Saturday, 28 April 2012

શાંતિ એ ઈશ્વર તરફનું પ્રથમ પગલું છે.

બાડ આન્તોગાસ્ત, જર્મની - સત્સંગ 28 એપ્રિલ 2012

(શ્રી શ્રી ટોપલીમાં ના પ્રશ્નો જોતા કહે છે) હું એક બુધ્ધિમાન પ્રશ્ન શોધી રહ્યો છું.

બધા પ્રશ્નો સરખાજ છે. જ્યારે સાચો જવાબ સંભળાય છે ત્યારે, હકીકતમાં દરેક પ્રશ્ન એક જ ક્રિયામાં પરિણમે છે.

જ્યારે તમે સાચો ઉત્તર સાંભળો છો, ત્યારે તમે શું કહો છો? ‘હા, હું સંમત છું’. જો તે યોગ્ય જવાબ ન હોય, તો તમે એમ ન કહી શકો કે, ‘હા, હું સંમત છું’, તમે કહેશો ‘ના આ જવાબ ખોટો છે.’ પણ જ્યારે પણ તમને સાચો જવાબ મળે છે તમે શું કહો છો? તમે કહેશો ‘હા’.

તો જો જવાબ સાચો હોય તો દરેક જવાબ મનને હકારાત્મક અવસ્થામાં લાવશે. પરંતુ જો દરેક જવાબ વધુ પ્રશ્નો ઉભા કરે તો પછી, તે અનંતની યાત્રા છે.

એક રીતે તે સારુ પણ છે કારણકે તે સારી બૌદ્ધિક કસરત છે, પણ તે ઉપરાંત કંઈજ નથી. ફક્ત થોડુ મનોરંજન, બસ.

તો શું, પ્રશ્નો હોવાજ ન જોઈએ? ના, તે પણ જરૂરી છે. બૌદ્ધિક ઉત્તેજના જરૂરી છે. બુદ્ધિ ખૂબજ મહત્વનો ભાગ છે. સૌથી પ્રાચીન ગ્રંથ, ભગવદ્ ગીતામાં, ભગવાન કૃષ્ણ તમામ જ્ઞાન આપે છે અને પછી છેલ્લે કહે છે, 'તમે વિચારો, તપાસો અને નક્કી કરો કે તમારા માટે શું શ્રેષ્ઠ છે.' પછી તેઓ કહે છે, 'પરંતુ એક વાત યાદ રાખો કે, હું માત્ર એજ કહીશ જે તમારા માટે સારું છે, અને તમારે માત્ર હું જે કહું છુ તે ચુનવાનું છે.’

વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આ સંવાદ ખૂબજ રસપ્રદ છે. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં ઓછામાં ઓછો એક વાર તો તે વાંચવો જ જોઈએ.

જ્યારે વિશ્વના મહાન વૈજ્ઞાનિકો જેમાં આઈન્સ્ટાઈનનો પણ સમાવેશ થાય છે. તેમણે આ વાંચ્યું તેમણે કહ્યું તેમનું જીવન બદલાઈ ગયું કારણકે તેમને હંમેશા પ્રશ્નો ન પૂછવાનું શિખવાડવામાં આવ્યું હતુ.

ધર્મ અને આસ્થાનો મતલબ હંમેશા એમ કરવામાં આવતો કે પ્રશ્નો ન પૂછવા પણ અકારણ અનુસરવું.

પરંતુ યોગા વેદાંત, તત્વજ્ઞાન આમ નથી કહેતા. તે બુદ્ધિને અવગણતા નથી. તે કહે છે, ’બુદ્ધિ સંપૂર્ણપણે વાપરો પરંતુ યાદ રાખો તે સર્વત્ર નથી. સત્ય એ છે કે જે બુદ્ધિથી પર છે તે એક પગલું આગળ છે’. તો માત્ર બુદ્ધિમાં અટવાયેલા ન રહો પણ સાથે બુદ્ધિને ઝળકવા પણ દો. ભક્તિ અને પ્રેમ એટલે બુદ્ધિને સંતોષીને બુદ્ધિથી પણ આગળ જવું.

પ્રશ્નઃ ઘણા લોકોના મનમાં નાની વયેજ ડોક્ટર, ઈજનેર, શિક્ષક વગેરે બનવા માટેના વિચારો સ્પષ્ટ હોય છે અને તે માટે ઉત્કટતા હોય છે. અને તેઓ તે પ્રમાણે કરે છે. કમનસીબે મને આમ લાગતું નથી. હવે હું યુવાન પણ નથી અને દિશાનો અભાવ મને ભયજનક લાગે છે. હું શું કરું?

શ્રી શ્રી રવિશંકરઃ ના, ભયભીત થશો નહિ .જિંદગી આખી યોજાયેલીજ છે. જો તમારે શું કરવું તેની તમને સ્પષ્ટતા ન હોય, તો ધ્યાન કરો અને તમારી અંતઃસ્ફૂરણા પ્રમાણે કરો. હું તમને કહું છુ, બધાજ વ્યવસાયો એકસરખા છે. કોઈપણ વ્યવસાય એવો નથી કે જેમા લોકો ખુશ હોય.

ડોક્ટરો ને જુઓ તેઓ કેટલા દુઃખી છે. કારણકે આખી જિંદગી તેમણે બિમાર લોકોની વચ્ચે રહેવું પડે છે. દિવસના ૧૫ કલાક તેમણે બિમાર લોકોની વચ્ચે રહીને તેમની તમામ સમસ્યાઓ સાંભળવી પડે છે. ઉપાય બતાવતા પણ તેઓ ફરીથી એજ સવાલ કરે છે. જો કોઈને એમ કહે કે તમને કોઈ બિમારી નથી અને તમે સાજા છો, તો પણ તેઓ ગુસ્સો કરે છે.

જો તમે સાજા હો તો પણ ઘણા ડોક્ટરોએ એમ કહેવું પડે છે કે, ’ના, તમે બિમાર છો.’ આમ કહેવાથી ઘણા દર્દીઓ ખુશ થાય છે. તેઓ કહે છે કે આ ડોક્ટર સાચો છે. તે મારી સમસ્યા જાણે છે અને બરાબર નિદાન કરે છે. ડોકટરોની હાલત સારી નથી; તે રજાઓ લઈ ક્યાંય જઈ શકતા નથી. અડધી રાત્રે ફોન કોલ લેવા પડે છે.

મોટાભાગે તેમણે અંદાજો લગાવીને દવા આપવી પડે છે, અને પછી આખી રાત ગભરાટમાં વિતાવવી પડે છે. તો આ વ્યવસાયના રહસ્યો છે. જ્યારે તમને માથુ દુખતુ હોય તો તેઓ એસ્પરીન આપી શકે, પરંતુ હંમેશા દરેક સમસ્યા માટે કઈ દવા આપવી તે ખબર હોતી નથી. ક્યારેક અંદાજો લગાડવો પડે છે.

ઈજનેરોને જુઓ, દિવસ-રાત મશીન સાથે કામ કરતા મશીન જેવાજ બની જાય છે. તેઓએ આમ કરવું પડે છે. તેઓજ આમ કહે છે, હું નથી કહેતો.ઈજનેરો પોતેજ આમ કહે છે. ’ઓહ, આ કેટલું કંટાળાજનક છે. આખો દિવસ અને રાત મશીન, મશીન અને મશીન’. સપનામાં પણ તેઓ મશીનજ જુએ છે.

જો તેઓ ગાડીના કારખાનામાં કામ કરતા હશે તો, સપનામાં પણ ગાડીજ જુએ છે. માણસ વગર ચાલતી હોય તેવી ગાડી. અહીં કોઈક જે ગાડીના કારખાનામાં કામ કરતુ હતુ, તેમણે મને કહ્યું કે ,’મને સપનામાં દરરોજ રાત્રે વાહક બેલ્ટ પર ફરતી કે ટ્ર્કમાં મૂકેલી ગાડી દેખાય છે. તેમાં માણસો હોતા નથી!’

વકીલ; તેમની હાલત વિશે તો તેમને પૂછીજ ન શકાય. તેઓ ક્યાંક કંઈ સમસ્યા શોધતા હોય છે, જેથી તેઓ ટકી શકે. જો બધું શાંતિથી ચાલતું રહે તો વકીલો માટે આજીવિકા મળવી મુશ્કેલ થઈ જશે. જો બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય તો વકીલો ખુશ થશે. ’ભાઈઓ મારી પાસે આવે તો હું પૈસા કમાઈ શકીશ’. સદનસીબે તેમણે વધુ વિચારવું પડતુ નથી કારણકે આ દુનિયામાં ઘણા ઝગડા છે અને તે દરેકે તેમની પાસે આવવું પડે છે.

તે કહેશે ‘આવો, હું તમારી સમસ્યા ઉકેલીશ’. પરંતુ સમસ્યાનો ઉકેલ ઝડપથી આવતો નથી. તેઓ તેને ટાળતા રહે છે. કોઈપણ વકીલ કોઈપણ કિસ્સાનો ઝડપથી ઉકેલ લાવતો નથી. તેઓ શા માટે લાવે? કિસ્સો જેટલો લાંબો ચાલશે તેમના માટે ફાયદાકારક છે. દરેક કોર્ટની તારીખ માટે તેઓ ગ્રાહક પાસેથી પૈસા લઈ શકે છે. તેઓ એટલા મૂર્ખા નથી કે કિસ્સાને આમજ ખતમ કરે.

તમે કોઈપણ વ્યવસાય લો તેમાં ખામીઓ છે.

ધાર્મિક લોકો આ તો સૌથી મોટી સમસ્યા છે. રામાયણમાં એક સરસ મજાની વાર્તા છે. તમે સાંભળવા માંગો છો?

એકવાર એક રખડતો કૂતરો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈએ તેના ઉપર પથ્થર ફેંક્યો અને તેને ભગાડી મૂક્યો. પછી કૂતરો અદાલતમાં ગયો. એમ કહેવાય છે કે ભગવાન રામની અદાલતમાં દરેકને ન્યાય મળતો, પ્રાણીઓને પણ. કૂતરાએ કહ્યું આ રસ્તો દરેક માટે છે. તેણે કહ્યું ‘રસ્તા પર ક્યાંય લખ્યુ નથી કે કૂતરાઓએ અહીં આવવાની મનાઈ છે. હું રસ્તા પર ચાલી રહ્યો હતો અને આ માણસે મને ઈજા પહોંચાડી. તેને સજા કરો.’

તો ભગવાન રામે માણસને પૂછ્યું શું આ વાત સાચી છે? તે માણસ ખોટું બોલી શક્યો નહિ અને તેણે કબુલ કર્યુ કે તેણે કૂતરાને ઈજા પહોંચાડી છે.

તે દિવસોમાં અપરાધીને શું સજા કરવી તે અપરાધમાં ભોગ બનેલાને પૂછવામાં આવતું. તો જ્યારે કૂતરાને પૂછવામાં આવ્યું કે જે માણસે તેને પથ્થરથી ઈજા પહોંચાડી છે તેને શું સજા કરવી જોઈએ, તો કૂતરાએ કહ્યું, ‘તેને ધાર્મિક મઠનો વડો બનાવો અથવા કોઈ આશ્રમનો ગુરુ બનાવી દો’.

લોકોએ આ સાંભળી કહ્યું આ તો ખૂબજ વિચિત્ર સજા છે. કૂતરાએ કહ્યું, ‘સવાલ ન પૂછો, મે જેમ કહ્યું તેમજ કરો. તેને ગુરુ બનાવી દો.

હું પણ પાછલા જન્મમાં ગુરુ હતો. મરતા પહેલા મેં વિચાર્યુ હતુ કે ગુરુ થવા કરતા હું રખડતો કૂતરો હોત તો સારુ થાત. હવે જુઓ શું થયું, હું આ જન્મમાં કૂતરો બની ગયો. મને કેટલી મુશ્કેલી પડી હતી. આ માણસ પણ આશ્રમનો વડો બનવો જોઈએ પછી તેને જીવનમાં મુશ્કેલી શું છે, પીડા શું છે, વેદના શું છે તેનો અનુભવ થશે’.

આ રામાયણની એક રમૂજી વાર્તા છે.

આ દુનિયામાં કોઈપણ નોકરી, કોઈપણ વ્યવસાય, કે કોઈપણ કામ સહેલું નથી. દરેક વ્યવસાય અઘરો છે, કોઈ કામ સહેલું નથી. ધાર્મિક સંસ્થાના વડા બનવું એ તો વધુ ખરાબ છે. કારણકે તમારે બધાની કાળજી લેવી પડશે.

જો તમે કોઈ માણસની સામે ન જોયુ તો તે માણસ ફરિયાદ કરશે કે તમે મારી સામે ન જોયુ.

ગઈકાલે તમે મને ઉદાસ કર્યો. તમે બધાને ખુશ કરવા આવ્યા છો પણ કોઈને દુઃખી કરી દીધા.

જ્યારે તમે તેમના તરફ જુઓ છો ત્યારે તેઓ બીજે જુએ છે, અને તેઓ અપેક્ષા રાખે છે કે જ્યારે તેઓ તમારા તરફ જુએ ત્યારે તમારે તેમના તરફ ધ્યાન આપવું; નહિ તો તેઓ નારાજ થઈ જશે!

હવે શું કરવુ? ટેકનોલોજીને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે! તમને ખબર છે મને કેટલા ઈ-મેઈલ આવ્યા છે? છેલ્લા થોડા અઠવાડિયામાં આશરે ૧૦૧,૦૦૦. મારે તે વાંચવાના છે. દર અઠવાડિયે લગભગ ૧૦,૦૦૦ જેટલા ઈ-મેઈલ આવે છે. ક્યારેક ૮૦૦૦ તો ક્યારેક ૨૦૦૦. તે બદલાયા કરે છે પણ તે જમા થતા રહે છે.

તો કયો વ્યવસાય કરવો તેની વધુ ચિંતા કરશો નહિ. બધા વ્યવસાય એકસરખાજ છે. આજીવિકા માટે કોઈ નોકરી શોધી લો. વધુ લોભી બનવુ નહિ અને અને કોઈ વસ્તુનો અભાવ પણ અનુભવવો નહિ.

આપણા મનમાં અને હ્રદયમાં વિપુલતાનો અનુભવ કરવો. પૈસા એ એવી વસ્તુ છે જે ક્યારેય પૂરતા છે એમ નહિ લાગે. તમે જુઓ તો,અબજોપતિ પણ તેમના પૈસા બે ગણા, ત્રણ ગણા કઈ રીતે કરવા તેની હોડમાંજ હોય છે. આ હોડનો કોઈ અંત નથી.

આ વર્ષે હું દાવોસ ગયો હતો. ત્યાં તમામ અબજોતિ ઉપસ્થિત હતા.તેમની આંખો અને ચહેરા પર સહેજ પણ પરિપૂર્ણતા ન હતી, ઉલ્લાસ કે સંતોષ ન હતો, કોઈ શાંતિ/નિર્મળતા કે ઉન્નતિનો ભાવ ન હતો.

તમે સમજો છો, હું શું કહું છુ? તમને એક નાના ઝૂંપડામાં સ્મિત દેખાશે, પરંતુ કદાચ મહેલમાં સ્મિત શોધી શકશો નહિ. મહેલમાં શાંત મન શોધવું મુશ્કેલ છે.

પ્રશ્નઃ હું મારા ખરાબ કર્મ કેવી રીતે સાફ કરી શકું? હું પોતાની જાતને આંક્યા કરુ છુ. હું પોતાની જાતને પ્રેમ કેવી રીતે કરી શકું?

શ્રી શ્રી રવિશંકરઃ ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તમે તમારા કર્મથી મુક્ત થઈ શકો નહિ. એ હું તમારા માટે કરીશ.

તમે તમારુ કર્મ કરો અને ખરાબ કર્મની ચિંતા કરતા નહિ. ગુરુનું કામ એજ છે. તમે તમારા ભૂતકાળના ખરાબ કર્મના સફાઈની ચિંતા કરશો નહિ. જ્યારે તમે જ્ઞાનમાં રહેશો તો તે આપોઆપજ ધોવાઈ જશે.

જ્યારે તમે સત્સંગમાં હો, ધ્યાન કરો, કે સુદર્શન ક્રિયા કરો તો ખરાબ કર્મ કપાય છે. તમે આ બધુ શું કરવા કરો છો? કારણકે આમ કરવાથી ખરાબ કર્મ કપાય છે.

ખરાબ કર્મ શું છે? તે તમારા મનમાં અને ચેતનામાં રહેલી ખરાબ છાપ છે.

છતાં પણ તમને લાગે કે હજુ કંઈક બાકી છે, તો તમે કહો ‘ગુરુજી હું આ સમસ્યાઓ તમને સમર્પિત કરુ છુ, કૃપા કરી તમે તેની કાળજી લો.’ અને તે સમસ્યા ગાયબ થઈ જશે, ઠીક છે!

પ્રશ્નઃ તમારામાં આટલો કરુણાભાવ શા માટે છે? તમે જાણો છો કે મેં વારંવાર એકજ ભૂલ કરીને તમને દુઃખ પહોંચાડ્યુ છે, છતાં તમે મારા પર ગુસ્સે થતા નથી. મને મારી જાત પર ધૃણા આવે છે.

શ્રી શ્રી રવિશંકરઃ ચિંતા ન કરો. ભૂતકાળને મનમાં ઘોળ્યા ન કરો. તમે જાણો છો જ્યારે એક બાળક ચાલતા શીખે છે, તે ઘણી વાર પડે છે. તે દસ વાર પડે તો પણ ઉભા થવાનું છોડતું નથી. તે જ્યાં સુધી ઉભા રહેતા શિખી ન લે ત્યાં સુધી પ્રયત્ન કરતું રહે છે.

તો મારે તમને કહેવું છે કે તમે સારું કરી રહ્યા છો, ચાલતા રહો. તમને તમારી ભૂલનું દુઃખ તો છે; તે તમને વારંવાર ભૂલ નહિ કરવા દે. તમે જાણો છો તમે ભૂલ શા માટે કરો છો? કારણકે તમે માનો છો કે તેમા આનંદ મળે છે. કેફી દ્રવ્યોનું સેવન કરવું, દારુ પીવું, સિગરેટ પીવી આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતા તમે આમ કરો છો, શા માટે?

કારણકે તમે માનો છો કે તેમાંથી તમને કંઈક આનંદ મળે છે. પરંતુ હકીકત એ છે કે, તે તમને આનંદ આપતુ નથી, માત્ર આનંદ આપવાનું ભ્રામક વચન આપે છે.

એક વાર્તા છે. એક સજ્જન બજારમાંથી એક સંતના આશીર્વાદ વાળુ શંખ લઈ આવ્યા. તે એક ખાસ રહસ્યમય શંખ હતો. તમે તેની પાસે જે માંગો તે મળે તેવો શંખ હતો.

આ સજ્જનના મિત્રએ શંખ જોયો અને તે ઉત્સાહમાં આવી ગયો. તેને પણ આવો શંખ મેળવવાની ચાહ જાગી. ઘણી વખત તમને કંઈક મેળવવાની ચાહ જાગે છે, તે વસ્તુની તમારે જરૂર નથી હોતી પણ બીજા કોઇની પાસે તે હોય છે એટલે તમારે પણ તે મેળવવું હોય છે. તમારા મિત્ર પાસે હોય એટલે તમારે પણ તે જોઈએ. તમારો મિત્ર ઓડી કે બેન્ઝ લાવે તો તમને પણ તે લાવવાની તલપ જાગે છે. તમારે આવવા-જવા માત્ર ગાડીની જરૂર છે, કોઈપણ ગાડી હોય તેનાથી શું ફરક પડે છે? પણ તમારા મિત્ર પાસે મોટી ગાડી છે તો તમારે પણ મોટી ગાડી જોઈએ.

તો તે માણસ શંખ લેવા બજારમાં ગયો. તો દુકાનદારે તેને શંખ બતાવતા કહ્યું કે આ શંખની ખાસિયત એ છે કે તમે તેની પાસે જે માંગશો તેનું બે ગણું આપશે. ધારો કે તમને ગાડી જોઈએ તો શંખ કહેશે એકજ ગાડી શા માટે બે ગાડી લઈ લો.

કોઈએ આ વાર્તા સાંભળી છે? નથી સાંભળી? તમે મારા પુસ્તકો નથી વાંચતા કે ટેપ નથી સાંભળતા?!

તો તે શંખ લઈ ઘરે આવ્યો.અને શંખ પાસે એક કિલો સોનુ માંગ્યુ. શંખ એ કહ્યું, ‘એક કિલો શા માટે, બે કિલો લઈ લો.’

તેણે કહ્યું, ’સારુ બે કિલો આપી દો.’

શંખ એ કહ્યું, ‘બે કિલો શા માટે, ચાર કિલો લઈ લો.’

તેણે કહ્યું, ’સારુ ચાર કિલો આપી દો.’

શંખ એ કહ્યું, ‘શા માટે ચાર કિલો, આઠ કિલોજ લઈ લો.’

માણસ બોલ્યો ‘સારુ, આઠ કિલો આપી દો, મારે વધુ નથી જોઈતુ.’


શંખ એ કહ્યું, ‘આઠ શુ કામ, સોળ કિલો લઈ લો.’

તે બે ગણું આપવાનું કહેતો રહ્યો પણ આપ્યું કંઈજ નહિ. માણસ કહેતો રહ્યો ‘કંઈક આપી દે’, અને શંખ એ કહ્યું 'કંઈક શા માટે ઘણુ બધુ લઈ લે.'

તમારી આદતો તમારી સાથે આ જ રમત રમી રહી છે. તે આનંદ આપવાનો માત્ર વાયદો કરે છે, પણ આનંદ આપતી  નથી.

ખરાબ ટેવમાંથી મુક્ત થવા માટે આ ત્રણમાંથી એક વસ્તુ જરૂરી છે. પ્રેમ, ભય અથવા લોભ.

કશાક માટે ઊંડો પ્રેમ, અથવા પ્રેમીજનને આપેલું વચન કે તમે તે રસ્તે નહિ જાવ, તમને ખરાબ ટેવમાંથી મુક્ત કરી શકે છે.

જ્યારે ડોક્ટર તમને કહેશે કે જો તમે દારૂ પીશો તો તમારા યકૃતને નુકશાન પહોંચશે અને તમે મૃત્યુ પામશો, તો તમે દારૂને હાથ નહિ લગાવો.

અને જો કોઈ તમને વચન આપે કેજો તમે ૪૦ દિવસ માટે દારૂ નહિ પીવો તો તે તમને દસ લાખ ડોલર આપશે, તો તમે કહેશો, ’૪૦ શા માટે હું ૪૫ દિવસ આમ કરવા તૈયાર છું.’

તો આમ, લોભ, ભય કે પ્રેમ તમને ખરાબ આદતમાંથી મુક્ત કરી શકે છે.

મારો સ્વભાવ કરુણામય છે. આટલા વર્ષોમાં, લગભગ ૫૬ વર્ષમાં મેં ક્યારેય કોઈને ખરાબ શબ્દ કહ્યો નથી.

આ કોઈ સિદ્ધિ નથી. આ શરીર એજ રીતે બન્યું છે. હું એજ રીતે બન્યો છુ. હું ગુસ્સે થાઉં તો પણ ખરાબ શબ્દ બોલી શકુ નહિ.

વધુમાં વધુ, ‘અરે મૂર્ખ’ એટલુંજ બોલી શકુ. તેથી આગળ કશું નહિ.

તે પણ મેં ફક્ત સાત થી આઠ વખત કહ્યું હશે. હું મારી આંગળીના વેઢે તે ગણી શકુ છું.

મારા માટે ગાળ બોલવી, શાપ આપવો કે કોઈને દોષ આપવો શક્ય નથી. મેં ક્યારેય આમ કર્યુ નથી.

મારા તરફથી ખરાબ શબ્દો બોલીને મેં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું નથી. છતા પણ જો લોકોને દુઃખ થયુ હોય તો તે તેમની સમસ્યા છે. તેમાં હું શું કરી શકુ?

પ્રશ્નઃ મારા જીવનમાં હું જેને પ્રેમ કરુ છુ જેની સાથે હું ચાર વર્ષથી છુ તે કોઈ બીજાને પ્રેમ કરે છે.

તેઓ પાંચ મહિના પહેલા મળ્યા હતા. હું શું કરુ? હું તેને ખૂબજ પ્રેમ કરુ છુ અને તેને ગુમાવવા માંગતો નથી. તે પોતે નિર્ણય કરે ત્યાં સુધી તેણે મને રાહ જોવા કહ્યું છે. મારે રાહ જોવી જોઈએ કે આગળ વધવું જોઈએ?

શ્રી શ્રી રવિશંકરઃ હું એક રીતે તમારી તકલીફ સમજી શકુ છુ, પણ બીજી તરફ જોઈએ તો મને આ બાબતમાં કોઈ અનુભવ નથી. તો હું તમને સલાહ આપી શકુ નહિ.

હું એટલું કહીશ કે થોડો સમય કાઢીને શાંત થાઓ. તમારું જીવન ભૂતકાળમાં કેવું હતુ તે વિશે વિચારો.

જ્યારે તે વ્યક્તિ તમારા જીવનમાં ન હતી ત્યારે પણ તમે ખુશ હતા ને?

જો તે વ્યક્તિને મળીને તમને કોઈ ચમકારાનો અનુભવ થયો હોય, પ્રેમનો અહેસાસ થયો હોય તો તેનો આભાર વ્યક્ત કરો. તેના વગર પણ તમારું જીવન ચાલશે.

હું તમને કહું છુ, તમે જીવનમાં ઉપર જ જશો. જો તે વ્યક્તિ જશે તો તમને તેનાથી વધુ સારી વ્યક્તિ મળશે તેની ખાતરી રાખો. તમેજ કેન્દ્ર છો તે જાણો. બરાબર!

તમારા આત્માને બીજી કોઈ વ્યક્તિમાં ન મૂકો, તેને તમારી પાસેજ રહેવા દો. જો તે વ્યક્તિ પાછી આવે તો ઠીક નહિ તો આગળ વધો.

આ સમજણ રાખશો તો તમારો પ્રેમ તિરસ્કારમાં નહિ બદલાય.

ઘણી વાર લોકો પ્રેમ કરે છે અને તે એવા કડવાશ અને તિરસ્કારમાં બદલાય છે કે જે તમે કલ્પી ન શકો. તમે આમ ન થવા દેતા.

જો તમે કોઈને પ્રેમ કરો છો તો, જવા દો. જો તે તમારી હશે તો તે તમારી પાસે પાછી આવશે. જો તે પાછી ન આવે તો તે ક્યારેય તમારી હતી જ નહિ તેમ જાણીને આગળ વધો.

પ્રશ્નઃ હું એવા ખ્યાલ સાથે મોટો થયો છુ કે ઈશ્વર જીવંત ન હોઈ શકે.

હું તમને મળ્યો અને તમારી પાસેથી સુંદર જ્ઞાન સાંભળ્યુ, તો એમ લાગ્યુ જાણે હું જીવંત ઈશ્વરને મળ્યો.

પરંતુ ઈશ્વર જીવંત ન હોઈ શકે. મારુ મન આ સમજતુ નથી. હું જાણુ છુ કે તમે પ્રેમ અને જ્ઞાનથી અહીં છો.

પરંતુ તમે એક માણસ છો એટલે હું તમને સંપૂર્ણ રીતે અપનાવી શકતો નથી.

હું દિવ્યતાને જોઈ શકુ છુ, સમજી શકુ છુ, તે દુઃખ પણ પહોંચાડે છે, પરંતુ હું સમજી શકતો નથી. કૃપા કરી સલાહ આપો.

શ્રી શ્રી રવિશંકરઃ ઈશ્વર એજ પ્રેમ છે અને પ્રેમ એજ ઈશ્વર છે. અને તે આપણા સૌમાં છે. એવું કંઈજ નથી જે ઈશ્વર ન હોય. કારણકે સમગ્ર સર્જન ઈશ્વરનું બનેલુ છે. તો ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી. તે એક ક્ષેત્ર છે જે બધેજ છે. તમારામાં પણ છે. તે દરેક સમયે હાજર છે. તે હમણા અહીં પણ હાજર છે.

તમે સાચુ કહો છો; કેટલાક લોકો વિચારે છે કે કોઈ ઈશ્વર સ્વર્ગમાં છે. તેમણે બધુ સર્જન કર્યુ અને હવે તે નથી રહ્યા. તમે જેમ ઘણી વાર મૃત્યુ પામેલા લોકોનો આભાર વ્યક્ત કરો છો; તમે ઈશ્વર માટે પણ તેમજ માનો છો કે તે જતા રહ્યા છે અને તેમનો આભાર માનો છો.

લોકો સમજતા નથી કે ઈશ્વર એ જીવંત હાજરી છે. અહીં અને હમણાજ તે જીવંત છે.

જ્યારે તમે શાંતિમાં ઊંડા ઉતરો ત્યારેજ તેનો અહેસાસ કરી શકો.

જ્યારે મન શાંત હોય અને તમે કહો કે, ‘મારે કશું જ જોઈતુ નથી.’ તમેજ સર્વસ્વ છો.

આ ભાવના સાથે જ્યારે તમે બેસો ત્યારે તે શક્તિ, તે શાંતિ, તે પ્રેમ જે હમણા અહીંજ છે તેનો તમે અહેસાસ કરી શકો.

તેથીજ લોકો જ્યારે ભગવાન બુદ્ધ પાસે જઈ ઈશ્વર વિશે પૂછતા, ત્યારે તે કંઈ કહેતા નહિ, તે ચૂપ રહેતા.

ભગવાન બુદ્ધ ક્યારેય સત્સંગમાં ઈશ્વર વિશે બોલતા નહિ. આ તેમની શરત હતી કે કોઈ તેમને ઈશ્વર વિશે પૂછશે નહિ.

અગિયાર પ્રશ્નો ત્યાં પ્રતિબંધિત હતા જેમાથી એક ઈશ્વર વિશે હતો. જો કોઈ ઈશ્વર વિશે પ્રશ્ન પૂછે તો પણ તે ચૂપ રહેતા કારણકે લોકોની ઈશ્વર માટે પોતાની કલ્પના છે. તેમને લાગે છે કે તે ઈશ્વર વિશે ઘણું જાણે છે. તેમને લાગે છે કે તેઓ જાણે છે, અને તેથી તે દલીલો કરે છે.

શ્રેષ્ઠ માર્ગ છે ઈશ્વરને તેમના પોતાના પર છોડી દો. તે વિરામ ઈચ્છે છે. તે થોડો આરામ કરવા ઈચ્છે છે. ભારતમાં, ભગવાનને સર્પ પર ખુશીથી આરામ કરતા વર્ણવ્યા છે, અને સૃષ્ટિ ચાલ્યા કરે છે.

તો હું કહીશ કે, સારા માનવ બનો, સમયાંતરે શાંત થઈ આંતરિક શાંતિનો અનુભવ કરો. તમને અતિગહન રહસ્યો જાણવા મળશે. તમારા માટે તે દ્વાર માપમેળે જ ખુલશે અને તમે જાણી શકશો કે દરેક જગ્યાએ બધા લોકો આના જ વિશે વાત કરી રહ્યા હતા; દરેક ગ્રંથમાં આ જ લખાયેલું છે. બાઈબલ, કુરાન, વેદ બધે એક જ વાત કહેવામાં આવી છે. આ સત્ય છે, અહીં છે, હમણા જ છે, મારામાં છે તેની અનુભૂતિ.

એમ ન વિચારતા કે ક્યારેક આ અનુભૂતિ થશે. તે હમણા જ છે!


શાંત રહો, શાંતિ એ પ્રભુ તરફ પહેલું પગલુ છે. બીજુ આનંદ અને સુખ છે, ત્રીજુ પ્રેમ છે. ભગવાનના ઘરે જવાના આ ત્રણ પગલા છે.