Wednesday, 23 May 2012

આત્મજ્ઞાન એક બીજરૂપે પહલેથી તમારા માં છે

૨૩ મે ૨૦૧૨

આપણે સમજવાની જરૂર છે કે આપણને જે જોઇએ છે તે પહેલેથી જ આપણા જીવનમાં છે, જો તમે આ હેતુ સાથે પહેલેથી શરૂ કરો કે 'મને જે જોઇએ છે તે પહેલેથી જ મારા જીવનમાં છે', તો તમે જે કરવા માંગો છો તે સરળતાથી મળશે.

મારી પાસે છે’, આ વિચાર એક બીજની વાવણી કરવા બરાબર છે. એકવાર તમે બીજ જમીનમાં રોપો, અને તમે એને પાણી અને ખાતર આપો પછી તે અંકુરિત થશે અને છોડવો બનશે. આમ તમે મનમાં જાણો છો કે બીજ છે.

એ જ રીતે, તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો, ધારી લો કે, તે મારી પાસે છે અને હું તે જ છું. તમે એમ વિચારશો કે મારી પાસે તે નથી તો માત્ર અભાવ વધતો જશે.

આથી જ જે લોકો પાસે ધન હોય તેમને વધુ ધન મળે છે અને જેઓ પાસે નથી તેઓ ને નથી મળતું કારણ કે તેઓ કહેતા રહે છે, ’મારી પાસે નથી. મારી પાસે નથી' તેથી મન અભાવની દિશામાં જાય છે.

તમને ખબર છે, જ્યારે ઘરે વસ્તુઓ ન હોય અથવા અમે ચોકલેટ માંગતા ત્યારે મારા દાદીમા હંમેશા કહેતા કે 'તે પુષ્કળ છે, ઢગલાબંધ છે, બસ આપણે દુકાનમાંથી લાવવાની છે'. સાંભળનારને તે વાત સંપૂર્ણપણે વાહિયાત જણાય છે. અમે તેમને ક્યારેય એવું કહેતાં સાંભળ્યા નથી કે આપણી પાસે નથી.

જેથી 'અછત' નો ભાવ જવો જોઇએ અને તમને વિપુલતા નો અનુભવ થવો જોઇએ. તમે ગમે તે ધ્યેય હાંસલ કરવા માંગતા હો, પ્રથમ જાણો કે, તમે તે મેળવ્યું છે, અને પછી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

પ્રયત્ન, કરવો જોઈએ, પરંતુ માત્ર પ્રયત્ન કામ કરશે નહિં. પ્રયાસ કરો તે પહેલાં ધ્યેય નું બીજ પણ હાજર હોવું જોઈએ. તેથી લક્ષ્ય પહેલેથી જ શોધનારમાં હાજર છે. ધ્યેય ક્યાંક બહાર નથી જ્યાં પહોંચવાનો તમારે પ્રયાસ કરવાનો છે, ના! માત્ર વિશ્રામ કરો; લક્ષ્ય અહીં છે, અત્યારે છે.

તેથી, આત્મજ્ઞાન તમારામાં હાજર છે. જો તમને લાગશે કે તેનો અભાવ છે, તો તમે તેને ક્યારેય હાંસલ નહીં કરી શકો. તમને ખબર હોવી જોઇએ કે તે તમારામાં બીજરૂપે   હાજર છે. જાણો કે તમે પહેલેથી જ યોગી છો અને પછી યોગ કરવાનું ચાલુ રાખો, તો તમને નિપુણતા મળશે. જો તમને લાગે છે કે તમે યોગી નથી તો પછી યોગમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો તે કામ નહીં કરે. તેથી જાણી લો કે બીજ પહેલેથી જ ત્યાં છે.

તેથી, જો તમે એક ઉદ્યોગપતિ થવા ઇચ્છતા હો, તો આવું વિચારબીજ મૂકો, 'હું એક ઉદ્યોગપતિ છું', અને પછી ઉદ્યોગપતિ હોવા તરફ કામ કરો. આ કદાચ ખૂબ જ અજબ જણાશે.

સામાન્ય રીતે લોકોને લાગે છે કે, ’મારી પાસે નથી અને તેથી મારે પ્રાપ્ત કરવાનું છે', પરંતુ ભાગ્યે જ સફળતા મળે છે. સફળતાનું રહસ્ય એ સમજવામાં છે કે ધ્યેય પહેલેથી જ શોધનારમાં હાજર છે.

તો આજે તમને જ્ઞાનનું ઘણું મોટું રહસ્ય જાણવા મળ્યું.

પ્ર: પ્રિય ગુરુજી, કહેવાય છે કે મહાભારતનાં સમય દરમ્યાન ટેક્નોલોજી આજના કરતાં પણ વધુ અદ્યતન હતી, તે હવે શું થયું? બધી પ્રગતિ અને ઉન્નતિ ક્યાં અદૃશ્ય થઈ ગયા? આપણે કેવી રીતે પાછળ પડી ગયા?

શ્રી શ્રી રવિશંકર: જુઓ, આ એક કુદરતી ચક્ર છે. બધું ચક્રાકારે ચાલે છે.

આ ગ્રહ પર ડાયનાસોર હતા, અને એવા મોટાં પક્ષીઓ હતા જેમને તાલીમ આપી શકાતી. આ મોટાં પક્ષીઓ ઉપર તેઓ વિશાળ મંડપ બનાવતા અને પક્ષીઓને બીજે સ્થળે જવા તાલીમ અપાતી અને તે ઉડીને ત્યાં જતા.

ડાયનાસોરના યુગમાં લગભગ વિમાન જેટલા મોટા વિશાળ પક્ષીઓ હતા. તમે આના વિશે દસ્તાવેજી ચલચિત્ર જોયું છે? કેટલાક પક્ષીઓ નું ૩૦૦૦ કીલો ની આસપાસ વજન હતું અને લોકો તેના ઉપર ઘર પણ બનાવતા.

રામાયણમાં લખેલું છે કે કેવી રીતે રાવણ સીતા સાથે જતો હતો, અને જટાયુ (એક વિશાળ પક્ષી) માર્ગ માં આવ્યો હતો અને રાવણે તેની પાંખો કાપી દીધી હતી.

મને ખબર નથી કે આપણે કેવી રીતે ગુમાવ્યું અને શા માટે ગુમાવ્યું, પણ અત્યારે આપણે સ્વતંત્રતા ગુમાવી છે. આપણે મહામુશ્કેલીએ દેશની આઝાદી મેળવી, પરંતુ હવે જે રીતે આપણે ભ્રષ્ટાચારનુ આ દેશમાં વધતું જતું વલણ જોઈ રહ્યા છીએ તે દુ:ખદાયી છે. આપણે બધું પાછું ઠીક કરવાની જરૂર છે.

પ્ર: પ્રિય ગુરુજી, હું સફળ વ્યાપારી છું પરંતુ વ્યક્તિગત જીવનમાં સદંતર નિષ્ફળ છું, મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર:  પ્રથમ, તમે આ લેબલ દૂર કરો ’હું નિષ્ફળ છું.જો તમને સમજાયું છે કે તમે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે, તો પછી તમે સાચી દિશામાં જઇ રહ્યા છો. દુર્ભાગ્ય ક્યારે હોય કે જ્યારે તમને ખ્યાલ નથી કે તમે ભૂલો કરી રહ્યા છો કે તમે ખોટા છો. જ્યારે તમે ભૂલ કરી અને તમે જાણો છો કે તમે ભૂલ કરી તો પછી તમે તેમાંથી બહાર આવી ગયા છો. તેથી હવે નચિંત થઇને કામ કરો, ચિંતા ન કરશો.

પ્ર: પ્રિય ગુરુજી, કૃપા કરીને ભગવાન શિવના માથાનો અર્ધચંદ્ર, ડમરુ, અને ત્રિશૂળ નું મહત્વ સમજાવો.

શ્રી શ્રી રવિ શંકર: શિવ તત્વ ત્યાં છે જ્યાં મન ધ્યાનમાં હોય છે, અને ચંદ્ર મનનું પ્રતિક છે. મન ધ્યાનમાં હોય તો તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય અને સમજવા માગતી વ્યક્તિ કેવી રીતે સમજી શકે? તેને સમજવા માટે, અનુભવ અને અભિવ્યક્ત કરવા માટે થોડુંક ચિત્ત જરૂરી છે. તેથી તે પૂર્ણ ચંદ્ર નથી, પરંતુ માથા પર બીજનો ચંદ્ર છે. જે સમજાવે છે કે  અવર્ણનીય ને વ્યક્ત કરવા માટે માત્ર થોડા જ મન ની જરૂર છે.

શિવ તત્વ અવર્ણનીય, અવ્યક્ત છે; તેના મૂળ કોઇ શોધી ન શકે. આને લગતી એક વાર્તા છે જેમાં બ્રહ્મા શિવનું માથું શોધવા ગયા અને વિષ્ણુ તેમના પગ શોધવા ગયા, પરંતુ બન્ને કંઇ શોધી શક્યા નહીં. તેથી અનંતતા ને સમજવા થોડું ચિત્ત જરૂરી છે.

તમે ધ્યાન માં બેસો અને તમે અનસ્તિત્વ અનુભવો છો, પરંતુ પછી વિચાર આવે છે, 'હું આ સુંદર ધ્યાન અનુભવી રહ્યો છું.' આ અનુભવ કોણે કર્યો? તે ચિત્ત છે. મનથી અનુભૂતિ થાય છે, 'ઓહ, મને સારી ઊંઘ આવી હતી', અથવા 'મને સારું ધ્યાન થયું હતું.'

તેથી જે અવર્ણનીય છે તેને વ્યક્ત કરવા માટે થોડુંક મન જરૂરી છે અને તે જ દર્શાવવા અર્ધચંદ્રાકાર ચંદ્ર માથા પર છે.

માથું ડહાપણનું પ્રતીક છે. જ્ઞાન મનથી પરે છે, પરંતુ તે વ્યક્ત કરવા માટે થોડું ચિત્ત પણ હોવું  જરૂરી છે. અને તે આ માથા પરના અર્ધચંદ્રાકાર ચંદ્ર ના પ્રતિક દ્વારા સૂચિત થાય છે.

ડમરૂ બ્રહ્માંડનું પ્રતીક છે જે હંમેશા વિસ્તરે છે અને સંકોચાય છે. વિસ્તરણમાંથી તે સંકોચાઈ જાય છે અને તેમાંથી ફરી વિસ્તાર પામે છે, આ સૃષ્ટિ ના સર્જન નો લય છે.

જો તમે તમારા હ્રદયના ધબકારાની રેખા જુઓ તો તે ફક્ત એક સીધી રેખા નથી, પરંતુ તે એક લયમાં છે જે ઉપર જાય છે અને નીચે આવે છે.

સમગ્ર વિશ્વ બીજું કશું નહીં પણ ફ્ક્ત લય છે, ઉર્જા વધે અને ક્ષીણ થાય અને ફરીથી વધે છે. તેથી ડમરૂ આનું પ્રતીક છે. આ ડમરૂ નો આકાર જુઓ, તે વિસ્તરણ માંથી સંકોચાય છે અને ફરીથી વિસ્તરે છે. તે ધ્વનિનું પણ પ્રતીક છે. ધ્વનિ લય છે અને ઊર્જા છે. સમગ્ર બ્રહ્માંડમાં બીજું કશું જ નથી પણ એક તરંગ છે, ફ્ક્ત લય છે,

કવોન્ટમ ફિઝિક્સ શું કહે છે? તે જ વસ્તુ કહે છે - આખા બ્રહ્માંડમાં લયબધ્ધ તરંગો છે. કોઇ બે વસ્તુઓ નથી, માત્ર એક જ બાબત છે. તે માત્ર એક તરંગ છે.

આદિ શંકરાચાર્યે આ જ કહ્યું હતું કે માત્ર એક જ બાબત છે (અદ્વૈત).

જો તમને દેખાય કે આ બલ્બ અલગ છે, પેલો બલ્બ અલગ છે, પંખો અલગ છે, તો પછી તે તમારી ગેરસમજ છે, તો તમને વાસ્તવિકતાની ખબર નથી. વાસ્તવિકતા એ છે કે માત્ર એક જ વીજળી છે અને માત્ર એક જ મુખ્ય સ્વીચ છે અને જો તે ચાલુ થાય, તો બધા બલ્બ ચાલુ થાય છે. જો તે બંધ હોય, તો બધું જ બંધ છે. તેથી તે એક વસ્તુથી બધું ચાલે છે અને તે વીજળી છે. આમ આ સમગ્ર બ્રહ્માંડ એક ચેતના અથવા એક ઊર્જા છે.

હવે વીજળી સારી છે કે ખરાબ છે? એવું કશું નથી.

જો તમે સોકેટમાં તમારો હાથ મૂકો અને તમને તે સમયે એક આંચકો લાગે, તો તે સારું છે? અને જો તમને આંચકો લાગ્યો તો વીજળી ખરાબ છે? ના! વીજળી ખરાબ છે તેમ કહેવું તે મૂર્ખતા છે, કારણ કે તે ખૂબ જ આરામ આપે છે - પ્રકાશ, ધ્વનિ, પવન, ખોરાક - બધું વીજળીની મદદથી મળે છે. આજ સમયે વીજળી ખૂબ જ હાનિકારક પણ છે. જો હાઇ વોલ્ટેજના વીજળીના તાર તમારા ઘર ઉપર થી પસાર થાય, તો તેમાંથી ખૂબ જ વિકિરણ નીકળે છે, જે ખૂબ જ હાનિકારક છે.

તેથી વીજળી ન સારી છે કે ન ખરાબ. આ જ આપણે સમજવું જોઈએ. એટલે જ કહેવાય છે કે બ્રહ્મતત્વ અર્થાત જીવન સારા અને ખરાબ થી પરે છે. સારું અને ખરાબ હંમેશા સાપેક્ષ છે, કશું અનિષ્ટ નથી અથવા સારું નથી, તે આ તમામથી પરે છે, તે એક જ વસ્તુ છે - આને તત્વજ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય છે.

પ્ર: ડિયર ગુરુદેવ, હમણા તમે ઉલ્લેખ કર્યો કે સમૃદ્ધ લોકો વધુ સમૃદ્ધ બને છે અને ગરીબ લોકો ગરીબ રહે છે કારણ કે તેઓ અભાવ છે તેમ વિચારે છે. શું કુદરતમાં આ અસંતુલનને ઠીક કરવા કોઇ ઉપાય છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, જ્ઞાન દ્વારા. છે તે માટે જ આપણે દરેકને આત્મવિશ્વાસ કેળવવા અને 'અભાવ' ના વિચાર માંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જે લોકો પાસે હોય તેમણે સેવા શરૂ કરવી જોઈએ. જેમની પાસે નથી તેઓ એ જાણી લે કે તેમની જરૂર પૂરી થશે અને તેમણે ખંતથી કામ શરૂ કરવું જોઈએ.
પ્ર: તમને ક્યારે સમજાયું હતું કે તમે ગુરુદેવ બનવાના છો?

શ્રી શ્રી રવિ શંકર: રામાયણમાં એક સરસ વાર્તા છે.

એક રઝળતો કૂતરો રસ્તા પર જતો હતો અને કોઇએ શ્વાનને પથ્થર માર્યો અને તેને ભગાવી દીધો, તેથી તે કૂતરો દરબાર માં ગયો. એવું કહેવાય છે કે ભગવાન રામના દરબારમાં દરેક ને ન્યાય મળતો, પ્રાણીઓ ને પણ. તેથી કૂતરો દરબારમાં ગયો અને કહ્યું કે, ’રસ્તો બધાને માટે છે. ક્યાંય એવું નથી લખ્યું કે કૂતરાઓને અહીં આવવાની અનુમતિ નથી. હું રસ્તા પર ચાલતો હતો અને આ માણસે મને ઇજા પહોંચાડી. તમારે તેને સજા આપવી જોઈએ.'

તેથી ભગવાન રામે તે વ્યક્તિને પૂછ્યું કે આ વાત સાચી છે. તે વ્યક્તિ જૂઠુ ના બોલી શક્યો, અને સંમત થયો કે તેણે કૂતરાને ઈજા પહોંચાડી છે.

તે દિવસોમાં ભોગ બનનારને પૂછવામાં આવતું કે અપરાધીને શું સજા આપવી.

તેથી જ્યારે કૂતરાને પૂછવામાં આવ્યું કે જે માણસે તને પથ્થર મારી ને ઇજા પહોંચાડી તેને શું સજા આપવી ત્યારે કૂતરાએ જણાવ્યું, 'તેને એક ધાર્મિક સંસ્થાનો વડો (પ્રમુખ) બનાવો. તેને કોઇક આશ્રમનો ગુરુ બનાવો.'

લોકોએ કહ્યું કે આ એક ખૂબ જ વિચિત્ર સજા છે.

કૂતરાએ કહ્યું, 'શા માટે તમે પૂછો છો? હું કહું છું તેમ કરો. હું પણ મારા પાછલા જીવનમાં એક ગુરુ હતો. જુઓ, શું થયું! મૃત્યુ પહેલાં મને લાગ્યું કે ગુરુ થવા કરતા તો હું કોઇ રઝળતો કૂતરો હોત તો વધુ સારું હોત. જુઓ, એટલે જ હું એક કૂતરો બની ગયો છું. મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ વ્યક્તિ પણ એક આશ્રમનો પ્રમુખ બની જવો જોઇએ, પછી તેને સમજાશે કે જીવનમાં મુશ્કેલી શું છે, અને પીડા શું છે, અને વેદના શું છે.'

આ રામાયણની ખૂબ રમુજી વાર્તા છે.

જુઓ, જે  'હું ગુરુ છું' કહેતા ફર્યા કરે તે ગુરુ ન બની જાય. ગુરુ તત્વ તેનામાં પ્રકટ થાય છે જે ગુરુ હોવાનો દાવો કરતા નથી. જે સરળ અને સહજ રહે છે તે સદ્‌ગુરુ છે. આ ગુરુ તત્વ નો એક નાનકડો અંશ તમારા બધામાં પણ હાજર છે. તમે પણ કોઈ વ્યક્તિને આજે નહી તો ક્યારેક કેટલીક સારી સલાહ આપી છે, અને તમે પણ તમારી આસપાસના લોકોમાં પ્રેમ અને આનંદ ફેલાવો છો. ખરું ને!

આપણે શું  કરવું જરૂરી છે? આપણે પ્રેમ અને સેવા કંઈપણ મેળવવાની અપેક્ષા વિના જ કરવી જોઈએ. આ અગત્યનું છે.

સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ, મેં આ વ્યક્તિને ખૂબ જ પ્રેમ આપ્યો છે, પણ બદલામાં તેણે મને શું આપ્યું. આ રીતે, આપણે અન્ય વ્યક્તિને બતાવવા માંગીએ છે કે આપણે તેમને  પ્રેમ કરી તેમના પર ઉપકાર કર્યો છે, આ ન કરવું જોઇએ.

પ્રેમ તમારો સ્વભાવ છે, પ્રેમ કરવાનો અર્થ એ નથી કે તમે કહ્યા કરો કે, 'ઓહ, હું તમને કેટલો બધો પ્રેમ કરું છું’, ના! તે ગૌરવ, કરુણા, અને સરળતા, સહજતા સહિતનું વર્તન છે, અને આપણે આ ગુણો સાથે જ જન્મ લઇએ છે. જો ક્યારેક તમને મક્ક્મ થવું જરૂરી લાગે તો તમે મક્ક્મ થાવ, ગુસ્સો ત્યાં જ આવે જ્યાં અમુક પ્રમાણમાં પ્રેમ છે.

તેમ છતાં, તમારા બધા ગુણો નો ત્યાગ (સર્મપણ) કરીને અંદરથી ખાલી થઇ જાવ. ગુરૂ તત્વ ને વિકસાવવા તમારે આ કરવાની જરૂર છે - તમારા બધા જ હકારાત્મક અને નકારાત્મક ગુણો સમર્પિત કરો અને ખુશ રહો.

પ્ર: ગુરુદેવ, કહેવાય છે કે પુરાણકાળમાં લોકો વર્ષો સુધી સમાધિસ્ત રહેતા. પરંતુ આજના જમાનામાં વીસ મિનિટ બસ છે. શું આ કથાઓ સાચી છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, કેવી રીતે કોઈ સમાધિ માં બેઠા અને સમય જતાં તેમની આજુબાજુ એક કીડીનો રાફ્ડો બની ગયો હતો તેવી વાર્તાઓ છે, પણ તેવું નથી. તે એવું દર્શાવે છે કે જ્યારે કોઇ ધ્યાન માં બેસે છે ત્યારે શરીર પર અમુક સંવેદના થાય છે જાણે શરીર પર કીડીઓ ફરતી હોય.

એક સદ્‌ગુરુ ના માર્ગદર્શનમાં સમાધિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ગુરુ વિના સમાધિ નો અનુભવ કરી શકાતો નથી.

પ્ર: ગુરુદેવ, કુંડલિની શું છે? તેને કેવી રીતે જાગૃત કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: કુંડનો અર્થ છે શરીર અને કુંડલિની એટલે આ શરીરમાંની સભાન ઊર્જા.

એડવાન્સ કોર્સ માં ધ્યાન દરમ્યાન જે અનુભવ થાય છે તે કુંડલિની જ છે. કુંડલિનીનું અર્થઘટન બીજી કોઈ રીતે શક્ય નથી. જો ધ્યાન થયું, તો તે કુંડલિની ની જાગૃતિ વગર શક્ય નથી. જો તમે ધ્યાન માં ઉતર્યા, તો તમારામાં કુંડલિની જાગૃત થઇ ગઇ છે.

પ્ર: ગુરુદેવ, હમણા તમે કહ્યું હતું કે તમે જીવનમાં જે મેળવવા માંગો છો, તે તમારી પાસે પહેલેથી જ છે એમ માની લો. શું હું મારા જીવન માં એક વ્યક્તિ વિશે પણ આ જ માની શકું?

શ્રી શ્રી રવિ શંકર: હા, તે શક્ય છે, પરંતુ કોઈ ખાતરી નથી કે તે આ જીવનકાળ માં થશે. તે આગામી જીવનકાળ અથવા દસ જીવનકાળ પછી પણ થઇ શકે છે. તેથી મેં જણાવ્યું હતું કે આકાંક્ષા પોતાના સમયે જ ફળિભૂત થશે.

પ્ર: ગુરુદેવ, મારું પારિવારિક જીવન સારું છે, સારી કારકિર્દી છે, પરસ્પર સંબંધો સારા છે, અને હું ખૂબ સંતુષ્ટ છું; મને ખબર છે કે ભગવાન મારી અંદર છે, તો શું મારે હજી ધ્યાન કરવું જરૂરી છે?

શ્રી શ્રી રવિ શંકર: જુઓ, ધ્યાન તમારી પાસે જે કંઈક છે તેને જાળવે છે. તમારા જીવનમાં બધું સારી રીતે ચાલી રહ્યું છે, તો તમે તે જાળવી રાખવા માંગો છો? શું તમે સારું સ્વાસ્થ્ય, સારા સંબંધો જાળવી રાખવા માંગો છો? તો પછી તમારે ધ્યાન કરવું જોઇએ.

ધ્યાન તાણ ઘટાડે છે નહીંતો તણાવ ધીમે ધીમે વધે છે અને પાંચ દસ વર્ષ પછી મોટો વિસ્ફોટ થશે. ધ્યાન તમને માનસિક સ્વસ્થતા રાખવામાં મદદ કરે છે અને તમારી પાસે પહેલેથી જ જે છે તે જાળવવામાં મદદ કરે છે.


તેથી જ તેને યોગક્ષેમમ્‌ કહેવામાં આવે છે; યોગ જે નથી તે પ્રાપ્ત કરવા, અને ક્ષેમ જે પહેલાથી જ છે તેનું રક્ષણ કરવા માટે. તમારી પાસે પહલેથી જ બધું હોય અને તમે તેને જાળવી રાખવા માંગતા હો તો ધ્યાન આવશ્યક છે. તમારી પાસે કંઇક નથી તો તે મેળવવા માટે પણ તમારે ધ્યાન કરવું જરૂરી છે.

Wednesday, 16 May 2012

પ્રત્યેક ખરાબ વ્યક્તિમાં એક સારો વ્યક્તિ છુપાયેલો હોય છે.

બલ્ગેરિયા, ૧૬ મે ૨૦૧૨

આપણે ટેક્નોલોજી ના યુગમાં જીવીએ છીએ. ટેકનોલોજી એ વિશ્વને એક ગામમાં ફેરવી દીધું છે. આપણે એક વૈશ્વિક ગામમાં રહીએ છે. હું તેને વૈશ્વિક કુટુંબ તરીકે જોવા માંગુ છું. આ મારું સપનું છે, વિશ્વને એક વૈશ્વિક કુટુંબ તરીકે જોવાનું.

આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આ દુનિયામાં વિવિધ સંસ્કૃતિઓ, રીતિરીવાજો, ભાષાઓ અને ધર્મો છે. શું તમને ખબર છે કે બુદ્ધિશાળી લોકો શું કરે છે? તેઓ હંમેશા તફાવતો અને વિવિધતા ને ઉત્સવની જેમ ઉજવે છે.

અને મૂર્ખ લડે છે અને યુદ્ધો કરે છે. ખરું કે નહીં?

આપણે શું કરવા ઇચ્છીએ છે  - વિશ્વના લોકોને શિક્ષણ આપવાનું. લોકો અજ્ઞાની અને મૂર્ખ એટલા માટે છે કારણ કે તેઓને તેમની દ્રષ્ટિ વિસ્તૃત કરવાની કોઈ તક મળી જ નથી. આર્ટ ઓફ લિવિંગનું ધ્યેય એ જ છે કે જીવનનો એક વ્યાપક દ્રષ્ટિકોણ પૂ્રો પાડવો; દરેક આંસુ નું સ્મિતમાં, ક્રોધ નું કરુણા માં, અને તિરસ્કાર નું બિનશરતી પ્રેમ માં રૂપાંતર કરવું.

ચાલો બધા એક એવા વિશ્વ ને જોવા હાથ મિલાવીએ - એ વિશ્વ જે હિંસા, રોગ, ઉદાસી, અને ગરીબી થી મુક્ત હોય!

પ્રથમ, આપણે એક મોટું સ્વપ્ન જોવાની જરૂર છે. જ્યારે હું શાળામાં હતો, જ્યારે હું એક છોકરો હતો - અત્યારે પણ હું માત્ર જ બાળક છું - હું મારા બધાં મિત્રોને કહેતો કે મારું કુટુંબ વિશ્વભરમાં ફેલાયેલું છે. તેઓ મારી માતા પાસે આવીને પૂછી જતાં કે શું અમારો પરિવાર લંડન, જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં છે, અને મારા માતા જવાબ આપતા 'ના'. તેઓ મારા કાન ખેંચતાં અને મને પૂછતાં, 'તું  શા માટે ખોટું બોલે છે?'

મારા માતા કહેતાં કે 'તે  ક્યારે પણ ખોટું નથી બોલતો, પરંતુ આ એક બાબત તે હંમેશા કહ્યા કરે છે કે, તે સમગ્ર વિશ્વમાં બધાં લોકોને જાણે છે. હું મારા બધાં મિત્રોને કહેતો 'તમને શું જોઈએ છે? સ્ટેમ્પ્સ અથવા સિક્કા અથવા ચલણ? હું તે તમને મોકલવીશ, ચિંતા ન કરતાં. વિશ્વભરમાં મારાં સંબંધીઓ અને પરિવાર છે'.

મેં આવું એટલા માટે જણાવ્યું હતું કે આપણાં બધાંની અંદર ઊંડે એક જ આત્મા છે જે દરેક વ્યક્તિને સાથે જોડે છે. દરેક માનવી આનંદ, ઉત્સાહ પ્રેમ અને શાણપણ સાથે જન્મે છે. પરંતુ જેમ આપણે મોટા થઇએ ક્યાંક તેને ગુમાવી દઇએ છે. આપણે તે ગુમાવવી ન જોઇએ. આપણને આ ભેટ પ્રાપ્ત થઈ છે, એ જાળવવી જોઈએ.

ઠીક છે, જો તેને ગુમાવી દીધી હોય, તો આપણે તેને પાછી મેળવવી જોઈએ. અને તમે તેને કેવી રીતે પુનઃપ્રાપ્ત કરી શકો? તમારી દ્રષ્ટિ વ્યાપક બનાવીને, અને તમારી આજુબાજુના બધા સાથે આત્મિયભાવ કેળવીને.

આ મારી બલ્ગેરિયાની બીજી મુલાકાત છે. મને  પહેલાની સરખામણીમાં ઘણાં બધા ફેરફારો દેખાય છે. મૂળભૂત વ્યવસ્થા (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) વધી રહી છે, અર્થતંત્ર પહેલાં કરતાં વધુ સારું બન્યું છે; તે  હજી પણ સારું હોઇ શકે છે. એની સાથે, હું એ પણ કહીશ કે તમારા મૂળિયા ઊંડા છે, તમારી સંસ્કૃતિ અને પરંપરા હજારો વર્ષની છે. તે નહીં ગુમાવી બેસતા. યુવાનોએ તેમના મૂળ જાળવવાની સાથે તેમની દ્રષ્ટિ વિસ્તૃત  કરવી જોઈએ. તે કારણોસર અમે જણાવ્યું હતું કે આપણે સાથે મળીને આજે બેગપાઇપનો (યુરોપના કેટલાક દેશોમાં વગાડવામાં આવતું સંગીતનું એક વાદ્ય) પ્રોગ્રામ રજૂ કરીશું. આનો હેતુ જૂની પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો છે.

મારે એ પણ કહેવું છે કે કેટલાંક બલ્ગેરિયન ગાયકો અને નૃત્યાંગનાઓ એ પણ ભારતની મુલાકાત લીધી હતી અને ભારતમાં તેમનાં કાર્યર્ક્ર્મ થયાં હતાં

આમ આપણે લોકોને સાથે લાવવાની જરૂર છે. આ જ શાણપણ છે. હિંસા-મુક્ત સમાજ, રોગ-મુક્ત શરીર, મૂંઝવણ-મુક્ત મન, દમન-મુક્ત બુદ્ધિ, દુ:ખ-મુક્ત આત્મા, ભયમુક્ત સ્મૃતિ, અને તણાવ-મુક્ત જીવન આ બધાંનો જન્મસિદ્ધ અધિકાર છે. આના માટે આર્ટ ઓફ લિવિંગ અને તેના તમામ સ્વયંસેવકો કાર્ય કરે છે. લોકોના ચહેરા પર સ્મિત લાવવા, અહીં સેંકડો સ્વયંસેવકો જે  દિવસ અને રાત થાક્યા વગર કામ કરે છે તેનાથી હું ખુશ છું અને તેમને અભિનંદન આપું છું.

તેથી, હું તમને ફકત ૫ મુદ્દા કહીશ અને કેવી રીતે સુખી થવું તેના ૫ રહસ્યો બતાવીશ.

એકવાર એક શાણા માણસે એક લાઇન દોરી અને તેમના વિદ્યાર્થીઓ ને કહ્યું કે આને તમે ભૂસ્યા વિના કે સ્પર્શ કર્યા વિના ટૂંકી બનાવો. તે તમે કેવી રીતે બનાવશો?

એક ચપળ વિદ્યાર્થીએ તે લીટી નીચે એક લાંબી લાઇન દોરી. તેથી, તે લીટી આપોઆપ ટૂંકી બની ગઇ. અહીં પાઠ એ છે કે જો તમારી મુશ્કેલીઓ ઘણી મોટી દેખાય, તો તમારી નજર ઉપર કરો કારણ કે તમે માત્ર તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો તમે તમારી નજાર ઉઠાવીને  જે તમારા કરતાં વધુ ખરાબ પરિસ્થિતિમાં છે તેમને જોશો, તો તમને અચાનક લાગશે છે કે તમારો બોજ  તમે જેટલો વિચાર્યો હતો તેટલો ખરાબ નથી.

જો તમને લાગે કે તમારી  સમસ્યા ઘણી મોટી  છે, તો જે લોકોની સમસ્યા એનાથી પણ મોટી હોય તમની સામે જુઓ. અચાનક, તમને વિશ્વાસ આવશે કે મારી સમસ્યા ઘણી નાની છે, અને હું તેનો સામનો કરી શકીશ.

તેથી, કેવી રીતે સુખી થવું તેનો પ્રથમ મુદ્દો એ છે કે વિશ્વની મહાન અને મોટી અનેક સમસ્યાઓ છે તે જુઓ. પછી, તમારી સમસ્યા નાની દેખાશે. જે ક્ષણે તમારી સમસ્યા નાની દેખાશે, તમારામાં શક્તિ નો સંચાર થશે અને સમસ્યા ઉકેલવાનો વિશ્વાસ મળશે. ટૂંકમાં, જેમને વધારે જરૂર હોય તેવા લોકો ની સેવા કરો.

બીજું, તમારા પોતાના જીવન તરફ જુઓ. ભૂતકાળમાં, તમને ઘણી તકલીફો હતી. તે બધી આવીને ચાલી ગઇ.

ધ્યાનમાં રાખો કે આ સમસ્યા પણ જશે અને તે હલ કરવાની તમને ઊર્જા અને ક્ષમતા મળશે. તમારા પોતાના ભૂતકાળ તરફ જોઈને અને સમજીને તમારો આત્મવિશ્વાસ વધશે.

ત્રીજું, અને સૌથી મહત્વપૂર્ણ, અમુક શ્વાસની કસરત અને વિશ્રામ કરો.

ચોથું, જુઓ આપણે ક્રોધમાં કહેતા હોઇએ છે , 'હું આ છોડી દઉ છુ'.તો હતાશા કે ગુસ્સા વિના કહો કે, 'હું આ સમસ્યા સમર્પણ કરુ છું,

મને તે ઉકેલવા માટે, ઇશ્વર જ મદદ કરી શકશે', અને ખાત્રી રાખો કે તમને હંમેશા મદદ મળી રહેશે. એ વિશ્વાસ રાખો કે તમને મદદ મળી રહેશે જ; બ્રહ્માંડની એ શક્તિ તમને મદદ કરશે.

પાંચમું - તમને શું લાગે છે, પાંચમું શું હશે? હું તમાર પર છોડી દઉ છું. તમે પાંચમા મુદ્દા બાબત એકવાર વિચાર કરો. હું બીજા ૨૫-૩૦ રહસ્યો કહી શકું છું, પરંતુ હું ઇચ્છું છું કે પાંચમો તમે જાતે વિચારીને કહો.

આપણે હંમેશા બીજા કોઈ પાસેથી સમસ્યાના ઉકેલો શોધીએ છીએ. આપણે ભૂલી ગયા છે કે જો આપણે આપણું મન અંદરની તરફ લઇ જશું તો ધ્યાનમાં કેટલાક વિચારો, અમુક ઉકેલો મળી આવશે. પાંચમો મુદ્દો છે - સ્વભાવિકતા!

સ્વભાવિક (spontaneous) બનો. જ્યારે તમે થોડી મિનિટો માટે અંદર ઊંડા ઉતરશો ત્યારે સ્વભાવિકતા આપોઆપ આવશે. જ્યારે જીવન સરળતાથી ચાલે છે, તમે ઇચ્છો તે પ્રમાણે બધું મળી રહે છે, ત્યારે હસતા રહેવું તે કોઇ મોટી વાત નથી. પરંતુ જો તમે તમારી અંદર શૌર્ય જગાવી ને કહેશો કે, 'જે પણ થાય હું પ્રસન્ન જ રહીશ', તો તમને જણાશે કે તમારી અંદરથી વિપુલ ઉર્જાનો સંચાર થાય છે. અને સમસ્યાઓ તો જાણે કશું જ નથી; તેઓ માત્ર આવે છે અને જાય છે.

મારે એ પણ ઉલ્લેખ કરવો છે કે અમારા સ્વયંસેવકો એ બલ્ગેરિયાની બધી જેલમાં ઘણા સારા કામ કર્યા છે. કોર્સ કર્યા પછી, જેલમાં રહેતા સેંકડો લોકો ના સમગ્ર જીવન બદલાઈ ગયા છે. કેવી સરસ વાત છે!

આ જ સમજદારી છે. એક અપરાધીમાંથી પણ સારા ગુણોને બહાર લાવવા એ બુધ્ધિમત્તા છે. એક સૌથી ખરાબ અપરાધીમાં પણ કંઈક સરસ છે; કેટલાક સારા ગુણો છે. આપણે તે બહાર લાવવા જરૂરી છે. તે માટે બુદ્ધિ અને સમજદારીની જરૂર છે. કોઈકને દોષી ઠરાવવા માટે બહુ સમજદારીની જરૂર નથી, પરંતુ જેઓની નિંદા કરવામાં આવે છે તેઓ માં કરુણાજગાવવી તે ઘણા પ્રયત્નો માંગી લે છે; અને હું આપણા બધા સ્વયંસેવકો અને શિક્ષકો ને અભિનંદન આપુ છું જે કોઇ પણ સ્વાર્થ વગર છે, ફક્ત એક જ હેતુ થી જેલમાં જાય છે - તેમના જીવનમાં માનવીય મૂલ્યો પાછા લાવવા.

મૂર્ખ લોકો બધાંને દુષ્ટ અને 'ખરાબ' ગણે છે, ધર્મનિષ્ઠ લોકોને પણ. આ લોકો કહે છે બધા ખરાબ છે. સમગ્ર વિશ્વ ખરાબ છે. આ કેવું કમનસીબ છે; તે સારી સોબત નથી. છેલ્લા અઠવાડિયે જ્યારે હું કેનેડામાં હતો,

એક દંપતિ મને મળવા આવ્યા; તેઓ આંસુ સારતાં હતા. તેમના કિશોરવયના પુત્રે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની નોંધ માં, તેણે લખ્યું હતું કે સમગ્ર વિશ્વ ખરાબ છે; તેમાં રહેવાનો કોઇ અર્થનથી. સારા લોકોને આ દુનિયામાં રહેવાની કોઈ જગ્યા નથી. દુનિયાનું સંચાલન અનિષ્ટ અને ખરાબ લોકોએ હાથમાં લઇ લીધું છે.

તે યુવાને કેટલી પીડા અનુભવી હશે - જ્યારે દરેક તમને કહે છે કે દુનિયામાં બધા ખરાબ છે. આ સારી સોબત નથી. કોઈપણ ખરાબ વ્યક્તિની અંદર એક સારો વ્યક્તિ છુપાયેલો છે જેને બહાર લાવવાની જરૂર છે. જ્યારે સદ્‌ગુણો ઉપર આવે છે, તો નકારાત્મકતા આપોઆપ અદૃશ્ય થઈ જાય છે.

પ્રશ્ન: અમારે ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ વિષે અને આવનારા વર્ષો વિષે કાંઇ જાણવાની જરૂર છે?

શ્રી શ્રી રવિશંકર: કંઈ નહીં. બધું બરાબર હશે. ફ્ક્ત વિશ્રામ કરો. આ વિશ્વનો અંત થવાનો. તે માત્ર અમેરિકન મુવીમાં જ થાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, આ વર્ષ 'નંદ' છે, જેનો અર્થ 'આનંદનું વર્ષ' થાય છે.

લોકો વધુ અને વધુ આધ્યાત્મિક થશે અને અન્ય લોકોને વધુ અને વધુ સુખ આપવા માંગશે. મને આશા છે કે આવું વધુ થાય.

સુખ બે પ્રકારના હોય છે. એક કાંઇ મેળવવામાં માં આનંદ છે. બીજા પ્રકારનો આનંદ જ્યારે તમે કાંઇ આપો છો ત્યારે મળે છે.

પ્રશ્ન: જ્યારે અમને અમારા કામમાં હવે નથી આનંદ નથી આવતો તો શું કરવું?

શ્રી શ્રી રવિશંકર: તમારે ભરણપોષણ માટે કામ કરવું જોઈએ. પરંતુ આનંદ માટે, તમારે સેવા કરવી જોઈએ. કોઇ પણ સામાજિક સેવા કરવામાં વ્યસ્ત રહો. તમે જોશો કે તે તમને સંતોષ અને આનંદ આપે છે. હું જાણતો હતો આ પ્રશ્ન આવશે તેથી મેં જણાવ્યું હતું કે આપવા માં આનંદ છે. લેવાને બદલે આપવા માં આનંદ મેળવો.

પ્રશ્ન:  કેવી રીતે વધારે સારા બનવું અને ભલાઇ કેવી રીતે ફેલાવવી?

શ્રીશ્રી રવિશંકર: આ માટે જ આર્ટ ઓફ લીવીંગ ના કોર્સીસ છે, બધા માં રહેલી ભલાઇ ને બહાર લાવવા માટે, અને તમે જોશો કે તે (ભલાઇ) ચોક્કસપણે પ્રવર્તે છે.

પ્રશ્ન: આજના ઝડપી યુગમાં અમારા બાળકો સાથે સારો સંબંધ જાળવી રાખવા માટે શું કરી શકીએ?

શ્રી શ્રી રવિશંકર: અમે આના માટે કોર્સ બનાવ્યા છે. KYC (Know Your Child) - તમારા બાળક ને જાણો અને KYT (Know Your Teen) - તમારા યુવાન ને જાણો. તે માત્ર બે દિવસનો, રોજના બે કલાક લાંબો કોર્સ છે. તમને આ કોર્સમાં ઘણા સુંદર વિચારો મળશે. તે ઘણા લોકપ્રિય બની ગયેલ છે કારણ કે તે ખૂબ જ અસરકારક છે.

આપણાં બાળકો સાથેના સંબંધોમાં ફેરફારો આવે છે અને જે રીતે તેઓ તમને કઇ રીતે જવાબ આપે છે તેમાં પણ ફેરફારો આવશે.

પ્રશ્ન: આપણામાંનો ભય કેવી રીતે દૂર કરવો?


શ્રી શ્રી રવિ શંકર: પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા કરીને.