Thursday, 3 May 2012

બાળક જેવા બની જાવ. કોઈ નિગ્રહ (અવરોધ) નહિ, પૂર્વગ્રહ નહિ. સરળ અને કુદરતી!

કિવ, યુક્રેન

આપણે આનંદ ફેલાવવાનો છે, જે ઉલ્લાસ આપણને મળ્યો છે તે ફેલાવવાનો છે. વધુમાં વધુ લોકોએ જાણવાનું છે કે જીવનમાં બીજુ ઘણુ બધુ છે, આપણે જીવન વિશે ઘણું ઓછુ જાણીએ છીએ.

આપણે જે નથી જાણતા તેનો વ્યાપ ઘણો મોટો છે. આ જ્ઞાન કેટલું અમૂલ્ય છે. છે ને?

જુઓ, આપણે વિચારીએ છીએ કે મન શરીરમાં છે. ના, હકીકતમાં શરીર મનમાં છે. શરીર એ મીણબત્તીની દિવેટ જેવું છે. મન એ ચારે તરફ ફેલાતી જ્યોત જેવું છે. તમે જેટલા વધુ શાંત થશો મન તેટલું જ વધુ વિસ્તૃત થઈ મોટુ બનશે. મન જેટલુ વધારે સંતુષ્ટ અને તૃપ્ત હશે, તમે તેટલાજ પ્રમાણમાં વિશાળ અને તેજસ્વી મહેસૂસ કરશો.

પ્રશ્નઃ ગુરુજી, કીવમાં સો થી વધુ સંત પુરુષોના દેહ છે. તમે તે વિશે કઈં કહેશો?

શ્રી શ્રી રવિશંકરઃ સંત એ શરીર નથી. સંત આત્મા છે. શરીર બધા શાકભાજી, ધાન્ય અને તમામ ખાદ્યમાંથી બને છે. શરીર અહીં યુગોથી છે. શરીરનો પ્રત્યેક અણુ આ ધરતીનો છે.

તે ધરતીમાંથી આવે છે અને ધરતીમાં પાછો સમાય જાય છે. પરંતુ ચેતના (આત્મા) ખૂબજ મહત્વની છે. તે બધે જ પ્રસરેલી છે.

પ્રશ્નઃ  પરંતુ તે શરીર સડતા નથી, તે જેમ છે તેમના તેમજ રહે છે.

શ્રી શ્રી રવિશંકરઃ હા, તે ભક્તિ છે, જેટલી વધુ ભક્તિ અને પ્રેમ હશે, તે શરીરના દરેક અણુને પરિવર્તિત કરે છે, અને તેજોમય બનાવે છે.

જ્યારે શ્રધ્ધા હોય તો ચમત્કાર થાય છે. એમ ન વિચારતા કે આત્મા ફક્ત શરીર સાથેજ જોડાયેલો  છે. આત્મા બધેજ વ્યાપ્ત છે. તો તમે જ્યાં પણ હો, જ્યારે તમે વિચારો તમે આત્મા સાથે પહેલેથી જ જોડાયેલા છો.

આપણું શરીર ટીવીના ખોખા જેવું છે. ખરી ઉર્જા ચેનલની તરંગઆવૃત્તિ છે. તો જ્યારે તમે ટેલિવિઝન ચાલુ કરો તો તમને ચેનલ દેખાય છે. પરંતુ હકીકતમાં તેના તરંગો માત્ર ટેલિવિઝનમાંજ નહિ આખા રૂમ(ઓરડા)માં હોય છે.

પ્રશ્નઃ મનની નકારાત્મક ટેવોમાંથી કેવી રીતે મુક્ત થવું?

શ્રી શ્રી રવિશંકરઃ સારી સોબત. સાચો મિત્ર એજ છે જેની સાથે થોડો સમય બેસી, નકારાત્મક વાત કરો પરંતુ પછી તમે સકારાત્મક વિચાર કરતા થઈ જાવ. ખરાબ મિત્ર એ છે જેની સાથે તમે થોડી નકારાત્મક વાત કરો અને નકારાત્મકતા વધી જાય.

તો પહેલા સારી સોબતમાં રહો, બીજુ પ્રાણાયમ, સુદર્શન ક્રિયા અને ધ્યાન કરો અને ત્રીજુ શરીર સાફ કરો.

ક્યારેક, જો તમારી હાજત બરાબર ન હોય કે આંતરડા કઠણ હોય, તો તે મનને પણ અસર કરે છે. ક્યારેક શરીરની સફાઈ પણ જરૂરી છે. શરીરમાં રહેલી અશુધ્ધિ સાફ કરો, ઉપવાસ કરો.

આયુર્વેદ, પંચકર્મ આ બધું તમને મદદ કરશે.

પ્રશ્નઃ જીવનમાં રોગ શા માટે આવે છે? તેનો હેતુ શું છે?

શ્રી શ્રી રવિશંકરઃ તે એટલા માટે આવે છે કે આપણે કુદરતના નિયમોનું પાલન કરતા નથી. જે ન ખાવું જોઈએ તે ખાઈએ છીએ, અથવા વધુ પ્રમાણમાં ખાઈએ છીએ. પર્યાવરણની પણ કાળજી રાખતા નથી. દરેક જગ્યાએ કેટલા બધા મોબાઇલ ફોન માટેના ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. તેના ઘણા તરંગો હોય છે. આ બધુ આપણને અસર કરે છે. જો તમારુ મન તણાવયુક્ત હોય તો, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે.

પ્રશ્નઃ આપણે શેના માટે જીવિએ છીએ?

શ્રી શ્રી રવિશંકરઃ આપણે શેના માટે નથી જીવતા પહેલા તેની યાદી બનાવો. જીવનનો હેતુ દુઃખી થવાનો કે લોકોને દુઃખી કરવાનો નથી. બરાબર ને? તો શું હેતુ છે? આપણે બીજાના જીવનમાં સુખ કેવી રીતે લાવી શકીએ? આપણા આંતરિક અસ્તિસ્વ સાથે કઈ રીતે જોડાઈ શકીએ? આપણે કોણ છીએ તે કઇ રીતે જાણીએ? તે જ આધ્યાત્મિકતા છે અને તમે બરાબર જગ્યા પર આવ્યા છો.

પ્રશ્નઃ એક દિવ્ય બાળક મેળવવા માટે મન અને હૃદયને કેવી રીતે તૈયાર કરવું?

શ્રી શ્રી રવિશંકરઃ બાળક જેવા બની જાવ. કોઈ નિગ્રહ (અવરોધ) નહિ, પૂર્વગ્રહ નહિ. સરળ અને કુદરતી. બસ આટલુંજ!

પ્રશ્નઃ હું એમ વિચારતી હતી કે મારા જીવનનો હેતુ લોકોને સંગીત અને ગાયન દ્વારા આનંદ આપવાનો છે, જેથી તેમની ચેતના વધુ ઉપર ઉઠે.

શ્રી શ્રી રવિશંકરઃ સંગીત વગર જીવન અધૂરું છે, પરંતુ સંગીત જીવનમાં સર્વસ્વ નથી. તો, સંગીત એક વસ્તુ છે, જીવનમાં કરવા માટે બીજી વસ્તુઓ પણ છે. તે કરો. પણ આ બધામાંથી સૌથી પહેલું આવે છે ડહાપણ. ડહાપણ ઘણું મહત્વનું છે. આધ્યાત્મિક જ્ઞાન ઘણું મહત્વનું છે.

પ્રશ્નઃ હું મારા પુત્રથી દુઃખી છુ, તે જુગાર રમવાનો વ્યસની છે.


શ્રી શ્રી રવિશંકરઃ તમારે એક પુત્ર છે, મારે આવા લાખો પુત્ર છે. જે બધી ખોટી વસ્તુઓ માટે વ્યસની છે. જાગો અને જુઓ તમે તમારા પુત્ર જેવા આવા લાખો લોકોને કઈ રીતે મદદ કરી શકો? તમે આ પીડાને અનુભવી છે તો તમે આ વિશે કંઈક કરી શકશો. સમાજ માટે અને બીજા બાળકો માટે.