Thursday, 1 December 2011

સત્ય શું છે? એક એવો માર્ગ છે કે જેના પર દુ:ખો થી મુક્ત નિર્ભેળ આનંદ છે


૧ ડિસેમ્બર ૨૦૧૧

પ્રઃ સત્સંગ એટલે 'જીવન નું સત્ય શું છે' એ વિચારણા કરવી. તો જીવન નું સત્ય શું છે?

શ્રી શ્રી રવિ શંકર: સત્ય એ છે કે પાંચે ઇન્દ્રીયો બહિર્મુખી છે. બહારના વિશ્વ તરફ આકર્ષણ વધુ છે અને આંતરિક વિશ્વ તરફ આકર્ષણ ઓછું હોય છે. આ જીવન નું પહેલુ અને મુખ્ય સત્ય છે. આપણને આ બાહ્ય જગતના આકર્ષણ થી છૂટવું હોય છે કારણ કે જેમ આકર્ષણ વધે છે, તેમ તેમાંથી ખાસ કશું મળતુ નથી, પરંતુ તેને છોડવામાં જબરદસ્ત મુશ્કેલી અનુભવાય છે. આ જીવન નું પ્રથમ સત્ય છે.

જ્યારે તમે આ પ્રલોભનોથી અંજાઇ જાઓ ત્યારે શું થાય છે? તમને દુ:ખ મળે છે. તમે સુખપ્રાપ્તિ માટે દોડો છો, પરંતુ અંતે દુ:ખ મળે છે. તમને આવો અનુભવ થયો છે? આપણી બધી ઇન્દ્રિયો બહિર્મુખી હોય છે; કંઈક જોવાની ઇચ્છા છે, કંઈક સાંભળવાની, સુગંધની, સ્પર્શ અથવા સ્વાદ ની ઇચ્છા. આ ઇચ્છાઓ તરફ દોડવાથી તમને સુખ મળે? થોડી ક્ષણો માટે તમને સુખ મળે છે, પરંતુ ટૂંક સમયમાં જ તમે વ્યાકુળ થવા માંડો છો. આ બીજું સત્ય છે - તમને ક્ષણિક સંતોષ મળે છે પરંતુ તે જતો રહે છે અને તમે બેચેન રહો છો. જેટલી વખતે તમે ઈચ્છા પરિપૂર્ણ કરવા જાઓ છો, તમને અસ્વસ્થતા મળે છે કે જે સમય જતાં વધતી રહે છે, પછી તમારામાં નીરસતા અને ઉદાસીનતા આવે છે. તમારી સામે સારુ ખાવાનુ રાખવામાં આવે છે, પરંતુ તમને ભૂખ નથી. ઘરમાં સારા સંગીત ની ઢગલાબંધ CD  છે, પરંતુ તમને સાંભળવામાં રસ નથી. તમે પરણિત છે અને તમારા સાથી ઘરે છે, પરંતુ તમને સંભોગમાં રસ નથી. તમારા કબાટ માં સરસ નવા કપડાં છે, પરંતુ તમને એ પહેરવામાં રસ નથી. એક પછી એક ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવાના અંતે જે બેચેનીનો વધારો થયા કરે છે તેમાંથી આ નિરુત્સાહ અને ઉદાસીનતા જન્મે છે. આ જીવનનું એક દુષ્ચક્ર છે. આકર્ષણ ની પાછળ દોડો અને તમને ક્ષણિક સંતોષ અને ક્ષણિક આનંદ મળે, પણ પછી તમે વ્યાકુળ થઈ જાવ. જ્યારે તમે વ્યાકુળ થાઓ એટલે આનંદ જતો રહે પરંતુ બેચેની રહી જાય છે. આ બેચેની વધ્યા કરે અને પછી નિરાશા અને ઉદાસીનતા જન્મે છે!

લોકો ફરવા જાય છે; કેટલાક લોકો મ્યુઝિયમ જોવા મૈસુર ગયા. તેઓ એક રેસ્ટોરન્ટમાં ગયા, ખાધું અને પછી કહે, 'મ્યુઝિયમમાં શું જોવાનુ છે, ચાલો પાછા!' તેઓ દૂર થી આટલે સુધી મ્યુઝિયમ જોવા આવે છે, પરંતુ કશું જોવા જતા નથી!  કેટલાક લોકો બેંગલોર થી છેક વૈશ્નોદેવી ગયા, આસપાસના પર્વતો જોયા અને પછી મંદિરમાં જવાની લાંબી કતાર જોઇ એટલે દર્શન કર્યા વગર પાછા ફર્યા. કોઇ રસ જ નથી.

જ્યારે મનમાં બેચેની હોય, ત્યારે તે કોઇ આનંદ માણવાની પરવાનગી આપતું નથી. આ માનવ જીવનની સૌથી મોટી મુશ્કેલી છે – બધી વસ્તુ તરફ અરુચી થાય છે, છતાં તેને છોડી શકતા નથી. જો અરુચી થયા પછી પણ ત્યાગ કરી શકાય તો તે સારી વાત છે, પરંતુ બેચેની વધે છે અને છતાં પણ તે છોડવાનું મુશ્કેલ છે.

આ સ્થિતિમાં, શું કરવું જોઈએ? અંતર્મુખી બનો; અંદર જાઓ. અંદર કેવી રીતે જશો? અહીં બધું અટવાઇ જાય છે. અંદર તરફ જવાની ક્ષમતા નથી અને બહાર કશામાં રસ નથી - ન અહીંના કે ન ત્યાંના.

આ દુનિયામાં કંઈ મજા નથી, અને ધ્યાનમાં મન ચોંટતુ નથી. આ સ્થિતિમાં શું કરવું? આ આકર્ષણ ને કેવી રીતે બદલવું - આ સૌથી મોટો પ્રશ્ન છે! મારી પાસે કોઇ જવાબ નથી, ફક્ત આ પ્રશ્ન જ છે.

આનો જવાબ અંદર થી ઉગવો જોઇએ. જેવી રીતે બીજ વાવો, અને તેમાંથી રોપો ફૂટી નીકળે, જે વધીને વૃક્ષ બને જેના પર ફળ આવે. આ બીજ તે સત્સંગ છે. કેવી રીતે આ બીજ વાવવું? સૌ પહેલા હળ ચલાવીને જમીન ખેડો; જીવનની વાસ્તવિકતા શું છે તેના પ્રત્યે સજગ બનો. સમજી લો કે ઇન્દ્રિયો બહારની તરફ કેન્દ્રિત છે અને બાહ્ય આકર્ષણ તરફ દોરાય છે. બહાર દોરાયા પછી, કોઈ પરિપૂર્ણતા અનુભવતા નથી. એક ક્ષણિક આનંદ મળે છે, પરંતુ તેની સાથે બેચેની આવે જેના સંચયથી ઉપેક્ષાનો ઉદ્‌ભવ થાય છે. આ સત્યને ઓળખવાથી અને સ્વીકારવાથી અડધું કામ તો થઇ જાય છે. મોટા ભાગના લોકો જીવનના આ સત્યને જોવા તૈયાર નથી. તેનો સામનો કરવો જરૂરી છે. સત્સંગ નો અર્થ છે, 'જીવન ના સત્યો શું છે'. પહેલા તેમને ઓળખો.

હવે આગળની વાત - આકર્ષણ ને કઇ રીતે જીતશો? આકર્ષણ ને જીતવા, એનાથી પણ મોટા આકર્ષણની જરૂર છે; પછી નાના આકર્ષણ જતા રહેશે. પ્રથમ ધ્યાન, જ્ઞાન, અને સેવા કરો, તેમાં આનંદ આવશે, અને ધીમે ધીમે દુન્યવી આનંદ તરફ આકર્ષણ ઝાંખા થવા માંડશે. બીજું, જો કોઇ કામ અથવા સામાજિક કાર્ય કરવા માટે ઊંડી પ્રતિબદ્ધતા હશે તો પણ અન્ય વસ્તુઓ માંથી આકર્ષણ ઓછું થઇ જશે. હું એક ગણિતના પ્રૉફેસર ને ઓળખતો હતો જે જ્યારે શેરીમાંથી પસાર થતા ત્યારે પોતાની જાત સાથે વાત કરતા, હાથ આમતેમ ઉલાળતા અને મનમાં ગાણિતિક સમસ્યાઓ ઉકેલવામાં મશગૂલ રહેતા. લોકો તેમને પાગલ ગણતા. ક્યારેક તેમના ઘર પાસેથી પસાર થઇ જાય અને કુટુંબના સભ્ય તેમને બૂમ પાડીને અંદર બોલવતા. ગણિત માં એટલા મશગૂલ રહેતા કે ગૃહસ્થ જીવન, ખાવાનું, પીવાનું સુધ્ધાં ભૂલી જતા. તેમણે ગણિતની એક આખી નવી શાખા શોધી અને એના પર એક પુસ્તક લખ્યું હતું - ગણિત પ્રત્યે તેમને તેટલો બધો પ્રેમ હતો. એવા ઘણા વૈજ્ઞાનિકો છે જેમને ખાવાપીવા માં કોઇ રસ નથી હોતો.

જ્યારે પણ આ વિશ્વમાં કોઇ મોટી શોધ કરવામાં આવી છે, તેના શોધકો એ શોધમાં એટલા ડૂબેલા રહે છે કે વિશ્વમાં અન્ય વસ્તુઓ તરફ આકર્ષણ ઝાંખા પડી જાય છે.

અને ત્રીજું જ્ઞાન ની લગામ છે. એક કારમાં જેમ, જ્યારે અકસ્માત થવાનો ભય હોય ત્યારે બ્રેક મારવામા આવે છે. તે રીતે થોડા થોડા સમયના અંતરે જો વૈરાગ્ય ની બ્રેક લગાડો તો તમે બાહ્ય આકર્ષણ પ્રત્યે ઉદાસીન બની શકો છો. આ બધુ કરવા છતાં, જો તમને ભૂખ, કે તરસ લાગે, ઊંઘ આવે, અથવા કંઈક જોવાની ઇચ્છા થાય, તો પછી તમે કહી શકો છો કે ઇન્દ્રિયો તેમના સ્વધર્માનુસાર વર્તન કરે છે, અને હું તેમનાથી અલગ અને શાંતિમાં છું. ઇન્દ્રિયો તેમના કુદરતી સ્વભાવ મુજબ વર્તે છે, તેથી જાતને કોસવાને બદલે આપણે વૈરાગી અને મુક્ત બનીએ અને આરામ કરીએ. ઇન્દ્રિયો થી આનંદ પ્રયત્નપૂર્વક મળે છે. પરંતુ સાચુ સુખ નિષ્ક્રિય રહીને આનંદ પ્રાપ્ત થાય તેમાં, ધ્યાન થી આનંદ મળે તેમાં છે. ધ્યાન થી મળતું સુખ પ્રયત્નપૂર્વક મળેલા સુખ કરતા અનેકગણું વધારે હોય છે. કોઇ પણ પ્રકારના આનંદ માટે થોડા પ્રયત્નો જરૂરી છે. આ રીતે, પાંચ માંથી કોઇ પણ ઇન્દ્રિયો થી આનંદ નો ઉપભોગ કરતા શક્તિનો વ્યય થાય છે અને થાક લાગે છે કારણ કે પ્રયત્ન સામેલ છે. આ કરવાથી મળેલ આરામ નીચલા સ્તરનો છે, જયારે ધ્યાન કરીને મેળવેલ આરામ ઘણો ચડિયાતો છે. ધ્યાન દ્વારા મળેલ ઊંડો આરામ શરીર માં સતર્કતા લાવે છે, ઉર્જા ઉત્પન્ન કરે છે અને બેચેની દૂર કરે છે.  તેથી જ્યારે પણ આપણે બેચેની એકઠી કરીએ છીએ, તે ઊંડા ધ્યાન મારફત દૂર કરી શકીએ છે. આ ખૂબ જ મહત્વનું છે.

સત્ય શું છે? એક એવો માર્ગ કે જેના પર દુ:ખ વિનાનો નિર્ભેળ આનંદ છે. આ એક આંતરિક ઝંખના છે કે આપણને એવું સુખ મળે જેમાં દુ: ખ, બેચેની અને ઉદાસીનતા મિશ્ર ન થયેલા હોય. આ શોધ જ આધ્યાત્મિક જાગૃતિ છે અને જેઓ આ માર્ગ પર છે તે સાધક કહેવાય છે.  તે બોલવું કે સાંભળવુ સહેલું છે પરંતુ અમલમાં મૂકવું મુશ્કેલ છે, પરંતુ તે અશક્ય નથી. જે સાધકના હૃદયમાં આ ઇચ્છા ઇચ્છા ઉદ્‌ભવી છે, હું કહીશ તેના માટે તે મુશ્કેલ નથી. ત્યારે પ્રાર્થના ઉદ્‌ભવે છે. જ્યારે માણસ બહુ તરસ્યો હોય છે તે કહે છે, 'મને થોડું પાણી આપો.' એ જ રીતે, આ પ્રકારની શાંતિ માટે તીવ્ર ઝંખના થવી જોઇએ - એક વસ્તુ શોધવાની તીવ્ર ઝંખના છે કે જે વસ્તુ મળે તો બાકીનું બધું મળી શકે. જેનામાં આ ઇચ્છા એકાકાર થઇ ગયેલી છે તે સાધક તરીકે ઓળખાય છે. હવે એ પ્રશ્ન ન કરતા શું હું સાધક  છું કે નહીં, 'મારામાં તીવ્ર ઝંખના નથી, હું શું કરું, હું આવ્યો છું અને અહીં બેઠો છું.' માની લો કે તમે સાધક છો. એ પણ સ્વીકારો કે તમને હજી થોડું આકર્ષણ છે અને તે ઘટી રહ્યું છે. થોડા વર્ષો પહેલા તમારામાં આકર્ષણ નુ પ્રમાણ હતું તે હજી તેટલું જ છે? નહીં ને! જ્ઞાન દ્વારા અને સમય સાથે આકર્ષણ ઘટે છે. જ્ઞાન અને સમય, બંને જરૂરી છે. જેમ આકર્ષણ ઘટે છે, મન સ્થિર થાય છે અને શાંત બની જાય છે, અને જ્યારે વિશ્રામ મળે છે, ત્યારે ઈશ્વર પ્રાપ્ત થાય છે.