર પણ વિશ્વ છે, તો પછી ઘણી વસ્તુઓ દેખાશે અને ઘણી વસ્તુઓનો અર્થ સમજાશે.

તેથી સૂક્ષ્મ વિશ્વમાં તમામ યોજનાઓ પહેલેથી જ કરવામાં આવેલી છે. જો કોઇ ડૉક્ટર બનવાનું હશે, તે પહેલેથી જ બનેલું છે. હવે, તમે મને પૂછશો, 'તો પછી આપણી ઇચ્છા કે સંકલ્પ નું કશું નહીં?'

હું કહીશ, હા છે, જીવન નિયતિ અને મુક્ત ઇચ્છા નું મિલન છે. તે બંનેનું એક સંયોજન છે.

પ્રઃ મારી બહેન માનસિક રીતે બીમાર છે. તે અમારી ઉર્જા ખેંચીને નીચે લાવવામાં અને અમને અપસેટ કરવામાં હોંશિયાર છે. હું બને તેટલું તેનાથી દૂર રહેવા કોશિશ કરું છું. પરંતુ તે ખૂબ એકાકી છે. બીજા માટે અને તમારા માટેની જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે કરવું?

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમને ખબર છે કે કોઇ દર્દી છે, તો તેમની વાત ન સંભળો. કાનમાં રૂ ના પૂમડા નાખી રાખો. તમે અસ્વસ્થ થાઓ છો કારણ કે તમે તેમના શબ્દો અને વર્તન મન પર લો છો. તમે તમારું મન મજબૂત બનાવો જેથી તમે બીજાની વાતો મન પર ન લો, અને તેમને શક્ય તેટલી મદદ કરી શકો.

એક પ્રાચીન કહેવત છે, 'કોઇ કોઇને આનંદ અથવા દુઃખ આપતું નથી.' જો તમે દુઃખ ભોગવો છો તો તે તમારા પોતાના કર્મ ના કારણે; તે તમને બીજા કોઇએ નથી આપ્યું. અને જો તમે આનંદમાં છો, સુખ માણો છો, તો તે પણ તમારા પોતાના કર્મ ના કારણે જે તમને ખુશી આપે છે.

જ્યારે તમે આ જાણો છો, તમે બીજા કોઇને તમારા સુખ કે દુઃખ માટે દોષ નથી આપતા. કારણ કે જો તમને કોઈકના પાસેથી સુખ મળશે, તો તમે તેમને દોષ આપશો કે તમને જોઇએ એટલું સુખ નથી આપતા. તમે સમજો છો હું શું કહુ છું?

પ્રેમ તિરસ્કાર માં કેમ બદલાય છે? તેનું કારણ છે કે તમે કોઈકને પ્રેમ કર્યો અને તેમણે તમને ખૂબ જ આનંદ આપ્યો, અને પછી તમને તેમના પર ગુસ્સો આવે છે કારણ કે તમે તે લાગણી ના ગુલામ બની જાઓ છો. તેથી જ્યારે તેઓ તમને તે આનંદ નથી આપતા, તમે તેમને દોષ આપો છો, તેમના પર ગુસ્સો કરો છો, તમે તેમને નફરત કરો છો અને તે સંબંધ પડી ભાંગે છે. સાચું કે નહીં? તેથી જાણો કે તમને તમારા પોતાના કર્મ પ્રમાણે આનંદ અને સુખ મળે છે. બીજા તો માત્ર તે તમને પહોંચાડવા માટેના ટપાલી છે. તેમનો આભાર માનો! પછી તમારા આસપાસ ના બધા સાથે હંમેશા સારા સંબંધ રહેશે.

પ્ર: કૃપા કરીને મને આશિર્વાદ આપો કે જીવન માં સાચો રાહ શોધી શકું.

શ્રી શ્રી રવિ શંકર: તમે તમારા પથ પર પહેલેથી જ છો! તમે સાચી જગ્યાએ છો. તેથી વિશ્રામ કરો!

જુઓ, તમારે માત્ર ટ્રેન અથવા પ્લેન પકડવા સુધી જ પ્રયત્ન કરવાની જરૂર છે. એકવાર તમે પ્લેન માં બેઠા, પછી ત્યાં આગળ પાછળ દોડવાની જરૂર નથી. તેનાથી પ્લેન વહેલા પહોંચવાનું નથી. કલ્પના કરો કે કોઇ ટ્રેન માં ચઢ્યા પછી સામાન સાથે દોડે છે, 'મારે બીજા બધાથી પહેલાં પહોંચવું છે.' રીલેક્ષ! તમારો સામાન નીચે મૂકો. તમે સાચા રસ્તે છો, તમે ધ્યાન કરો છો.

જો તમે સહજ સમાધિ ન શીખ્યા હો તો પછી તે શીખો. અષ્ટાવક્ર ગીતા સાંભળો. અહીં કેટલા એ અષ્ટાવક્ર સાંભળ્યું છે? તેનાથી તમારા જીવનમાં તફાવત પડ્યો? બીજા જેમણે તે નથી સાંભળ્યું તે જરૂર સાંભળે. તમે તેને સાંભળો, તેની ચર્ચા કરો અને તેનું મનન કરો. રોજિંદા જીવનની થોડી મિનિટો જ્ઞાન માં વિતાવવી ખૂબ જ જરૂરી છે. મૌનની ઉજવણી અને સાચા સાધકને અંતરંગ નોંધ આ પુસ્તકો હાથવગા રાખો અને તેમાંથી થોડું વાંચવાનું રાખો. તે તમારા વિચાર અનેસમસ્યાઓ ઉકેલવાની રીત બદલી નાંખે છે. આ ચોક્કસપણે તમને મદદ કરશે.

પ્ર: હું કોઇ વ્યક્તિ સાથે સંપર્ક રાખવા નથી માંગતો. તો હું તેમને દુઃખ પહોંચાડ્યા વગર અને પ્રેમાળ રીતે અને સ્પષ્ટતાથી કેવી રીતે કહું કે મારે તેમની સાથે સંપર્ક હવે નથી રાખવો?

શ્રી શ્રી રવિ શંકર: તમારે જ્યારે તે કરવું હોત તમે કરી શકો છો. તે મોટી વાત નથી. તમે ખૂબ નરમાશથી આ કહી શકો છો.

તમારે બધું મૌખિક કહેવું જરૂરી નથી. જીવન કેટલી ઝડપથી વહે છે, તો તમારે બકબક શા માટે કરવાની?

મને આજે આવું લાગે છે; મને ગઇકાલે તેવું લાગ્યું. કોને પરવા છે તમને કેવું લાગ્યું? કોને પરવા છે તમારા સુખ વિશે? જીવનની રફતાર કેટલી ઝડપી છે. પૃથ્વી કેટલી ઝડપથી તેની ધરી પર ફરે છે, તે સૂર્યની આસપાસ કેટલી ફાસ્ટ ફરે છે. બધું બદલાતુ રહે છે, પાંદડા પડે છે અને નવા પાંદડા આવે છે. કોણ ગણે છે એક વૃક્ષ પરથી કેટલા પાંદડા ઓછા થયા? તો પછી તમે તમને કેવું લાગ્યું અને કેવું ન લાગ્યું તેની શા માટે ચિંતા કરો છો?

તમારી બધી લાગણીઓનું પોટલું બનાવી તેમને સમુદ્ર માં ફેંકી દો, અને આરામ કરો. શું પરવા છે? તમારી લાગણીઓ બધો સમય બદલાયા કરે છે. ખરું કે નહીં?

કેટલો વખત તમારી લાગણીઓ બદલાઇ છે? કેટલા સમયમાં તે બદલાય છે? શું મોટી વાત છે? આપણે આપણી લાગણીઓને બહુ વધારે મહત્વ આપીએ છે.

મને આ લાગે છે, મને તેવું લાગે છે - કોને પરવા છે. ઊભા થાઓ! તમે આ વિશ્વમાં જે કરવા માંગો છો તે કરવા માંડો અને તે પૂરું કરો.. બસ. સમય એમ જ જતો રહેશે.

આર્ટ ઓફ લીવીંગના ૩૦ વર્ષ થયા. અમે ૧૯૮૨ માં આર્ટ ઓફ લીવીંગ શરૂ કર્યું, પરંતુ અમે અમારી સંસ્થા થોડા મહિના પહેલાં શરૂ કરી. અમે ૧૩ નવેમ્બર ૧૯૮૧માં વેદ વિજ્ઞાન મહા વિદ્યાપીઠ, બેંગલોર આશ્રમ રજીસ્ટર કર્યો.

પછી શું થયું? ૩૦ વર્ષ થઇ ગયા. માર્ચ ૧૯૮૨ માં અમે પ્રથમ બેઝીક કોર્સ શરૂ કર્યો. એ વાતને ૩૦ વર્ષ થઇ ગયા. સમય જતો રહ્યો! આ મારુ આ મહિને ૧૪મું સ્ટોપ છે. હું ૧લી એપ્રિલ થી અત્યાર સુધીમાં વિશ્વભરના ૧૪ શહેરો માં જઇ આવ્યો. મેં જોયું કે દરેક જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે.

આપણો પ્રેમ વ્યક્ત કરવા માટે અથવા જીવન વ્યક્ત કરવા માટે સમય નથી, તો બેસીને આપણને કેવું લાગે છે અને કેવું નથી લાગતું તે વિચારવાનો ક્યાં સમય છે. વિશ્વમાં હજુ કેટલું બધું કરવાનું છે અને કશું નથી કરવાનું. તે બન્ને સાથે જાય છે. કેટલું બધું કરવાનું છે, અને તમારે કશું કરવું જરૂરી નથી. બસ તે બધું થયેલું છે - સંપૂર્ણ પરિપૂર્ણતા.

પ્ર: આત્મા અસ્તિત્વ ના અન્ય છ સ્તરો વિના હોઈ શકે?

શ્રી શ્રી રવિ શંકર: હા. ચોકકસ! અન્ય છ સ્તરો તેનું પોતાનું પ્રક્ષેપણ (પ્રોજેક્શન) છે. કરોળિયો જેમ તેની પોતાની લાળ માંથી સમગ્ર જાળું બનાવે છે. પરંતુ, કરોળિયાનું તેના જાળા વગર પણ અસ્તિત્વ છે. ચેતના બધા સ્તરો બનાવે છે, પરંતુ પેલા સ્તરો વિના પણ તેનું અસ્તિત્વ છે.

પ્ર: મને ખબર છે કે મૌન મારામાં ચેતના ભરવા માટે છે, પરંતુ મને આ એકલતાની લાગણી શા માટે થાય છે? મારે ઘણા લોકો સાથે ઘણી બધી વાત કરવાની છે!

શ્રી શ્રી રવિ શંકર: આ એકલતાની લાગણી કામચલાઉ તબક્કો છે. તમને જ્યારે તમે આ વિશ્વમાં આવ્યા ત્યારે ક્યારેય એકલું ન લાગ્યું. તમે એકલા આવ્યા હતા. જો તમે જોડિયા તરીકે આવ્યા, તો પણ, તે આ દુનિયામાં એકલા આવ્યા બરાબર છે. અને જ્યારે આપણે જશું, આપણે અહીંથી એકલા જઇશું.

તમે બેસીને કહો છો, 'મને એકલું લાગે છે, એકલું લાગે છે' ના! છોડી દો. તે એકલતાની લાગણીમાં ઊંડા જાઓ.

પ્ર: ગુરુજી, હું સફળ અને સુખી કેવી રીતે બની શકું?

શ્રી શ્રી રવિ શંકર: સફળ બનવા તમારે ત્રણ વસ્તુઓ કરવાની જરૂર છે.

1. કૌશલ
2. શક્તિ, અને
3. ગતિશીલતા

જો તમારામાં કૌશલ્ય હોય, અને ઊર્જા હોય પરંતુ તમે કાંઇ કરો નહીં, તો પછી તમે સફળ ન બની શકો. અને કૌશલ્ય વગર ખાલી કામ કર્યા પછી પણ કશો ભલીવાર ના આવે. અને જો તમારામાં કુશળતા અને ગતિશીલતા હોય, પરંતુ શક્તિ ન હોત તો પણ સફળતા ન મળે. એટલે સફળ થવા જરૂરી છે કૌશલ્ય, શક્તિ, અને ગતિશીલતા. તમે ગતિશીલ હોવા જોઈએ. તમે સખત કામ કરો. ત્રણેય વસ્તુઓ જરૂરી છે!

ઘણા લોકો બેસીને માત્ર યોજનાઓ ઘડ્યા કરે છે. તેઓ તેમનું તમામ જીવન આયોજન કરે પરંતુ કંઇપણ કામ નથી કરતા. પંદર વીસ વર્ષ પહેલાં એક યુવાન બેંગલોરના અમારા સત્સંગમાં આવતો.

અને તે દર મહિને ૨૫ સામયિકો કેવી રીતે સફળ થવું અને કેવી રીતે પૈસા બનાવવા ખરીદતો. અને તે મેગેઝિનો વાંચતો, અને આયોજન કર્યા કરતો, અને દરેક વખતે તે આવીને કહેતો, 'હું આ મેગેઝિન વાંચુ છુ, તેમાંથી સરસ ધંધાનો વિચાર મળ્યો છે, મને આશિર્વાદ આપો.'હું કહેતો, 'ઠીક છે! જા, ધંધો કર.' પછીના અઠવાડીયે તે બીજા મેગેઝિન સાથે આવતો અને એવાજ આશિર્વાદ માંગતો. એક વર્ષ પસાર થયું; મને પણ ધીરજ હતી, મેં વિચાર્યું કે એક દિવસ તે કંઈક શરૂ કરશે. પરંતુ તેણે ક્યારેય કાંઇ શરૂ ન કર્યું. તે માત્ર મેગેઝીન ખરીદતો, મને સલાહ પૂછતો, અને મોટી યોજનાઓ બનાવતો, કમ્પ્યુટર પર તે બધુ લખતો અને થઇ ગયું.

અમારી પાસે ખેતી માટે બેંગલોર આશ્રમ ખાતે ૧૦૦ એકર જમીન છે, અને આ બીજા સજ્જન કોમ્પ્યુટર પર બેસીને ક્યાં તે કયા બીજ વાવશે અને કેવી રીતે તે ખેડશે એ બધી યોજનાઓ બનાવતા. તે કૃષિ ડિપાર્ટમેન્ટ ના હેડ હતા. આશ્રમ ના બીજા બધા લોકો કહેતા 'તે માત્ર કોમ્પ્યુટર પર ખેતી કરે છે.' તે રુમમાં બેસીને યોજના બનાવતા. ક્યારેય ખેતરમાં પગ પણ નહોતો મૂક્યો.

એ જ રીતે, આ માણસ આ બધા મેગેઝીન ખરીદીને વાંચતો. એક દિવસ, મેં તેને કહ્યું, 'જો, હવે આશીર્વાદ નહીં મળે. હું મારા આશીર્વાદ કચરામાં નાખવા નથી આપતો. પ્રયત્ન કરીશ ત્યારે જ આશીર્વાદ કામ કરશે. તેથી, આ બધા મેગેઝીન બાજુમાં મૂક. મેગેઝીન ખરીદી ને વાંચીશ નહીં. એક કામ હાથમાં લે અને તેના પર કામ કર, તું  સફળ થઇશ.'

મને આ એટલા માટે જણાવ્યું કે ક્યારેક લોકો મહાન વિચારને અમલમાં નથી મૂકી શકતા. અને બીજા એવા હોય છે જે વિચાર કર્યા વિના અને આયોજન વિના સખત મજૂરી કરે છે. તેઓ પણ સફળ નથી થઈ શકતા. તેથી બંને હોવા જોઇએ.

આશીર્વાદ વિના કામ નથી થતું, મને ખબર છે. આશીર્વાદ જરૂરી છે, પરંતુ એકલા આશીર્વાદ કામ કરશે નહિં, કારણ કે કોઈકે પ્રયત્ન પણ કરવા પડશે. હા! આશીર્વાદ સાથે કામ એ તમને સફળ બનાવશે. હું તો કહીશ કે તમારી ખૂબ મહેનત અને સફળતા પછી પણ ખરી સફળતા તમારા વિશ્વાસમાં છે. ખરી સફળતા એ છે કે તમને કેટલો વિશ્વાસ છે, તમે કેટલું હસતાં રહો છો, અને કેવા હિંમતભેર ચાલો છો. એ તમારી સફળતા સૂચવે છે.

પ્ર: મેં બેઝીક કોર્સ એક વાર અને સાયલન્સ કોર્સ બે વખત કર્યો છે. હું મારા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સેવા કરું છું. મારા વિસ્તારમાં કોઈ શિક્ષક નથી, તો હું શિક્ષક બની શકું?


શ્રી શ્રી રવિ શંકર: ચોક્કસ! મને વધુ અને વધુ શિક્ષકો ની જરૂર છે. જેટલા બને એટલા વધુ શિક્ષકો કારણ કે આપણે ઘણે બધે કામ કરવાનું છે. અહીં તમારામાંથી કેટલા શિક્ષકો બનવા માંગે છે? હા, તમે બધા શિક્ષક બનો. તમે આસપાસના લોકો માટે ઘણુ કરી શકો છો. ખૂબ સરસ!