Monday, 5 December 2011

જો તમે જાપ કરશો તો હતાશા (ડિપ્રેશન) નહીં આવે


૫ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, ક્યારેક મને લાગે છે કે હું ડિગ્રી, નોકરી લગ્ન અને બાળકો જેવી સામાન્ય વસ્તુઓ માં મારું જીવન વેડફી રહ્યો છું. મારે સમાજ ના માટે સારું કાર્ય કરવું છે પણ એ જ સમયે હું મારા માતા - પિતા અને જીવન સાથી ની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માંગુ છું.

શ્રી શ્રી રવિ શંકર: હા, તો તમે તમારા અંગત જીવન ની જવાબદારી સાથે વિશ્વ માટે કંઈક કરવા માંગો છો. હવે, જો તમને લાગે કે તેઓ એકબીજા ની વિરુધ્ધમાં છે તો પછી તમે એક પણ પગલું આગળ નહિ વધી શકો. બન્ને કામ એક્બીજા ની વિરુધ્ધમાં નથી એ વાત સૌ પહેલા સમજી લો.

ઘરે તમારી પત્ની અને બાળકો ની જવાબદારી પહેલા લો, એ પછી આધ્યાત્મિક જ્ઞાન અને સામાજિક ઉત્થાન ની જવાબદારી સાથે લો એ તમારો ધર્મ છે. તમે બંને કરી શકશો.

જો તમે એકલા હો અને તમે તમારી જાતને ૧૦૦% સમર્પિત કરવા માંગો તો તે ખૂબ જ સારો વિચાર છે. તમારુ સ્વાગત છે; તમે આખી દુનિયા માં ફરી વિશ્વના માટે મહાન કાર્ય હાંસલ કરી શકવા સમર્થ છો.

પ્ર: ગુરુજી, ક્યારેક હું સેવા, સત્સંગ અને જ્ઞાન થી કંટાળી જાઉ છું. મારી સાથે કંઇક ખોટું થઇ રહ્યુ છે?

શ્રી શ્રી રવિ શંકર: તમે જાણો છો કે યોગ ના માર્ગ માં ૯ અવરોધો આવે છે?

હું આ વિષે પતંજલિ યોગ સૂત્રના વિવેચનમા બોલી ચૂક્યો છું. વ્યાધિ, સ્તાન્ય, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અને અનવસ્થિતત્વ, આ નવ અવરોધો આવે છે.

શારીરિક રોગ, માનસિક જડતા, માર્ગ વિષે તમારા મનમાં આવતી શંકા; કાંઇ પ્રાપ્ત નથી થતું, બધા જ વિષયોમાં અરુચિ. આ બધા ક્ષણિક અવરોધો કોઈપણ યોગી સામે આવે છે. પરંતુ જો તમે એકચિત્તે નિષ્ઠાપૂર્વક આગળ વધતા રહેશો તો બધા અવરોધોને ઓળંગી શકશો. આ અવરોધો આવે છે અને જાય છે, તેમાં કોઇ મોટી વાત નથી.

તમારામાંથી ઘણા ને આ સમસ્યા આવતી હતી, કેટલીકવાર ધ્યાન કરવાનું મન ન થાય પછીથી અચાનક ધ્યાન માં ઊંડા ઉતરી જવાય, અથવા ક્યારેક તમારા મનમાં શંકાઓ આવે અને પછી અચાનક બધી શંકા અદ્રશ્ય થઇ જાય.

પ્ર: ગુરુજી, 'તમે સર્વવ્યાપી છો અને તમે ક્યાંય નથી', એ વાક્યનું રહસ્ય શું છે?

શ્રી શ્રી રવિ શંકર: ખાલી થઇ જાઓ! રીલેક્ષ થાઓ અને બધી ચિંતા છોડી દો. આપણો અહમ કહે છે કે 'હું છું, મારું અલગ અસ્તિત્વ છે'; તેને કારણે આપણને એમ લાગે છે કે આપણે સમગ્ર ના ભાગ નથી, પોતે સર્વવ્યાપી નથી.

પ્ર: ગુરુજી, કેવી રીતે હું મારા કાર્ય ના ફળથી સ્વતંત્ર બની શકું?

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમે કરેલા બધા કાર્યો સમર્પિત કરો અને તે કાર્યોના પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. જો હું કંઈક ચોર્યા પછી કહું, 'હા મેં ચોરી કરી છે, જે સજા ગમે તે મને આપો. હું સજા લેવા માટે તૈયાર છું' તે ખરેખર સમર્પણ છે. ચોરી કર્યા છતાં સજા મંજૂર ન હોય તે સમર્પણ નથી. જ્યારે તમે સજા સ્વીકારવા તૈયાર થાઓ, તો પછી સજા કરનાર કહેશે 'ના, હું તમને સજા નહીં કરું.' જે કાર્ય તમારા દ્વારા થયું છે તેનું પરિણામ હોય જ, તેના મારણ તરીકે તમે કોઇ સારું કાર્ય કરો જેને પ્રાયશ્ચિત કહે છે. ધારો કે કેટલાક ખરાબ શબ્દો થી કોઈને ઇજા પહોંચાડી તો પછી તેનું પ્રાયશ્ચિત કરો.

શું પ્રાયશ્ચિત કરવું તે ગુરુ કે પછી તે વ્યક્તિ નક્કી કરશે, અથવા તો તમે તમારા પોતાના અંતરાત્મા ને પૂછી ને નક્કી કરી શકો. 'હું ઘણા લોકો ને સુખી કરવા કામ કરીશ, હું કેટલાક સારા કામ કરીશ.'

પ્ર: ગુરુજી, ભગવદ્ ગીતા માં કૃષ્ણ કહે છે, 'आनन्यश्चिन्त यन्तो माम ये जन परी उपासते तेषाम नित्य भियुक्तनाम योगक्षेमम वहाम्यहम' તેનો શું અર્થ થાય?

શ્રી શ્રી રવિ શંકર: જે હંમેશા મારા વિશે વિચારે છે અને મને તેના મન અને હ્રદય માં રાખે છે, તેને હું મુક્ત કરીશ, તેનું રક્ષણ કરીશ અને તેની બધી જરૂરિયાત પૂરી કરીશ.

પ્ર: ગુરુજી, મંગળસૂત્ર નું મહત્વ શું છે? માતા પિતા શા માટે કહે છે કે લગ્ન પછી ક્યારેય ન કાઢવું જોઈએ? ન પહેરીએ તો ન ચાલે?

શ્રી શ્રી રવિ શંકર: મને એક વાર પૅરિસ એરપોર્ટ પર એક મહિલાએ આંગળી પરની વીંટી બતાવીને પૂછ્યું, 'ગુરુજી, આની જરૂર છે?'  મારા માટે તો તે એક વીંટી હતી તેથી મે તેને કહ્યું હતું, 'કોઈ જરૂર નથી, ના પહેરવી હોય તો ના પહેરશો.' તેમણે પાછા જઇને તેમના પતિ ને છૂટાછેડા માટે પત્ર મોકલ્યો!

તેમના પતિએ મને ઇમેઇલ મોકલી 'ગુરુજી તમે મારી પત્ની ને મને છૂટાછેડા આપવાનુ કહ્યું?' મેં કહ્યું, 'મેં તો એવુ કશું નથી કીધું, મને ફોન પર વાત કરાવો.' તેમણે કહ્યું, 'ગુરુજી, એરપોર્ટ પર મે તમને પૂછયું હતુ કે મારી વીંટી જરૂરી છે અને તમે ના પાડી હતી!' તે વીંટી તેમના લગ્નની વીંટી હતી. પશ્ચિમમાં તમે લગ્નની વીંટી કાઢી નાખો તો એનો અર્થ એ કે તમે તમારા એક સમય ના સ્વિટહાર્ટ ને ગુડબાય કહો છો.

લગ્ન એક પવિત્ર બંધન છે, અને તે પવિત્રતા ના પ્રતિક તરીકે મંગળસૂત્ર પહેરાય છે. મંગળસૂત્ર પહેરીને ધર્મ ના રસ્તે ચાલવાનું છે, તેથી તે હંમેશા પહેરી રાખવાનું છે.

લોકો પોતાના જીવનમાંથી શુભ ન જાય તેવી કામના કરે છે, તેથી મંગળસૂત્ર સાથે તેવી લાગણીઓ વણાયેલી છે. કયારેક એનો અતિરેક થઇ અંધવિશ્વાસ માં બદ્લાઇ જાય છે.

ઓપરેશન થિયેટર માં ડૉક્ટર કહે કે તમારા બધા ઘરેણાં દૂર કરો ત્યારે દર્દી ઘણીવાર કહે છે, 'આ તો મંગળસૂત્ર છે, હું તે નહિ કાઢું.' માનસિક કે લાગણીશીલ ગભરાટ ની જરૂર નથી. તે માત્ર એક ચેઇન અથવા સાંકળ છે. ખરેખર જરૂરી હોય ત્યારે તે તમે દૂર કરી શકો છો, તેનો વાંધો નથી. પરંતુ સામાન્ય રીતે તેની સાથે પવિત્રતા જોડાયેલ છે, તેથી તે ન કાઢવી જોઇએ.

પ્ર: ગુરુજી, હું ઘણી વખત મૂર્ખ બનુ છું. બુધ્ધિ વધારવા શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: મૂર્ખ બનવાનું કારણ માત્ર બુધ્ધિ નો અભાવ નથી, લોભ પણ છે. મેં જોયુ છે કે લોભી લોકો ખૂબ ઝડપથી મૂર્ખ બને છે. જો તમે અતિમહત્વાકાંક્ષી અને લોભી હો તો તમને મૂર્ખ બનાવવા સરળ છે, પરંતુ જો તમે શાંત, સ્થિર, અને સતર્ક રહો તો મૂર્ખ બનાવવા મુશ્કેલ છે.

પ્ર: ગુરુજી, અન્ય પાસે કોઇ અપેક્ષા ન રાખવી જોઇએ, પણ આપણી જાત પાસે અપેક્ષા રાખવી ખોટી છે?

શ્રી શ્રી રવિ શંકર: આપણી જાત પાસે અપેક્ષા રાખવી ઠીક છે પરંતુ જો તે પૂરી ન થાય તો ચિંતા ન કરો. રીલેક્ષ!

પ્ર: ગુરુજી, હું સંબંધ માં ફસાઇ ગયો છું અને તેને કારણે સેવા કરી નથી શકતો. હવે તે સંબંધમાંથી બહાર નીકળવા માગુ છું પણ તે સરળ નથી. હું શું કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: જાપ કરો! જો તમે જાપ કરશો તો નિરાશા (ડિપ્રેશન) નહિ આવે. જ્યારે તમે 'ઓમ' નો ઉચ્ચાર કરો છો ત્યારે લાગણીઓ શાંત થાય છે અને અવસાદ તથા ચિંતા દૂર થઇ જાય છે.

આ ભૌતિક જગતમાં સતત જોડાઇ રહેવાથી ચિંતા થાય છે. દિવસ રાત માત્ર પોતાના વિષે વિચાર કરવાથી ડિપ્રેશન આવે છે. સવારે ઉઠીને સૌ પહેલા વિચારો, 'આજે કઇ સેવા કરી શકું?'

આ વિશ્વના લોકો માટે કઇ રીતે ઉપયોગી થઇ શકાય, આ સંસ્થા માટે શું કરી શકાય. બીજુ કાંઇ નહિ તો એવું વિચારો કે ગુરુજી ને કઇ રીતે મદદરૂપ થઈ શકાય. એમ વિચારતા રહો, જાપ કરતા રહો, ધ્યાન કરતા રહો, તમારું જીવન પરપોટા ની જેમ અસ્થાયી છે અને બધુ નાશવંત છે તેવું સમજો, અને ઓમ નમઃ શિવાય નો જાપ કરતા રહો, તો ડિપ્રેશન નહિ આવે. હતાશા તમારાથી દૂર ભાગશે.

તે કારણથી પ્રાચીન સમયમાં લોકો ત્રણ વખત સંધ્યા વંદનમ્ કરતા. સવારે ઉઠીનેસૂર્યદેવ ને આવનારા સુંદર દિવસ લાવવા માટે અને પૃથ્વી પર જીવન ના સ્ત્રોત બનવા માટે આભાર માનવો, પછી ફરીથી બપોરે અને સાંજે સુંદર દિવસ માટે સંધ્યા વંદનમ્ કરી સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાયેલ છે તેવો અનુભવ કરતા.

જ્યારે તમે આ કરો છો, ત્યારે ડિપ્રેશનનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. જ્યારે તમે માનો છો કે તમે આખા બ્રહ્માંડ સાથે જોડાયેલ નથી ત્યારે તમે સાવ નાની નાની બાબતોમાં લડાઇ ઝઘડા કરો છો, તમે માનો છો કેહું નબળો છું, મારી પાસે આ નથી, હું તે નથી જાણતો. હું ધ્યાન માટે બેસુ છું, અને ક્રિયા કરું છું પરંતુ કંઇ થતુ નથી. આ પ્રકારની માનસિકતા મનની સંકુચિતતા બતાવે છે. એમાંથી બહાર આવો. જવાબદારી લો કે હું આમાંથી બહાર આવીશ અને હું મારું જીવન સેવાને સમર્પિત કરીશ.

જે બધા લોકો આત્મહત્યા કરવા માંગે છે, તેમને હું કહીશ કે તે મૂર્ખતા છે. તમે આત્મહત્યા ઇચ્છો છો કારણ કે તમે તમારી પોતાની ખુશી, સુખ, અને આરામદાયક જીંદગી માંગો છો. તમે તમારું જીવન કોઇ મહાન કાર્ય માટે સમર્પિત રો તો પછી ડિપ્રેશન અદૃશ્ય થઈ જશે.

જ્યારે તમે કહેશો કે હું મારો જીવ નથી લેવાનો પરંતુ હું તે વિશ્વ માટે, માનવતા માટે, દેશ માટે સમર્પિત કરીશ પછી ખૂબ જ આનંદ આવશે. જે થશે તે, પણ હું લડી લઇશ. મને લાગે છે કે બધા હતાશા થી પીડિત લોકો ને વિશ્વાસ આપવાની જરૂર છે કે જાપથી તેમની નિરાશા દૂર થશે.

ક્યાં તો તમે તમારી જાતને વિશ્વ માટે, રાષ્ટ્ર, સંસ્કૃતિ, કે ધર્મને માટે સમર્પિત કરો અથવા તમારી જાતને ભગવાન માટે, પવિત્ર જ્ઞાન, કે એ પૂર્ણ મહાસત્તા માટે સમર્પિત કરી દો. તે નિશ્ચય તમને આ અંધકાર માંથી બહાર કાઢશે.