Wednesday, 16 May 2012

પ્રત્યેક ખરાબ વ્યક્તિમાં એક સારો વ્યક્તિ છુપાયેલો હોય છે.

બલ્ગેરિયા, ૧૬ મે ૨૦૧૨

આપણે ટેક્નોલોજી ના યુગમાં જીવીએ છીએ. ટેકનોલોજી એ વિશ્વને એક ગામમાં ફેરવી દીધું છે. આપણે એક વૈશ્વિક ગામમાં રહીએ છે. હું તેને વૈશ્વિક કુટુંબ તરીકે જોવા માંગુ છું. આ મારું સપનું છે, વિશ્વને એક વૈશ્વિક કુટુંબ તરીકે જોવાનું.

આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આ દુનિયામાં વિવિધ સંસ્કૃતિઓ, રીતિરીવાજો, ભાષાઓ અને ધર્મો છે. શું તમને ખબર છે કે બુદ્ધિશાળી લોકો શું કરે છે? તેઓ હંમેશા તફાવતો અને વિવિધતા ને ઉત્સવની જેમ ઉજવે છે.

અને મૂર્ખ લડે છે અને યુદ્ધો કરે છે. ખરું કે નહીં?

આપણે શું કરવા ઇચ્છીએ છે  - વિશ્વના લોકોને શિક્ષણ આપવાનું. લોકો અજ્ઞાની અને મૂર્ખ એટલા માટે છે કારણ કે તેઓને તેમની દ્રષ્ટિ વિસ્તૃત કરવાની કોઈ તક મળી જ નથી. આર્ટ ઓફ લિવિંગનું ધ્યેય એ જ છે કે જીવનનો એક વ્યાપક દ્રષ્ટિકોણ પૂ્રો પાડવો; દરેક આંસુ નું સ્મિતમાં, ક્રોધ નું કરુણા માં, અને તિરસ્કાર નું બિનશરતી પ્રેમ માં રૂપાંતર કરવું.

ચાલો બધા એક એવા વિશ્વ ને જોવા હાથ મિલાવીએ - એ વિશ્વ જે હિંસા, રોગ, ઉદાસી, અને ગરીબી થી મુક્ત હોય!

પ્રથમ, આપણે એક મોટું સ્વપ્ન જોવાની જરૂર છે. જ્યારે હું શાળામાં હતો, જ્યારે હું એક છોકરો હતો - અત્યારે પણ હું માત્ર જ બાળક છું - હું મારા બધાં મિત્રોને કહેતો કે મારું કુટુંબ વિશ્વભરમાં ફેલાયેલું છે. તેઓ મારી માતા પાસે આવીને પૂછી જતાં કે શું અમારો પરિવાર લંડન, જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં છે, અને મારા માતા જવાબ આપતા 'ના'. તેઓ મારા કાન ખેંચતાં અને મને પૂછતાં, 'તું  શા માટે ખોટું બોલે છે?'

મારા માતા કહેતાં કે 'તે  ક્યારે પણ ખોટું નથી બોલતો, પરંતુ આ એક બાબત તે હંમેશા કહ્યા કરે છે કે, તે સમગ્ર વિશ્વમાં બધાં લોકોને જાણે છે. હું મારા બધાં મિત્રોને કહેતો 'તમને શું જોઈએ છે? સ્ટેમ્પ્સ અથવા સિક્કા અથવા ચલણ? હું તે તમને મોકલવીશ, ચિંતા ન કરતાં. વિશ્વભરમાં મારાં સંબંધીઓ અને પરિવાર છે'.

મેં આવું એટલા માટે જણાવ્યું હતું કે આપણાં બધાંની અંદર ઊંડે એક જ આત્મા છે જે દરેક વ્યક્તિને સાથે જોડે છે. દરેક માનવી આનંદ, ઉત્સાહ પ્રેમ અને શાણપણ સાથે જન્મે છે. પરંતુ જેમ આપણે મોટા થઇએ ક્યાંક તેને ગુમાવી દઇએ છે. આપણે તે ગુમાવવી ન જોઇએ. આપણને આ ભેટ પ્રાપ્ત થઈ છે, એ જાળવવી જોઈએ.

ઠીક છે, જો તેને ગુમાવી દીધી હોય, તો આપણે તેને પાછી મેળવવી જોઈએ. અને તમે તેને કેવી રીતે પુનઃપ્રાપ્ત કરી શકો? તમારી દ્રષ્ટિ વ્યાપક બનાવીને, અને તમારી આજુબાજુના બધા સાથે આત્મિયભાવ કેળવીને.

આ મારી બલ્ગેરિયાની બીજી મુલાકાત છે. મને  પહેલાની સરખામણીમાં ઘણાં બધા ફેરફારો દેખાય છે. મૂળભૂત વ્યવસ્થા (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) વધી રહી છે, અર્થતંત્ર પહેલાં કરતાં વધુ સારું બન્યું છે; તે  હજી પણ સારું હોઇ શકે છે. એની સાથે, હું એ પણ કહીશ કે તમારા મૂળિયા ઊંડા છે, તમારી સંસ્કૃતિ અને પરંપરા હજારો વર્ષની છે. તે નહીં ગુમાવી બેસતા. યુવાનોએ તેમના મૂળ જાળવવાની સાથે તેમની દ્રષ્ટિ વિસ્તૃત  કરવી જોઈએ. તે કારણોસર અમે જણાવ્યું હતું કે આપણે સાથે મળીને આજે બેગપાઇપનો (યુરોપના કેટલાક દેશોમાં વગાડવામાં આવતું સંગીતનું એક વાદ્ય) પ્રોગ્રામ રજૂ કરીશું. આનો હેતુ જૂની પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો છે.

મારે એ પણ કહેવું છે કે કેટલાંક બલ્ગેરિયન ગાયકો અને નૃત્યાંગનાઓ એ પણ ભારતની મુલાકાત લીધી હતી અને ભારતમાં તેમનાં કાર્યર્ક્ર્મ થયાં હતાં

આમ આપણે લોકોને સાથે લાવવાની જરૂર છે. આ જ શાણપણ છે. હિંસા-મુક્ત સમાજ, રોગ-મુક્ત શરીર, મૂંઝવણ-મુક્ત મન, દમન-મુક્ત બુદ્ધિ, દુ:ખ-મુક્ત આત્મા, ભયમુક્ત સ્મૃતિ, અને તણાવ-મુક્ત જીવન આ બધાંનો જન્મસિદ્ધ અધિકાર છે. આના માટે આર્ટ ઓફ લિવિંગ અને તેના તમામ સ્વયંસેવકો કાર્ય કરે છે. લોકોના ચહેરા પર સ્મિત લાવવા, અહીં સેંકડો સ્વયંસેવકો જે  દિવસ અને રાત થાક્યા વગર કામ કરે છે તેનાથી હું ખુશ છું અને તેમને અભિનંદન આપું છું.

તેથી, હું તમને ફકત ૫ મુદ્દા કહીશ અને કેવી રીતે સુખી થવું તેના ૫ રહસ્યો બતાવીશ.

એકવાર એક શાણા માણસે એક લાઇન દોરી અને તેમના વિદ્યાર્થીઓ ને કહ્યું કે આને તમે ભૂસ્યા વિના કે સ્પર્શ કર્યા વિના ટૂંકી બનાવો. તે તમે કેવી રીતે બનાવશો?

એક ચપળ વિદ્યાર્થીએ તે લીટી નીચે એક લાંબી લાઇન દોરી. તેથી, તે લીટી આપોઆપ ટૂંકી બની ગઇ. અહીં પાઠ એ છે કે જો તમારી મુશ્કેલીઓ ઘણી મોટી દેખાય, તો તમારી નજર ઉપર કરો કારણ કે તમે માત્ર તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો તમે તમારી નજાર ઉઠાવીને  જે તમારા કરતાં વધુ ખરાબ પરિસ્થિતિમાં છે તેમને જોશો, તો તમને અચાનક લાગશે છે કે તમારો બોજ  તમે જેટલો વિચાર્યો હતો તેટલો ખરાબ નથી.

જો તમને લાગે કે તમારી  સમસ્યા ઘણી મોટી  છે, તો જે લોકોની સમસ્યા એનાથી પણ મોટી હોય તમની સામે જુઓ. અચાનક, તમને વિશ્વાસ આવશે કે મારી સમસ્યા ઘણી નાની છે, અને હું તેનો સામનો કરી શકીશ.

તેથી, કેવી રીતે સુખી થવું તેનો પ્રથમ મુદ્દો એ છે કે વિશ્વની મહાન અને મોટી અનેક સમસ્યાઓ છે તે જુઓ. પછી, તમારી સમસ્યા નાની દેખાશે. જે ક્ષણે તમારી સમસ્યા નાની દેખાશે, તમારામાં શક્તિ નો સંચાર થશે અને સમસ્યા ઉકેલવાનો વિશ્વાસ મળશે. ટૂંકમાં, જેમને વધારે જરૂર હોય તેવા લોકો ની સેવા કરો.

બીજું, તમારા પોતાના જીવન તરફ જુઓ. ભૂતકાળમાં, તમને ઘણી તકલીફો હતી. તે બધી આવીને ચાલી ગઇ.

ધ્યાનમાં રાખો કે આ સમસ્યા પણ જશે અને તે હલ કરવાની તમને ઊર્જા અને ક્ષમતા મળશે. તમારા પોતાના ભૂતકાળ તરફ જોઈને અને સમજીને તમારો આત્મવિશ્વાસ વધશે.

ત્રીજું, અને સૌથી મહત્વપૂર્ણ, અમુક શ્વાસની કસરત અને વિશ્રામ કરો.

ચોથું, જુઓ આપણે ક્રોધમાં કહેતા હોઇએ છે , 'હું આ છોડી દઉ છુ'.તો હતાશા કે ગુસ્સા વિના કહો કે, 'હું આ સમસ્યા સમર્પણ કરુ છું,

મને તે ઉકેલવા માટે, ઇશ્વર જ મદદ કરી શકશે', અને ખાત્રી રાખો કે તમને હંમેશા મદદ મળી રહેશે. એ વિશ્વાસ રાખો કે તમને મદદ મળી રહેશે જ; બ્રહ્માંડની એ શક્તિ તમને મદદ કરશે.

પાંચમું - તમને શું લાગે છે, પાંચમું શું હશે? હું તમાર પર છોડી દઉ છું. તમે પાંચમા મુદ્દા બાબત એકવાર વિચાર કરો. હું બીજા ૨૫-૩૦ રહસ્યો કહી શકું છું, પરંતુ હું ઇચ્છું છું કે પાંચમો તમે જાતે વિચારીને કહો.

આપણે હંમેશા બીજા કોઈ પાસેથી સમસ્યાના ઉકેલો શોધીએ છીએ. આપણે ભૂલી ગયા છે કે જો આપણે આપણું મન અંદરની તરફ લઇ જશું તો ધ્યાનમાં કેટલાક વિચારો, અમુક ઉકેલો મળી આવશે. પાંચમો મુદ્દો છે - સ્વભાવિકતા!

સ્વભાવિક (spontaneous) બનો. જ્યારે તમે થોડી મિનિટો માટે અંદર ઊંડા ઉતરશો ત્યારે સ્વભાવિકતા આપોઆપ આવશે. જ્યારે જીવન સરળતાથી ચાલે છે, તમે ઇચ્છો તે પ્રમાણે બધું મળી રહે છે, ત્યારે હસતા રહેવું તે કોઇ મોટી વાત નથી. પરંતુ જો તમે તમારી અંદર શૌર્ય જગાવી ને કહેશો કે, 'જે પણ થાય હું પ્રસન્ન જ રહીશ', તો તમને જણાશે કે તમારી અંદરથી વિપુલ ઉર્જાનો સંચાર થાય છે. અને સમસ્યાઓ તો જાણે કશું જ નથી; તેઓ માત્ર આવે છે અને જાય છે.

મારે એ પણ ઉલ્લેખ કરવો છે કે અમારા સ્વયંસેવકો એ બલ્ગેરિયાની બધી જેલમાં ઘણા સારા કામ કર્યા છે. કોર્સ કર્યા પછી, જેલમાં રહેતા સેંકડો લોકો ના સમગ્ર જીવન બદલાઈ ગયા છે. કેવી સરસ વાત છે!

આ જ સમજદારી છે. એક અપરાધીમાંથી પણ સારા ગુણોને બહાર લાવવા એ બુધ્ધિમત્તા છે. એક સૌથી ખરાબ અપરાધીમાં પણ કંઈક સરસ છે; કેટલાક સારા ગુણો છે. આપણે તે બહાર લાવવા જરૂરી છે. તે માટે બુદ્ધિ અને સમજદારીની જરૂર છે. કોઈકને દોષી ઠરાવવા માટે બહુ સમજદારીની જરૂર નથી, પરંતુ જેઓની નિંદા કરવામાં આવે છે તેઓ માં કરુણાજગાવવી તે ઘણા પ્રયત્નો માંગી લે છે; અને હું આપણા બધા સ્વયંસેવકો અને શિક્ષકો ને અભિનંદન આપુ છું જે કોઇ પણ સ્વાર્થ વગર છે, ફક્ત એક જ હેતુ થી જેલમાં જાય છે - તેમના જીવનમાં માનવીય મૂલ્યો પાછા લાવવા.

મૂર્ખ લોકો બધાંને દુષ્ટ અને 'ખરાબ' ગણે છે, ધર્મનિષ્ઠ લોકોને પણ. આ લોકો કહે છે બધા ખરાબ છે. સમગ્ર વિશ્વ ખરાબ છે. આ કેવું કમનસીબ છે; તે સારી સોબત નથી. છેલ્લા અઠવાડિયે જ્યારે હું કેનેડામાં હતો,

એક દંપતિ મને મળવા આવ્યા; તેઓ આંસુ સારતાં હતા. તેમના કિશોરવયના પુત્રે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની નોંધ માં, તેણે લખ્યું હતું કે સમગ્ર વિશ્વ ખરાબ છે; તેમાં રહેવાનો કોઇ અર્થનથી. સારા લોકોને આ દુનિયામાં રહેવાની કોઈ જગ્યા નથી. દુનિયાનું સંચાલન અનિષ્ટ અને ખરાબ લોકોએ હાથમાં લઇ લીધું છે.

તે યુવાને કેટલી પીડા અનુભવી હશે - જ્યારે દરેક તમને કહે છે કે દુનિયામાં બધા ખરાબ છે. આ સારી સોબત નથી. કોઈપણ ખરાબ વ્યક્તિની અંદર એક સારો વ્યક્તિ છુપાયેલો છે જેને બહાર લાવવાની જરૂર છે. જ્યારે સદ્‌ગુણો ઉપર આવે છે, તો નકારાત્મકતા આપોઆપ અદૃશ્ય થઈ જાય છે.

પ્રશ્ન: અમારે ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ વિષે અને આવનારા વર્ષો વિષે કાંઇ જાણવાની જરૂર છે?

શ્રી શ્રી રવિશંકર: કંઈ નહીં. બધું બરાબર હશે. ફ્ક્ત વિશ્રામ કરો. આ વિશ્વનો અંત થવાનો. તે માત્ર અમેરિકન મુવીમાં જ થાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, આ વર્ષ 'નંદ' છે, જેનો અર્થ 'આનંદનું વર્ષ' થાય છે.

લોકો વધુ અને વધુ આધ્યાત્મિક થશે અને અન્ય લોકોને વધુ અને વધુ સુખ આપવા માંગશે. મને આશા છે કે આવું વધુ થાય.

સુખ બે પ્રકારના હોય છે. એક કાંઇ મેળવવામાં માં આનંદ છે. બીજા પ્રકારનો આનંદ જ્યારે તમે કાંઇ આપો છો ત્યારે મળે છે.

પ્રશ્ન: જ્યારે અમને અમારા કામમાં હવે નથી આનંદ નથી આવતો તો શું કરવું?

શ્રી શ્રી રવિશંકર: તમારે ભરણપોષણ માટે કામ કરવું જોઈએ. પરંતુ આનંદ માટે, તમારે સેવા કરવી જોઈએ. કોઇ પણ સામાજિક સેવા કરવામાં વ્યસ્ત રહો. તમે જોશો કે તે તમને સંતોષ અને આનંદ આપે છે. હું જાણતો હતો આ પ્રશ્ન આવશે તેથી મેં જણાવ્યું હતું કે આપવા માં આનંદ છે. લેવાને બદલે આપવા માં આનંદ મેળવો.

પ્રશ્ન:  કેવી રીતે વધારે સારા બનવું અને ભલાઇ કેવી રીતે ફેલાવવી?

શ્રીશ્રી રવિશંકર: આ માટે જ આર્ટ ઓફ લીવીંગ ના કોર્સીસ છે, બધા માં રહેલી ભલાઇ ને બહાર લાવવા માટે, અને તમે જોશો કે તે (ભલાઇ) ચોક્કસપણે પ્રવર્તે છે.

પ્રશ્ન: આજના ઝડપી યુગમાં અમારા બાળકો સાથે સારો સંબંધ જાળવી રાખવા માટે શું કરી શકીએ?

શ્રી શ્રી રવિશંકર: અમે આના માટે કોર્સ બનાવ્યા છે. KYC (Know Your Child) - તમારા બાળક ને જાણો અને KYT (Know Your Teen) - તમારા યુવાન ને જાણો. તે માત્ર બે દિવસનો, રોજના બે કલાક લાંબો કોર્સ છે. તમને આ કોર્સમાં ઘણા સુંદર વિચારો મળશે. તે ઘણા લોકપ્રિય બની ગયેલ છે કારણ કે તે ખૂબ જ અસરકારક છે.

આપણાં બાળકો સાથેના સંબંધોમાં ફેરફારો આવે છે અને જે રીતે તેઓ તમને કઇ રીતે જવાબ આપે છે તેમાં પણ ફેરફારો આવશે.

પ્રશ્ન: આપણામાંનો ભય કેવી રીતે દૂર કરવો?


શ્રી શ્રી રવિ શંકર: પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા કરીને.