જર્મની,
૨૮ મી ડિસેમ્બર ૨૦૧૧
પ્ર: પ્રિય
ગુરુજી, જ્ઞાનના અભાવને
કારણે મેં મારી જાતને ઘણી વખત નુકસાન પહોંચાડ્યુ છે. હું વધુ સુધર્યો નથી પરંતુ
હું જોઈ શકુ છું કે મેં શું કર્યુ છે. હું મારી જાતને પીડા આપવાનું કેવી રીતે બંધ
કરું?
શ્રી શ્રી
રવિશંકર: જ્યારે તમે જાણો છો કે તમે જે ભૂતકાળમાં કર્યુ તે યોગ્ય ન હતું, તો પછી તમને હવે ખબરજ છે કે શું કરવું જોઈએ.
આધ્યાત્મિક માર્ગ તમને સમર્થ બનાવે છે. પરંતુ જો તમે કહેશો કે, 'ઓહ! હું આ નહીં કરી શકુ, તો પછી તમે તે નહીં કરી શકો. જો તમે એવો વિચાર
કરો કે, 'હા, હું કરી શકીશ!' તો પછી તમે કરી શકશો. મેં લોકોને કહેતા
સાંભળ્યા છે, 'હું ધૂમ્રપાન
નહીં છોડી શકું.' જો તમે ધુમ્રપાન
ન છોડી શકો તો પછી વિશ્વમાં કોઇ તમને ધૂમ્રપાન નહીં છોડાવી શકે. તમારે સજાગ થઈ કહેવું
જોઇએ કે, 'હા, હું ધૂમ્રપાન છોડી દઈશ.' કુદરતે દરેક મનુષ્યને આવી સંકલ્પશક્તિ આપી છે
કે જેઓ વિચારી શકે છે અને કામ કરી શકે છે. તે બધામાં હાજર છે. આ એવું છે કે તમે
તમારી આંખો બંધ રાખો છો અને કહો છો કે, 'હું જોઈ શકતો નથી, હું જોઈ શકતો
નથી.' તમે પહેલા આંખો તો ખોલો!
તમે કહો છો, 'હું મારી આંખો
ખોલી શકતો નથી.' જો તમે તમારી
આંખો ન ખોલી શકો અથવા આંખો ખોલો નહીં, તો તમે કેવી રીતે જોશો? જો તમે કહો કે,
'હું ભૂખ્યો છું પણ મોં ખોલીશ
નહીં.' કુદરતે તમને મોં
આપ્યુ છે અને તે પોલું અને ખાલી છે, અને પ્રકૃતિએ તમને ખોરાક આપ્યો છે. આ બે વસ્તુઓને તમારે સાથે જોડાવાની છે.
ખોરાક તમારી સામે છે અને તમે કહેશો, 'હું મારુ મોં નહીં ખોલુ.' આ કહેવા પણ તમારે
મોં ખોલવુ પડશે. તો સંકલ્પશક્તિ દરેકમાં છે. તમારે કહેવાનું છે, 'હા હું કરી શકુ છું; હું કરીશ.'
જો તમને ધૂમ્રપાનની ખરાબ
ટેવ હોય તો કહો, 'હા, હું છોડી શકુ છું. હું તે છોડી દઈશ.' કારણ કે એ એક જ વિચાર, 'હું ધૂમ્રપાન નહીં છોડી શકું', તમને ધૂમ્રપાન કરવાની સત્તા આપે છે.
પ્ર: પ્રિય
ગુરુજી, એડવાન્સ
કોર્સમાંથી બહાર નિકળતા કેટલાક લોકોને લડાઈ કરતા અને એકબીજાના દોષ કાઢતા જોયા છે
ત્યારે મને ખૂબ આશ્ચર્ય થાય છે. આવું શા માટે થાય છે? કોર્સ કર્યા પછી પણ
સંદેશ શા માટે પહોંચતો નથી?
શ્રી શ્રી
રવિશંકર: હવે જુઓ, લડાઈ કરવાની
લાંબા સમયની આદત, અને લડાઈ માણવાની
આદત જતા થોડો સમય લાગે છે. થોડા એવા લોકો છે જેમનું વર્તન રાતોરાત બદલી શકાતું નથી,અથવા અઠવાડિયા કે મહિનાઓમાં પણ બદલી શકાતું
નથી. તેમને થોડો સમય તો લાગશે, પણ તેઓ બદલવા
માટે તૈયાર હોય તો. તમારે લોકો માટે અભિપ્રાય બાંધવો નહીં, 'ઓહ! તેમણે આવીને મૌન કાર્યક્રમમાં ભાગ લીધો,
એડ્વાન્સ કોર્સ કર્યો અને
હજુ પણ તેઓ બદલાયા નથી! ' આ અશક્ય છે,
ચોક્કસપણે તેઓ બદલાયેલ છે,
પરંતુ તે સંપૂર્ણપણે
તેમના વ્યવહારમાં હજી આવ્યું નથી. તેમને પૂછો 'તમને કેવુ લાગે છે; પહેલાં પણ તમે લડતા હતા અને હવે પણ તમે લડો છો.
શું તમને ગુણાત્મક તફાવત લાગે છે? ' તમને હકારાત્મકમાં જવાબ મળશે. તેઓ કહેશે, 'હા! પહેલાં હું લડતો ત્યારે ક્રોધ અને તેની છાપ લાંબા સમય સુધી મારા મનમાં રહેતી. હવે, હું લડાઈ કરીને ભૂલી જાઉ છું અને આગળ વધુ છું'
આ ઘણા લોકોએ કહ્યું છે. આ
તમને (કોર્સ)પહેલા કે પછી લોકો જેવા છે તેવા સ્વીકારવાની તક આપે છે.
પ્ર: પ્રિય
ગુરુજી, આ પ્રશ્નના બે ભાગ
છે. પ્રથમ ભાગ છે: મન અને આત્માની વચ્ચે જોડાણ શું છે? ધ્યાન એ માત્ર વિચારોનો સંગ્રહ છે?
શ્રી શ્રી
રવિશંકર: સાચું છે. તમે બરાબર સમજ્યા.
પ્ર: વિચારો સૌ
પ્રથમ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
શ્રી શ્રી
રવિશંકર: આ તમારે શોધવાનું છે. આ વ્યક્તિગત શોધ છે. આ તો જાણે તમે મને પૂછો છો કે ખોરાકનો
સ્વાદ કેવો છે. જો તમે કોઈને પૂછો, ' આ વાનગી કેટલી મીઠી છે?', તમારેજ તેનો
સ્વાદ ચાખવો પડશે. તેથી, જો તમે જાણવા
માંગતા હો કે વિચારો ક્યાંથી ઉદ્દભવે છે, તો તમેજ તે શોધો એ વધારે સારું છે. વિચારો તમને આવે છે? તો તમેજ તેને શોધી શકો છો. આ શોધવાની પ્રક્રિયા
એ અન્ય સ્તરના અસ્તિત્વને સમજવાની રીત છે.
પ્ર: પ્રિય
ગુરુજી, હું ક્યારેક મારા
મિત્રોને હતાશ અવસ્થામાં જોઉ છુ. તેઓ આર્ટ ઓફ લિવિંગ, ધ્યાન અથવા પ્રાણાયમ માં માનતા નથી. શું હું તેમની પીડા લઈ તમને આપી દઈ શકું?
તે શક્ય છે? મને ખબર છે તમે સમસ્યાઓ ઉકેલવા માં ઉસ્તાદ છો.
શ્રી શ્રી
રવિશંકર: હા. પણ તમે તેમને ધ્યાન કરવાની પ્રેરણા મળે તેવી પ્રાર્થના શા માટે નથી કરતા?
તમે તેમ કરી શકો છો. તમે
તેમના દુઃખ અને વેદનાને આશીર્વાદ આપીને (બ્લેસ કરીને) મુક્ત કરી શકો છો, પરંતુ તે કાયમી ઉકેલ નથી કારણ કે તેઓ ફરીથી
પાછા તે અવસ્થામાં આવી શકે છે. પરંતુ જો તમે તેમનામાં શાણપણ આવે તે માટે પ્રાર્થના
કરો, તો પછી તે કાયમી છે. કારણ
કે શાણપણ તેમના બાકીના જીવનની કાળજી લેશે.
પ્ર: પ્રિય
ગુરુજી, આધ્યાત્મિકમાર્ગ
પર હું આગળ વધુ છું તે જાણવાની શું નિશાનીઓ છે? મેં મારો પ્રથમ કોર્સ ૧૦ વર્ષ પહેલા કર્યો હતો.
મેં ૧૦ એડ્વાન્સ કોર્સ કર્યા છે અને હું એક શિક્ષક છું. આમ છતાં, હું હજુ પણ ગુસ્સે થાઉ છુ. ક્યારેક મને લાગે છે
અમુક લોકો જે કોઇ સાધના નથી કરતા તેમનો વ્યવહાર મારી સરખામણીમાં સારો છે.
માર્ગદર્શન આપો.
શ્રી શ્રી
રવિશંકર: તમે બધુ ખોટું સમજ્યા છો. તમને લાગે છે કે માત્ર ધ્યાન તમારા માટે બધું
કરી દેશે. તમે ધ્યાનને માત્ર માણો છો. જો તમે જ્ઞાનમાં ઊંડે ડુબેલા હો તો તમે
અસ્વસ્થ શા માટે થાઓ?
તમે માનો છો કે
થોડા સમય માટે શાંત રહેવાથી બધું થઈ જશે, અને તમે જ્ઞાન અને ડહાપણ ભૂલી જાઓ છો. જ્ઞાન તમારા ચહેરાને તાકી કહી રહ્યુ છે
કે, 'પરિસ્થિતિઓ અને લોકોને
જેવા છે તેવા સ્વીકારો ' અને તમે તેમ કરતા
નથી. મેં ઘણી વખત કહ્યું છે કે, ગુસ્સો એ
પૂર્ણતાના લગાવની નિશાની છે. જો તમે અલિપ્ત હો, તો તમે
અસ્વસ્થ શા માટે થાઓ?
સાંભળો, તમે ભલે દસ એડ્વાન્સ કોર્સ કર્યા હોય અને વાતો
સાંભળી હોય, પરંતુ જો તમે
તેને જીવનમાં ઉતારશો નહીં તો કોર્સ, ધ્યાન અથવા જ્ઞાન અથવા શાણપણ ની ખામી નથી. તે એક રબરના પોશાક જેવુ છે કે જે
ડાઇવર (ડૂબકી લગાવનાર) સમુદ્રમાં જાય ત્યારે પહેરે છે. તમે પાણી માં જાઓ છો,
પરંતુ જ્યારે તમે બહાર
આવો ત્યારે સૂકા હો છો. પાણીનું એક ટીપું પણ તમારા શરીરમાં પ્રવેશતુ નથી કારણ કે
તમે તે રબરના પોશાકની અંદર છો. એ જ રીતે, તમે દસ કે બાર એડવાન્સ કોર્સ કર્યા હોય, પરંતુ જો તમે ઘણી વખત સાંભળ્યા પછી પણ અલિપ્ત
નહીં થાવ, તો તમને ગુસ્સો આવવાનોજ.
વિવેકબુધ્ધિ અને વૈરાગ્ય; જ્ઞાનનો બીજો
સ્તંભ છે. જો તે નહીં હોય, તો પછી તમે ગુસ્સો
કરશો અને અસ્વસ્થ થશો, તમે પઝેસીવ(સંબંધ
કે માલિકી ટકાવવા આતુર) થશો અને ઇર્ષ્યા કરશો. વિતરાગતા
નહીં હોય. મે ઘણી વખત કહ્યું છે 'સો હમ, અને સો વોટ (તેથી શું)!' તમે ‘સો વોટ’ સાંભળ્યુંજ નથી. ઘણી વખત તમે તેને
હળવાશથી લો છો. 'ઓહ! સો વોટ,
આ તો મેં સાંભળ્યું છે,
ઠીક છે.' અત્યારે તમે બેસીને ધ્યાન કરશો, અને પછી તમે પાછા જને ક્યારેય યાદ નહીં કરો.
તેને યાદ કરો, અને ઊંડે ઉતરવા
દો. શાણપણની વાતોને દોષ આપવા જેવો નથી, તમે તેને જીવવા અસમર્થ છો,તેને આત્મામાં
ઉતારવા અસમર્થ છો.
તમે સમજો છો હું
શું કહુ છું? તમે એમ ન કહી શકો
કે, ‘આ બધા બંધનો છતા હું
આધ્યાત્મિક જીવન જીવીશ.' ના! આધ્યાત્મિકતા
એટલે સંપૂર્ણતાના આગ્રહમાંથી મુક્ત થવું. આધ્યાત્મિકતા એટલે કેન્દ્રિત રહેવુ. દસ
એડવાન્સ કોર્સ કર્યા હોવા છતા તમે ગુસ્સે થાવ છો, કલ્પના કરો જો તમે કોઈપણ એડવાન્સ કોર્સ ન કર્યો
હોત તો તમારી શું સ્થિતિ હોત. માય ડિયર, કૃપા કરીને એ તો જુઓ!
જો એડવાન્સ કોર્સ
અસરકારક નથી તો તમે પાછા ફરીને શા માટે આવો છો? તમે એક કોર્સ કરીને કહી શક્યા હોત કે આ કામ નથી
કરતુ. ખલાસ! જો તમે વારંવાર
પાછા આવો છો તો પછી તે ક્યાંક ને ક્યાંક તો કામ કરતુ હશે. તમને તેનાથી લાભ થતો
હોવો જોઈએ. અને કલ્પના કરો કે જો તમે એક પણ કોર્સ ન કર્યો હોત તો, કેવી પાયમાલી થાત. તમારે બેસીને આ વિશે વિચાર
કરવો જોઈએ. 'ધારો કે, મે બેસિક કોર્સ અથવા ધ્યાન ક્યારેય ન કર્યું
હોત, તો મારી શું પરિસ્થિતિ
થાત?'
પ્ર: લાગણી શું
છે?
શ્રી શ્રી
રવિશંકર: તમને થાય છે? બરાબર તેજ આ છે.
પ્ર: પ્રિય
ગુરુજી, મને એક પ્રશ્ન છે
જે મારા મગજમાં આવ્યા કરે છે. આપણે આકાશગંગામમાં છીએ. આવા ઘણા તારામંડળ છે. શું
લોકો ત્યાં વસવાટ કરે છે? આમાના કોઈપણ
નક્ષત્રમાંજન્મવાની કોઈ શક્યતાઓ છે? શું તમે આ વિશે તમારો અનુભવ કહેશો?
શ્રી શ્રી
રવિશંકર: મને ખબર છે કે ઘણા તારામંડળો છે, પરંતુ મને તેમના વિશે ખૂબ જ ઓછી ખબર છે. તેની એક ઝલક મેળવી શકીએ છીએ, પરંતુ તે સાબિત નથી કરી શકતા. જો તમે મને કહો
કે તમને સાબિત કરી બતાવુ, તો હું સાબિત
નહીં કરી શકુ. પરંતુ, હું તમને કહી શકુ
છુ કે ઘણા તારામંડળો છે, ત્યાં જીવન છે. આટલું થોડુકજ હું જાણુ છું. જે વસ્તુઓ
વિશે હું ન જાણતો હોઉ કે ઓછુ જાણતો હોઉ તે વિશે બોલવાની મને આદત નથી. તેથી,
આ 'મને બહુ ઓછી ખબર છે.' તે શ્રેણી હેઠળ આવે છે.
પ્ર: પ્રિય
ગુરુજી, જીવનમાં વધારે
આત્મવિશ્વાસનો અનુભવ કેવી રીતે કરવો?
શ્રી શ્રી રવિશંકર:
કેવી રીતે જીવનમાં વધુ આત્મવિશ્વાસ મેળવવો? કોઈ માર્ગ નથી! તેને મેળવવા માટે કોઈ રસ્તો નથી, જો તમારામાં તે નથી, તો નથી! જો સસલાને શિંગડાની ઇચ્છા છે, તો હું કહીશ તે શક્ય નથી. જો તમને લાગે કે
તમારે કાળિયાર જેવા શિંગડા જોઈએ છે,તો તમે માત્ર ક્રિસમસ
સમય દરમ્યાનજ તે ટોપીઓ માથા પર મૂકી શકો છો. પરંતુ જો તે તમારી પાસે નહીં હોય, તો કોઈ રસ્તો નથી! પરંતુ,
જો તમે મને કાળજીપૂર્વક
સાંભળશો;, હું તમને કહીશ,
તમને ખબર હોવી જોઇએ કે તે
તમારી પાસે છે. તમારી પાસે છે જ. કોણે કહ્યુ
તમારી પાસે નથી.
પહેલા, તમારી જાત વિશે તમારી અજ્ઞાનતાનો સ્વીકાર કરો.
પ્રથમ સ્વીકારો કે તમે તમારી જાત વિશે કશું નથી જાણતા. અને પછી તમને ખ્યાલ આવશે કે
તમારા માં આત્મવિશ્વાસ છે.
પ્ર: વિચાર
પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? અમારી જરૂરિયાત
કેવી રીતે પૂર્ણ કરી શકાય?
શ્રી શ્રી
રવિશંકર: વિચારો આવે છે, અને અમુકને તમે
પ્રોત્સાહન આપો છો, અને અમુકને પ્રોત્સાહન
આપતા નથી. જ્યારે તમે અમુકને પ્રોત્સાહન આપી અને તેના પર કાર્ય કરો તો, પરિણામ આવે છે. જો તમે હમણાં નિષ્ક્રિય રહી
બેસીને ફક્ત વિચાર કરશો અને તેના પર કાર્ય કરશો નહીં તો, શ્રેષ્ઠ વિચારો પણ ફળદાયી નહીં બને.
પ્ર: શું તમે
કૃપા કરી 'યોગ માયા'
અને આધ્યાત્મિકતા પર તેની
અસર વિશે સમજાવશો. તેમજ, તેને કેવી રીતે
ઓળખી શકાય અને તેના ખેલ માંથી કેવી રીતે બચી શકાય?
શ્રી શ્રી
રવિશંકર: યોગ માયા અમુક આધ્યાત્મિક અનુભવો છે જે તમને ક્યારેક થાય છે અને તે અંતઃપ્રજ્ઞા
વાળી પ્રકૃતિના હોય છે. અને મોટા ભાગે તે સાચા પડે છે. પરંતુ, જ્યારે તમે તેમના પર ખૂબ વધારે આધાર રાખવાનું
શરૂ કરો; હું ઉમેરુ છું 'ખૂબ વધારે'; તો પછી સમગ્ર બાબત વિરૂપકારક થવાની શરૂઆત થશે.
અને જો તમે ખરેખર અંદરથી ખાલી અને પોલાણવાળા નહીં હો તો તમારી પોતાની ઇચ્છાઓ,
તમારી પોતાની
મહત્વાકાંક્ષા તમારી દ્રષ્ટિ અને તમારા સપનામાં આવે છે, અને તમને અવાજો સાંભળાય, અને આ તમામ વસ્તુઓ થઇ શકે છે, અને તે વાસ્તવિકતાને વિકૃત કરી શકે છે.
તો, યોગ માયા એ એવી નાની સિધ્ધીઓ, એવા નાના દ્ર્શ્યો, આશંકાઓ,બોધ અને સાહજિક દ્ર્શ્યો છે, જે ૮૦% સાચા છે અને ૨૦% સાચા નથી. પરંતુ,
તમને ખબર નથી કે તે ૨૦%
અથવા ૮૦% મા આવે છે. તેથી, આપણે ફક્ત આ
અનુભવો જેમ આવે તેમ લઇએ છીએ.
પ્ર: આ વિધાન
કેટલું સાચું છે કે બાળકો જન્મ લેતા પહેલાં તેમના માતાપિતાને પસંદ કરે છે. શું
માતા-પિતા એવા બાળકો માટે
પ્રાર્થના કરી શકે કે, જેઓ પોતાને માટે
એક સારું જીવન પસંદ કરે?
શ્રી શ્રી
રવિશંકર: સાંભળો, તમે મને ન પૂછી શકો કે તમારે શેના માટે પ્રાર્થના
કરવી જોઈએ. પ્રાર્થના આપોઆપ થાય છે. તે ત્યાં પહેલેથી જ છે! તમે પહેલેથી જ સારા
બાળકો માટે પ્રાર્થના કરો છો. માતા - પિતા એ સારા બાળકો માટે પ્રાર્થના કરવી જોઇએ
એ એક કાલગ્રસ્ત પ્રશ્ન છે. તેનો કંઈ પણ અર્થ નથી. તમે
પહેલેથી જ પ્રાર્થના કરો છો તેથીજ તમે પૂછતા હતા.
પ્ર: એક વ્યક્તિ
તેનો ધ્યેય આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખ્યા વગર કેવી રીતે નક્કી કરી શકે?
શ્રી શ્રી
રવિશંકરઃ થોડા સમય માટે, માત્ર બેસો અને
વિચારો. અન્ય તમામ વસ્તુઓ કોરે રાખો. જુઓ, કે તમે શું કરવા માંગો છો? તમારી જાતને પૂછો,
'મારે શું કરવું છે?'
અને પછી જે પણ ધ્યેય આવે
છે, તે પકડી રાખો. અલબત્ત,
જ્યારે તમે એક દ્રષ્ટિ,
એક ધ્યેય, એક હેતુ ઉપાડવા માંગો, તો આસપાસના વાતાવરણની મોટી અસર હોય છે. તમે એક
મિશન પર છો,અને તમે કામ કરો
છો. અચાનક કંઈક બને, એક તમારા પ્રિયજનની તબિયત બગડે અથવા બીમાર પડે,
અથવા કોઈકનો અકસ્માત થાય;
ત્યાં તમારે ખૂબ જ સરળ
બનવુ જરૂરી છે. તમે એમ ન કહી શકો, 'મારુ આ લક્ષ્ય છે,
મારે જવુ પડશે',ના! તમારી અહીં હાજરી જરૂરી છે, કારણ કે જીવન જટિલ છે, તે સીધેસીધું નથી. જીવન ખૂબ જટિલ છે, અને જીવનની આ જટિલતામાં એક ધ્યેય પૂરો
કરવો એજ દ્રઢનિશ્ચય છે. અને જો જીવનમાં ભક્તિ અને શાણપણ હશે તો તમે તે આરામથી કરી
શકશો. શાણપણ અને ભક્તિ બે મહત્વપૂર્ણ વસ્તુઓ છે કે જે જીવનને સહેલું બનાવે છે. તમારા માથી કેટલાને લાગે છે કે આ માર્ગ પર આવ્યા પછી
વસ્તુઓ હવે સહેલાઈથી થઈ રહી છે? હવે સંઘર્ષ નથી.
પ્ર: પ્રિય
ગુરુજી, હું મારા ઘરનો
રસ્તો જાતે કેવી રીતે શોધી શકું?
શ્રી શ્રી
રવિશંકર: આ કોણ પૂછી રહ્યું છે? છોડી દો! તમે શું
પકડી રાખ્યુ છે? તમે ઘર માં જ (આખરી મંજિલ) છો! જાગો! જાગો, તે તમારી તીવ્ર ઈચ્છા છે, કે જે તમને એક ભ્રમમાં રાખે છે કે તમે તમારા
ઘરથી ખૂબ દૂર છો. અને તીવ્ર ઈચ્છા શેની છે – મોજશોખની, સામાજીક મોભાની. અને આ બધા આનંદ માં તમને શું
મળે છે? પાંચ મિનિટ અથવા
દસ મિનિટની થોડી સંવેદના અને થોડી ઉત્તેજના;
એ સિવાય બીજું શું છે?
કઈંજ નહીં! કશુ જ નહીં!
એના અંતે તમારા હાથ બળી ગયા, તમારું હૃદય અને મન ઉજડી ગયા. તમારે બીજું શું જોઈએ?
અરે, જ્યારે તમે ઘરે પાછા જવા માંગો છો, તે આંખના એક પલકારા કરતાં વધુ નહીં લાગે. એટલે
કે તે એક ક્ષણ કરતાં વધુ સમય નહીં લે. જાગો અને જુઓ! જાગો અને અહેસાસ કરો કે તમે
પહેલેથી ત્યાંજ છો. તમારા મગજમાં આ કરોળિયાના જાળા તમારા પોતાના જ બનાવેલા છે. તમે
જાણો છો કરોળિયા કેવી રીતે તેના પોતાના જાળા બનાવે છે. કોણ તે કરે છે? બીજુ કોઈ નહીં તે પોતેજ તેની પોતાની લાળથી જાળા
બનાવે છે, અને પોતે તે
જાળામાં ફસાઈ જાય છે અને માને છે કે’ હું મરી રહ્યો છું!’.
તમે વિશ્વને દોષ આપો છો; લોકોને દોષ આપો
છો, પરિસ્થિતિને દોષ આપો છો
અને તમારા પોતાના મનને દોષ આપો છો. તમારા મનને પણ દોષ આપવાનુ બંધ કરી દો. જાગો અને
જુઓ,બસ!
મૃત્યુ ગમે તે
સમયે તમારું બધું લૂંટી શકે છે, એક મિનિટમાં. એક
મિનિટ પણ નહીં લાગે. એક મિનિટમાં મૃત્યુ તમારું જે કંઇ છે તે લૂંટી લેશે. તે
પહેલાં કે મૃત્યુ તમને લૂંટી લે, હું તમને કહુ છું
જવા દો. પછી તમે મુક્ત છો અને તમને લાગશે કે હું ઘરેજ છું. એક દિવસ મૃત્યુ તમારી
પાસેથી બધું લૂંટી લેશે; તમારું ઘર, તમારા સ્નેહીજનો, તમારી કાર,
ઘરેણાં, તમારા ફ્રિજ, બધું જતુ રહેશે. હકીકતમાં, તે બધુ અહીં હશે, તમે જતા રહેશો. તે ઉલટુ છે. જાગો અને જુઓ કે
કંઇ તમારું નથી. તમે કહી ન શકો કે
– ‘મારુ કંઇ જ નથી!’ ‘મારુ કંઇ જ નથી’ અને તમે ઘરે છો. હું તમને કહું છું એમ
માનવું એજ સ્વતંત્રતા છે. મારો અર્થ એવો નથી કે જાઓ અને તમારુ બેંક બેલેન્સ ખાલી
કરી દો. બધું આપી દો. બેન્ક માં પૈસા રાખો, તમારા મગજમાં નહીં, સમજ્યા? તમને લોભ નહીં હોય, તમને ગુસ્સો નહીં આવે, તમે માલિકી નહીં જતાવો અથવા ઇર્ષ્યા નહીં કરો. ફક્ત યાદ રાખીને
કે એક અનિવાર્ય સત્ય જે તમારા જીવનમાં ઘટવાનું છે, તમે એક દિવસ મૃત્યુ પામશો! તમારે આ જાણવા
પુસ્તકો વાંચવાની જરૂર નથી. આ એક સ્પષ્ટ સત્ય છે. તમારે ધર્મગ્રંથો માંથી જાણવાની
જરૂર નથી કે તમે મૃત્યુ પામશો. આ એક વસ્તુ ની પ્રતીતિ તમારા જીવન માં રૂપાંતર
લાવવા માટે પૂરતી છે. હિંમત, ખાતરી, અને પ્રતીતિ તેજ ખરા અર્થમાં શાણપણ છે. પ્રથમ
અનુભૂતિ, અને પછી હિંમત
અને ખાતરી સ્વતંત્રતા લઈ આવે છે. પછીજ ખરા અર્થમાં ધ્યાન થાય છે. ત્યાં સુધી તમે
તમારી આંખો ખોલો અને બંધ કરો અને ફરીથી ખોલો અને બંધ કરી બેસો છો. હા, ત્યાં ધ્યાનમાં અમુક શાંતિનો અનુભવ થાય છે,
પણ તેથી વધુ કંઇ નહીં.
પ્ર: શિક્ષક
તરીકે, એ લોકો કે જે
કોર્સ કરીને અભ્યાસ નથી કરતા તેમની સાથેના વ્યવહારમાં હતાશા દૂર કેવી રીતે કરુ?
તેમને અભ્યાસ માટે દબાણ
કરવું બરાબર છે કે તેમને છોડી દેવુ વધુ સારુ રહેશે?
શ્રી શ્રી
રવિશંકર: જુઓ, તેમને અભ્યાસ
માટે દબાણ કરવાની જરૂર નથી, પરંતુ ધીમેધીમે
તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરો. જો તમે દબાણ કરશો તો, તે ઊંધી અસર થશે. પરંતુ તે માટે પ્રોત્સાહન આપવું સારુ છે. તમારે
હંમેશા લોકોને કંઈક સારુ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આજકાલ લોકોને સારું
કરવાની ટેવ નથી. તમારે તેમને આગળ ધકેલવા પડશે, તેમને પ્રોત્સાહિત કરવા પડશે. તમે ચોક્કસ પણે તે કરી શકો છો. પરંતુ પછી, ત્યાં તમારે હતાશ થવાનો કોઈ મતલબ નથી. તમે થાય
- 'ઓહ, તે બધા તેમનો અભ્યાસ કરે.' તમારો તે અભિગમ તેમને મદદ કરી શકે છે. તે આષિશ
અથવા પ્રાર્થના પોતે મદદ કરશે. એક વાત યાદ રાખો કે, એવા ઘણા લોકો છે જે કોર્સ કરે છે, તેઓ સંતોષ પામે છે, તેઓ ખુશ છે અને પછી તેઓ દૂર જાય છે. આ એવું છે
કે એક વ્યકિત જે ભૂખ્યો હતો તે રેસ્ટોરન્ટ માં જઈ પેટ ભરીને
ખાય છે. જો તેમનું પેટ ભરેલુ હશે તો તેઓ ખોરાક વિશે ફરીથી આગામી થોડા કલાકો સુધી
વિચાર કરશે નહીં. બરાબર? એ જ રીતે, લોકો કોર્સ કરવાથી એટલા સંતુષ્ટ હોય છે,
તેઓ પૂર્ણતાનો અહેસાસ કરે
છે, તેથી અમુક સમય માટે તેમને
અભ્યાસ કરવાનો વિચારો નથી આવતો. જ્યારે અમુક ખાલીપણાની લાગણી થાય , પછી તેઓ પાછા આવે છે. આ વાત છે!
જ્યારે તમે સારી
રીતે ખાધું હોય, ત્યારે તમે બીજા
સાત દસ કલાક માટે અથવા કદાચ એક દિવસ માટે ખોરાક વિશે વિચારતા નથી. બરાબર આવુંજ થાય
છે. તમે તેમને સંપૂર્ણ ભોજન આપો છો, કેટલું પૌષ્ટિક, કેટલું સંતોષજનક, કેટલુ સ્વાદિષ્ટ કે જે ખાય છે તેઓ અમુક સમય
માટે પાછા આવતા નથી. પરંતુ તેઓ ચોક્કસ પણે પાછા આવશે.
પરંતુ જો તમે તેમને અભ્યાસ ન કરવા માટે વારંવાર અપરાધ ભાવનો અનુભવ કરાવશો, તો તે લાગણી તેમને અભ્યાસથી દૂર પણ રાખી શકે
છે. તેમને અપરાધ ભાવનો અનુભવ ન
કરવા દો. તેમને કહો, 'તમે અહીં જે
શીખ્યા છો, તેનો અભ્યાસ કરવો
સારો છે, પરંતુ જો તમે તે ન પણ કરો, તો કોઈ વાંધો નથી. ઓછામાં ઓછુ ક્યારેક જરૂર
આવજો.' નહીંતર તેમને
લાગે છે કે, 'ઓહ હું આ શીખ્યો અને
મે પ્રેક્ટિસ નથી કરી. હવે હું જઈને શિક્ષકનો સામનો કરી કેવી રીતે કરુ?' અને, તેઓ આવી તમને મળે અને તમે ફરીથી ઠપકો આપો કે ‘જુઓ તમે તમારો અભ્યાસ નથી કર્યો’
માત્ર એટલું યાદ
રાખો, તમને શાળામાં એવા શિક્ષક
ને મળવું ક્યારેય નહોતુ ગમતું જે ફુટપટ્ટી લઈ કહે કે આજે તમે હોમવર્ક નથી કર્યુ.
મને યાદ છે આવા કેટલાક શિક્ષકો હતા. ખાસ કરીને એક શિક્ષક જે હંમેશા વિદ્યાર્થીઓને
પૂછતા કે તેમણે તેમનું હોમવર્ક કર્યું છે કે નહીં, અને તેમને સજા કરતા. તેથી બાળકો તે શિક્ષકને
ટાળવાનો પ્રયત્ન કરતા, કારણ કે શિક્ષક તેમને દરેક સમયે પૂછતા 'અરે, તમે તમારું હોમવર્ક કર્યું?' અન્ય શિક્ષકો વધુ
પૂછતા નહીં. તમે તે શિક્ષકને ટાળવા માંગો છો જે તમે શું નથી કર્યું તે પકડે છે.
તેથી કોઇ વ્યકિત માં અપરાધ ભાવ ન જગાવો. જ્યારે તેઓ ભૂખ્યા થશે તે પાછા આવશે.
મેં એવા લોકો
જોયા છે જેમણે દસ વર્ષ પહેલાં કોર્સ કર્યો હતો, કે છેલ્લા દસ વર્ષથી ધ્યાનની શીબિર માં નહોતા આવ્યા, તે પાછા આવ્યા. જ્યારે જરૂર હશે, તેઓ ચોક્કસ પણે પાછા આવશે. અને તમારી પાસે સૌથી સ્વાદિષ્ટ
મેનુ છે!
પ્ર: વિરોધી
મૂલ્યો પૂરક છે. શું પ્રેમનું પૂરક છે કે તેનું વિપરીત છે?
શ્રી શ્રી
રવિશંકર: મને લાગે છે કે તમે મારા ભક્તિ સૂત્રની વાત સાંભળી નથી. તમારે તે સાંભળવી
જોઈએ. એક પ્રેમ છે જેમાં તિરસ્કાર છે. પ્રેમનુ અન્ય સ્તર કે જ્યાં કંઇ વિપરીત નથી
- તે દિવ્ય પ્રેમ છે; કે આધ્યાત્મિક
પ્રેમ છે. એક લાગણીશીલ પ્રેમ છે - 'ઓહ, હું તમને પ્રેમ કરું છું, તમને પ્રેમ કરુ છું’, અને પછી તમે કહેશો, 'તમે મને દીઠા પણ નથી ગમતા!' તમે કહેશો, 'હની, હની, હની ', અને પછી તમે ડાયાબિટીક બની જાવ છો.