Saturday, 17 December 2011

પૂજા નો અર્થ છે દિવ્યતા ભરેલ વાતાવરણ બનાવવું અને તેમાં વિશ્રામ કરવો

૧૭ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, 'છોડી દેવાનું' કેવી રીતે શીખીએ?

શ્રી શ્રી રવિ શંકર: એક ઊંડો શ્વાસ લો અને રોકી રાખો. બસ! હવે તમને કોઇ પણ વાત કેવી રીતે છોડી દેવાની તે ખબર પડી ગઇ.

પ્ર: ગુરુજી, સમુદ્ર ના મોજા ઉપર જાય છે અને પછી નીચે જાય છે. પણ તમે કહ્યું છે કે ધ્યાનમાં અંદર ઊંડે ગયા પછી મન વિલીન થઇ જાય છે. તો મનમાં ઊંડા કેવી રીતે ઊતરવું?

શ્રી શ્રી રવિ શંકર: પ્રયાસ કરવાનો છોડી દો. જ્યારે તમે વિચારો કે મારે આમ કરવું છે કે તેમ કરવું છે ત્યારે મન એમાં સંકળાઇ રહે છે અને તે માત્ર ઉપરની સપાટી પર રહે છે. જ્યારે તમે બધું છોડી દેવાની ક્ષમતા ધરાવશો ત્યારે મન શાંત થઇને ઊંડાઈ માં ઉતરી જશે.

પ્ર: ગુરુજી, છેલ્લા બે દિવસ માં TRM કોર્સ દરમ્યાન મેં તમારી પાસેથી ઘણુ બધુ જ્ઞાન સાંભળ્યું છે. હું એને કેવી રીતે જાળવી રાખુ કે જેથી જ્યારે યોગ્ય સમય આવે, ત્યારે હું તેનો ઉપયોગ કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: સંદેહ ન રાખો, આ આત્મસંદેહ છે 'મેં જ્ઞાન સાંભળ્યું છે, પરંતુ આ જીવન ઉપયોગી બનશે', આ શંકા તમારામાં ન હોવી જોઇએ. તમે નર્સરી સ્કૂલ માં શીખ્યા કે ૨ + ૨ = ૪, તો તેને એકવાર જાણ્યા પછી તે આજીવન તમારી સાથે રહે છે. જ્યારે તમે ગણતરી કરો, ત્યારે ૨ વત્તા ૨ નો જવાબ ૪ મનમાં તરત આવે છે. તેના માટે ખૂબ વિચાર કરવાની જરૂર નથી પડતી. તેથી જ્યારે તમે જાણો છો, 'લોકો ને તેઓ જેવા છે તેવા સ્વીકારવા' અથવા 'વર્તમાન ક્ષણ અનિવાર્ય છે', ત્યારે તમે વ્યગ્ર હો, તો આપોઆપ આ જ્ઞાન ઉપર આવે છે. 'ઓહ, વર્તમાન ક્ષણ અનિવાર્ય છે. હવે શું કરી શકો? તે ભૂતકાળ છે. તે ક્ષણ વીતી ચૂકી છે.' આ જ્ઞાન તમને આપોઆપ આવે છે, જાણે તમારામાં એ 'પ્રોગ્રામ' કરેલી હોય. જ્ઞાન સાંભળવું તે પ્રોગ્રામીંગ થવા બરાબર છે. એકવાર તમે પ્રોગ્રામ થઇ ગયા, પછી તે જ્યારે અને જ્યાં પણ જરૂરી હોય ત્યાં સ્ફુરી આવે છે. હવે, 'મારે જીવન માં આ જ્ઞાન નો ઉપયોગ કરવાની જરૂર છે', આ વિચાર મોટો સંઘર્ષ ઊભો કરે છે. તે તમારા મનમાં મોટી તાણ પેદા કરે છે. તમને લાગે છે કે તે ત્યાં નથી.

જ્યારે તમે કહો કે 'હું આ માહીતિ કોમ્પ્યુટરમાં ઉમેરવા માંગુ છુ', તેનો અર્થ કે તે ત્યાં નથી. સાંભળો, તમે એકવાર જ્ઞાન સાંભળો છો તે જ ક્ષણે તે મન નામના સુપરકોમ્પ્યુટર માં ઉમેરાઇ રહ્યું છે. તે પછી તમારી મદદ માટે સ્વેચ્છાપૂર્વક સ્વંસ્ફુરીત રીતે આવશે. જ્ઞાન નો ઉપયોગ કેમ કરવો કે તે ભુલાઇ જશે તેવી ચિંતા ન કરો. તેને રોજબરોજ તાજું કર્યા કરો - પ્રેરણાદાયક જ્ઞાન ના પુસ્તકો માંથી દસ મિનિટ માટે વાંચીને કે જ્ઞાન ની CD સાંભળીને - પછી તેનો ઉપયોગ સ્વયંસ્ફુરિત છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી જ્ઞાન નહિં સાંભળો, તો તમે ભૂલી જશો. જો તમને યાદ હશે તો ઉપયોગ સ્વયંસ્ફુરિત, અને આપોઆપ છે. અને જો તમે તેને ભૂલી ગયા હોય તો કોઈ કે તમને યાદ કરાવવું પડે અને તે માટે તમે સત્સંગ, TRM માટે આવો અથવા કોર્સ માં ફરીથી આવો અને જ્ઞાન તાજું કરો, તમારી યાદદાસ્ત તાજી કરો.

પ્ર: ગુરુજી, અમે જાણીએ છીએ કે અમારે નિયમિત સાધના કરવી જોઈએ, પરંતુ ક્યારેક તેનો ખૂબ જ કંટાળો આવે છે. તે સમયે શું કરવું?

શ્રી શ્રી રવિ શંકર: વ્યાયામ હંમેશા કંટાળાજનક હોય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે સારા આરોગ્ય માટે તે જરૂરી છે. ક્યારેક આહાર પણ કંટાળાજનક હોય છે, પરંતુ તો પણ આપણે ખાઇએ છીએ. સાધના કંટાળાજનક હોય તો પણ આપણે તે કરવી જોઈએ. તેને નિયમિત દિનચર્યા નો ભાગ બનાવો, થોડી મિનિટો માટે બેસવાનો આગ્રહ રાખો, ભ્રસ્ત્રિકા કરો. ક્યારેક તમે treadmill પર કસરત કરતા કંટાળો છો પરંતુ તમે તે છોડતા નથી કારણ કે તમે જાણો છો કે તે તમારા આરોગ્ય માટે સારી છે તે જ રીતે તમે સાધના પણ કરો. તેને એક કે બે દિવસ માટે ચૂકી જવાય તો વાંધો નહીં. તે વિશે જાતને દોષી ન માનશો. પરંતુ ચૂક નિયમિત બની જાય, તો તમારે તેના વિષે પુનર્વિચાર કરવાની જરૂર છે. આ કારણથી સાધના સમૂહમાં કરવી હંમેશા સારી છે. સંસ્કૃત માં કહેવત છે: 'एकस तपस्वी, द्विर्‌ अध्यायी'; જ્યારે તમે બે કે ત્રણ અથવા વધુ વ્યક્તિઓના સમૂહમાં સાધના કરો છો તે હંમેશા લાભદાયી હોય છે. મેં સાંભળ્યું છે કે લોકો સોબત (કંપની) માં શરાબ પીએ છે. જો તમે કંપનીના ખાતર ખોટી વસ્તુઓ કરી શકતા હો, તો તમે કંપનીના ખાતર કંઈક સારી વસ્તુ ન કરી શકો?

પ્ર: ગુરુજી, જ્યારે હું ખરાબ ટેવ, ખરાબ વિચાર, ખરાબ લાગણી અથવા ખરાબ મનોસ્થિતિ પર વિજય મેળવું અને વિચારું કે 'હા મેં આ સિદ્ધ કર્યું' કે તરત મારી સામે એક પડકાર ઉભો થાય છે. આ શું છે?

શ્રી શ્રી રવિ શંકર: સફળ થવાના અને અક્ષમતાના વિચારોને સાથે ન જોડો. ક્યારેક આવું થાય છે. ઘણી વખત તમારો નિશ્ચય ઢીલો પડે છે, એનો મતલબ કોઇ અન્યનો સંકલ્પ જીતી જાય છે. તેથી એના વિશે બહુ વિશ્લેષણ ન કરો અન્યથા તમે જાતને દોષી માનવા લાગશો, તમારો આત્મવિશ્વાસ કમજોર પડશે. શ્રેષ્ઠ રસ્તો એ છે કે નવો નિશ્ચય કરો અને આગળ વધો.

નવા સંકલ્પ પછી થોડા સમયગાળા માટે તમે સાચા રસ્તે ચાલશો. ધારો કે તમે નક્કી કરો, હું વધારે નહીં ખાઉં. તમે પંદર દિવસ અથવા એક મહિના માટે નિશ્ચય રાખો અને પછી ફરીથી તમે તેને તોડીને ખાવાનું ઝાપટવા માંડો છો. તમે વધારે ખાઓ પછી તમને દુઃખ થાય છે. ત્યારે ફરીથી તમે સંકલ્પ કરો. 'હું આ નહિં કરી શકુ, મારુ વધુ ખાવાનું ચાલુ રહેશે', એવું કહેવાને બદલે કહો, 'ઠીક, આજથી નવી શરૂઆત. કાલે વધારે ખાઇ લીધુ પરંતુ આજે હું ફરીથી સંકલ્પ શરૂ કરીશ.' એ નિર્ધાર રાખવાથી, તમે એક મહિના માટે વધારે નહોતુ ખાધુ. તેથી સમય સમયે આવો સંકલ્પ કરો ભલે ને એ તૂટી જાય. તમે સાચી દિશામાં આગળ વધો છો, તેથી મક્કમ રહો. તમને ધૂમ્રપાન, શરાબ અથવા સંભોગની અહિતકર આદત હોય, પરંતુ તમે સંકલ્પ પાળવામાં સક્ષમ ન હો તો પણ તે ચાલુ રાખો. જો તે દસ વખત તૂટે તો પણ પાછો સંકલ્પ લો. ધારો કે જો તમે સંકલ્પ ન લીધો હોય તો શું થયું હશે? તમે સમગ્ર સમય દરમ્યાન એ જ વ્યવહારમાં રચ્યા પચ્યા રહેશો.

ઓછામાં ઓછું તમારા સંકલ્પથી તમે એક મહિનો, પંદર દિવસ બે મહિના અથવા એક વર્ષ તો બચી ગયા. તે ક્યારેક તૂટી જાય, તો ફરીથી લો. આમ આગળ વધતા તમારી ચેતના ઉપર ઉઠશે જેની મદદથી જીવન સાચી દિશામાં પ્રગતિ કરશે. અને અચાનક એક દિવસ તમે જોશો, કોઇ પ્રયાસ વિના, સરળ અને સ્વાભાવિક રીતે તમે બદલાઇ ગયા છો. એ કુદરતી ગોઠવણી છે જ્યારે તમે સંપૂર્ણપણે મુક્ત હો તેમ અનુભવો છો. આંતરિક સ્વતંત્રતા માત્ર સ્ફુરે છે, પરંતુ તમારે આ ઉપયોગી પગલાં લેવા જ જોઈએ.

પ્ર: ગુરુજી, તમે અમને અમારું બાકીનું જીવન કેવી રીતે વિતાવવાની સલાહ આપશો? એક અનુયાયી તરીકે કે ભક્ત તરીકે?

શ્રી શ્રી રવિ શંકર: શું તમને લાગે છે કે ભક્તો અનુયાયી નથી હોતા અથવા અનુયાયીઓ ભક્ત નથી હોતા? તમે તેને કંઈક નામ ન આપો તે જ સારું છે. હું ઇચ્છું છું કે તમે ખુશ રહો, સંતોષી રહો અને સૌથી ઉંચા જ્ઞાન ને જાણવા માટે ઇચ્છુક રહો. આત્મજ્ઞાન ની પ્રાપ્તિ માટે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તો તમે યોગ્ય દિશામાં વિકાસ કરતા રહેશો. જો તમને તરસ હશે, તો તે છિપાવવામાં આવશે. પરંતુ જો તમને તરસ જ ન હોય, તો તેને છિપાવવાનો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો.

પ્ર: પ્યારા ગુરુજી, તમે જ્યારે જ્યારે આ પૃથ્વી પર આવો ત્યારે હું તમારી સાથે અહીં આવી શકું? કૃપા કરીને તમે જ્યાં જાઓ ત્યાં મને સાથે કઇ જાઓ.

શ્રી શ્રી રવિ શંકર: ઠીક છે! હું કરીશ. પરંતુ હું લાંબા સમયગાળા પછી આવું છું. તમારે વચ્ચે વચ્ચે પણ ક્યારેક આવવું પડશે.

પ્ર: ગુરુજી, શું હું આશ્રમ માં અત્યારે જે આનંદ અનુભવુ છું તે જ્યારે હું પાછો ઘરે જઇશ ત્યારે ચાલુ રહેશે?

શ્રી શ્રી રવિ શંકર: તે દીવો તમારે પ્રગટાવેલો રાખવાનો છે. તે આનંદ ચાલુ રાખવો તે તમારો પડકાર છે. તમે તેને કેવી રીતે રાખી શકશો? પ્રત્યેક દિવસે આ જ્ઞાન અને પ્રેરણાદાયક બોધને વાંચીને કે સાંભળીને તાજું રાખો. જ્યારે તમે ગાડી ચલાવતા હો, ત્યારે અમુક જ્ઞાન ની CD ચાલુ કરો. જ્યારે તમે ટ્રાફિક જામ માં ફસાયા હો ત્યારે નકામા વિચાર કરવાને બદલે અથવા નકામા ગીતો ગાવાને બદલે, જ્ઞાન નું ચિંતન કરો. હું નથી કહેતો કે તમે ગાયન જ ન ગાઓ. સંગીત મહત્વનું છે પરંતુ સંગીતની સાથે જ્ઞાન પર થોડો સમય વિતાવો તે જરૂરી છે. તેનાથી મદદ મળશે અને તમારી સાધનાથી મદદ મળશે.

પ્ર: ગુરુજી, હું તમારા માં પરમ દિવ્યતા જોઊં છુ અને અનુભવુ છુ. તમે સાધારણ મનુષ્યની જેમ પૂજા  શા માટે કરો છો? મહેરબાની કરીને તે સ્પષ્ટ કરો.

શ્રી શ્રી રવિ શંકર: પૂજા વિશે સમજવામાં તમારી ભૂલ છે. પૂજા નો નિયમ છે કે માત્ર શિવ જ શિવની પૂજા કરી શકે છે. તેથી પ્રથમ તમે તમારા શરીરના વિવિધ અંગોને પરમ દિવ્યતાના નામ આપો. તમે પરમ દિવ્યતાનો ભાગ બની જાઓ અને પછી તમે ફૂલો અને બીજુ બધું દિવ્યતાને અર્પણ કરો. આ ખરેખર પૂજા કરવાની સાચી રીત છે, પરમ દિવ્યતાને અંદર જોવાની. જેટલો હું દિવ્યતા નો અંશ છું તેટલા જ તમે છો. જેટલા મારામાં ભગવાન વસે છે તેટલા જ તમારામાં વસે છે. જો તમે તે જોઇ શકો તો ઘણુ સારુ. તમે અને હું અલગ નથી, આપણે એક જ છીએ. તમારે કહેવું જોઈએ, 'હું ગુરુજીનો એક ભાગ છું.' સ્વયં ને દોષી માનવાનું છોડીને જોઇ લો કે તમે ગુરુ, ભગવાન અને સમગ્ર સૃષ્ટિના એક અંગ છો.

મારે પૂજા કરવાની શી જરૂર? મને કાંઇ લાભ થાય છે? ના. હું પૂજા કરું અથવા ન કરું કશો ફરક નથી પડતો, પરંતુ તે પરંપરા છે. જો હું કરીશ તો બીજા બધા પણ કરશે. તે દાખલો પાડવાની વાત છે. ભગવાન કૃષ્ણ અને શ્રી રામ પણ પૂજા કરતા હતા - તે પરંપરા ને અનુસરતા હતા. તેથી આપણે વડવાઓની જેવા પરંપરા નું પાલન કરવું જોઇએ. જો હું ન કરું, તો પછી બીજા કેવી રીતે પાલન કરશે?

અને હું તેમને કહી પણ કેવી રીતે શકું. મારે પ્રાણાયામ, ક્રિયા, ધ્યાન કરવાની જરૂર નથી અને મારે સત્સંગ માં બેસવાની જરૂર નથી. પરંતુ જો હું ન બેસુ, તો હું અન્યને કેવી રીતે સત્સંગ માટે બેસવાની કે ધ્યાન ધરવાની પ્રેરણા આપી શકું? તેથી, હું પણ ધ્યાન ધરુ છું. મારા માટે, આંખો ખુલ્લી કે બંધ રાખવી એ સરખું છે, પરંતુ છતાય હું કરુ છું.

આ જ પ્રશ્ન અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યો હતો. ભગવાન કૃષ્ણે કહ્યું, 'મારા માટે કોઈ કર્મ નું બંધન નથી. હું કર્મ કરવાથી કશું મેળવવાનો નથી કે તે ન કરવાથી કાંઇ ગુમાવવાનો નથી. છતાં પણ, ' वर्त एव च कर्माणि ' હું કર્મ કરીશ. શા માટે? જો હું નહીં કરુ તો લોકો મને અનુસરશે અને પછી કોઇ કર્મ નહીં કરે, વિનાશ થશે'. તેમણે કહ્યું, 'લોકોને ઉદાહરણ આપવા હું બધું કરું છુ, બધા કર્મ કરું છુ. તેથી તુ પણ કામ કર.' અર્જુને કહ્યું કે, 'ના હું નહીં કરુ.' કૃષ્ણએ જવાબ આપ્યો, 'ના, તારે કરવુ જ પડશે.' અર્જુને ફરીથી કહ્યું , 'શા માટે? જો કર્મ બંધનકર્તા હોય તો પછી તમે મને કર્મ કરવા શા માટે પૂછો છે? તમે કહ્યું તેમ જ્ઞાનથી સ્વતંત્રતા મળે, તો પછી હું કાર્ય શા માટે કરું?'

કૃષ્ણએ કહ્યું , 'મારે પણ કંઇ કરવાની જરૂર નથી. પરંતુ હજુ પણ હું બધું કરી રહ્યો છું. તારે પણ કરવું જોઈએ'

પૂજા નો અર્થ દિવ્ય વાતાવરણ બનાવવું અને તેમાં વિશ્રામ કરવો. જાપ કરવો તે જ ખૂબ મહત્વનું છે. આ જાપમાં હજારો વર્ષો જુના સ્પંદનો છે. સ્વરિત્ર વાદ્યયંત્ર (ટ્યુનિંગ ફોર્ક) ની જેમ, સમાન કંપનતરંગ (વાઇબ્રેશન ફ્રીક્વન્સી) વાળા તાર એક સાથેસ્પંદિત થઇ ઉઠે છે, એ જ રીતે જ્યારે તમે તે મંત્ર જપો, ત્યારે તમારી જે હજારો વર્ષ જૂની ચેતના છે, તેના ક્યાંક ઊંડા સ્તર સ્પંદિત થાય છે.

તેથી જ્યારે તમે મંત્રો સાંભળો, ત્યારે તમને કંઈક થાય છે. આ મેં ભારતમાં જ નહીં તમામ વિશ્વમાં થતુ જોયું છે. શરૂઆતમાં જ્યારે અમે 'ૐ નમ: શિવાય' ના મંત્રોચ્ચાર કરીએ, ત્યારે જે લોકો ને સંસ્કૃત નથી આવડતું અથવા તે મંત્રો પહેલી વાર સાંભળ્યા છે તેઓ પણ કહે છે, 'અંદર કંઈક થાય છે.' આપણી ચેતના ખૂબ પ્રાચીન છે, તેથી વૈદિક મંત્રો માં આપણી ચેતનાના ઊંડા સ્તરો ને સ્પર્શ કરવાની ક્ષમતા છે. હવે તમે કહેશો, 'આપણે જર્મન અથવા ફ્રેન્ચ અથવા કન્નડા, ઉર્દુ, તેલુગુ, આસામી અથવા તમિલ માં શા માટે નથી ગાતા?' તમે કોઇપણ ભાષામાં ગાઇ શકો છો, પરંતુ આ વૈદિક મંત્રોની અસર અલગ છે. તેથી તેઓ મંત્ર તરીકે ઓળખાય છે - ' मननः त्रायते इति मन्त्राः '. જે ને સાંભળીને અથવા જાપ કરીને મન પેલે પાર જાય છે તે મંત્ર કહેવાય છે. આ મહા-મંત્રો માં આપણી ચેતનાશક્તિ ને અસર કરવાની શક્તિ છે તેથી આપણે કહીએ છીએ 'ૐ નમઃ શિવાય', 'ૐ નમો નારાયણ'. ભજન અલગ છે; તમે 'રાધે-શ્યામ' ગાઇ શકો છો. ભજન અન્ય કોઇ ભાષામાં પણ ગાઇ શકાય છે. પરંતુ જ્યારે તમે ૐ કહો છો તેની ચેતના પર જૂદી જ અને ઊંડી અસર છે.

પ્ર: ડિયર ગુરુજી, જ્યારે હું ખૂબ ઉદાસ હોઊં, ત્યારે હું ઉદાસીભરી કવિતાઓ લખું છુ. શબ્દો ક્યાંક થી બહાર નીકળી આવે છે. પરંતુ જ્યારે હું ખુશ હોઊં ત્યારે આવું કરવા માટે સમર્થ નથી. એવું શા માટે?

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમે ખુશ હો ત્યારે તમારી ચેતના વિસ્તરે છે અને જ્યારે તમે ઉદાસ હો ત્યારે ચેતના એકાગ્ર હોય છે. તે કારણ હોઈ શકે છે. જ્યારે તમે ખુશ હો અને ઉત્તેજિત ન હો, પરંતુ ખૂબ જ શાંત અને ખુશ હો, ત્યારે સર્જનાત્મકતા ઉભરાઇ આવે છે. જો તમે ખૂબ જ ઉત્સાહિત હો ત્યારે મન માં કોલાહલ હોય છે અને વિસ્તાર હોય છે. જ્યારે તે વ્યાકુળતા ઓછી થાય ત્યારે ખુશી વધે છે અને સર્જનાત્મકતા સાથે આવે છે.

પ્ર: ગુરુજી, અમે બેઝિક કોર્સ માં શીખીએ છે 'લોકો અને પરિસ્થિતિ જેવા હોય તેવા સ્વીકારી લો'. કામ પર, જ્યારે મારા બૉસ દૈનિક ધોરણે અપમાન કરે તો તે કેટલી હદ સુધી મારે સહન કરવા જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: જુઓ તમે તેમને પહેલાથી સ્વિકારેલા છે તેથી જ તમે તે નોકરી માં રહેવાનું સ્વીકાર્યું છે. આ પસંદગી છે. હવે, જો તમને બીજે ક્યાંક સારી નોકરી મળે તો તેમને આવજો કહી દો. પરંતુ જો તમને કોઇ નોકરી નથી મળતી અને આ ક્ષણે તમે તમારા કુટુંબમાટે આધારરૂપ હો તો પછી તે ઠીક છે, ચાલુ રાખો.

પ્ર: ગુરુજી, શરૂઆતમાં ગોપીઓનો કૃષ્ણ તરફનો પ્રેમ બાધક અને અપેક્ષાપૂર્ણ હતો અને તે પછી બિનશરતી પ્રેમ માં રૂપાંતરિત થયો. આ કેવી રીતે થયું?

શ્રી શ્રી રવિ શંકર: જ્ઞાન અને શાણપણ દ્વારા. જ્યારે તમે જાણો છો કે તમારી જાતને પણ પકડી નથી શકતા તો પછી તમે બધું છોડી દો છો.

પ્ર: જો આ જીવન સ્વપ્ન છે, તો પછી વાસ્તવિક સ્વરૂપ ને કેવી રીતે જાણીએ?

શ્રી શ્રી રવિ શંકર: તમે વાસ્તવિક સ્વરૂપને જાણી ન શકો. પણ તમે એ જાણી શકો છો કે બધું પરિવર્તનશીલ છે. એકવાર તમે જાણો છો કે બધું બદલાય છે ત્યારે જેને લાગે છે કે બધું જ બદલાતું રહે છે તે નથી બદલાતુ. એક સ્થિર કેન્દ્ર ના અભાવમાં તમે ફેરફારો ન ઓળખી શકો. તમે કેવી રીતે કહી શકો કે કંઈક બદલાય છે? તે સંદર્ભ બિંદુ જાણવાની ચીજ નથી પરંતુ તે પોતે જ્ઞાતા છે. જો તમે કહો કે બધું જાણવાની ચીજ છે, તો તે શક્ય નથી. જે સ્વયં સંપૂર્ણ છે તેને જાણવાનો પદાર્થ બનાવો નહિં.

પ્ર: ગુરુજી આભાર, છેવટે મારો વારો આવ્યો.

શ્રી શ્રી રવિ શંકર: ઓહ! મનમાં પ્રશ્ન લઇને તમે રાહ જોતા હતા. પણ તમે મારા અન્ય જવાબો સાંભળ્યા કે નહીં? (જવાબઃ 'અડધા પડધા') અડધા પડધા! જ્યારે તમે એક પ્રશ્ન માં અટવાઇ જાઓ છો ત્યારે આવું થાય છે. જો મને તમારા પ્રશ્નનો જવાબ ખબર ન હોય તો? તમે પ્રશ્નને છોડી દેવા તૈયાર છો? (જવાબઃ 'હા') તો પછી પ્રશ્ન છોડી દો!

પ્ર: ગુરુજી, હું તટસ્થ રહેવા માંગુ છુ, હકારાત્મક કે નકારાત્મક નહીં. જ્યારે હું મારા પતિને કહુ છું 'મને તમારી સાથે કોઇ સમસ્યા નથી. તમારે જે કરવુ હોય તે મને માન્ય છે.' ત્યારે તે નકારાત્મક લાગે છે. શું તે નકારાત્મક  છે - મને આ કહેતા ઘણી રાહત લાગે છે અને સારુ લાગે છે?

શ્રી શ્રી રવિ શંકર: હા, જ્યારે તમે તેને કહો છો 'તમે જે કરવા માંગો તે કરો, હું ખુશ છું.' ત્યારે તેને લાગે છે કે તમે તેના માટે કાળજી ધરાવતા નથી. જો તમે એ કહેવામાં રાહતની લાગણી અનુભવતા હો, તો તે સારુ છે. શબ્દોમાં વળી શું છે? તમે કંઈક કહો, પછી તે કંઈક કહે, અથવા અન્ય કોઇ કંઈક કહે, આમ ચાલ્યા કરે છે. આ બધુ છોડો અને મુક્ત થાઓ. હસતાં રહો! તમારુ હૃદય સ્વચ્છ રાખો. ક્યારેક તમારા મોં માંથી કેટલાક શબ્દો અજાણે બહાર આવે કે ક્યારેક અન્ય કોઇ કંઇક કહે પણ તેવુ વિચારતા ન હોય.


કઈ માતા એનુ બાળક જતુ રહે તેવું ઇચ્છે? પરંતુ ક્યારેક તે કહે, 'હું થાકી! જતો રહે.' તેથી લોકોના શબ્દો પર ન અટકી જાઓ. શબ્દોથી આગળ જુઓ. હું લોકો શું કહે કે તેની પરવા નથી કરતો. આ બધુ મનોરંજન છે. તેથી આ બધી વસ્તુઓ ને બહુ મહત્વ ન આપો. સમય કિંમતી છે અને જીવન તેથી પણ વધુ કિંમતી છે. તેથી આપણે સારા કામ કરતા રહેવું જોઈએ. ક્યાં તો તમે કામ કરો અથવા તમે ધ્યાન ધરો. તમે કામ કરો ત્યારે તમારા 100% પ્રયત્નો કરો અને પછી બેસીને ધ્યાન ધરો. મારા સિવાય બીજી કોઇ વ્યકિત ના શબ્દો તમારા હૃદય માં ઊંડા ન ઉતરવા દેશો. જ્ઞાન ના શબ્દો તમારા હૃદયમાં ઊંડે ઉતરવા દો, પરંતુ અન્ય લોકો ના ટોણા નહીં.