Friday, 2 December 2011

સત્ય એક જ છે પરંતુ તેના સ્વરૂપ અનેક છે


બેંગલોર, ૨ ડિસેમ્બર ૨૦૧૧

પ્રઃ જય ગુરૂદેવ ગુરુજી, આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો તફાવત શું છે?

શ્રી શ્રી રવિ શંકર: આકર્ષણ ટૂંક સમય માટે હોય છે, પરંતુ પ્રેમ આપણી સાચી પ્રકૃતિ છે.

આકર્ષણ મોજ્શોખ સાથે સંકળાયેલ છે, તે આવે છે અને જાય છે. પ્રેમ આપણો સ્વભાવ છે, તે હંમેશ આપણી સાથે રહે છે. આપણે પ્રેમ વિના રહી શકતા નથી.

પ્ર: ગુરુજી, દાન નું મહત્વ શું છે? કયા પ્રકાર નું દાન સૌથી ઉત્તમ છે?

શ્રી શ્રી રવિ શંકર: દાનથી મન અને હૃદય શુદ્ધ થાય છે. દાન એટલે વહેંચવુ. પરંતુ દાનને સૌથી ઉત્તમ માનવામાં નથી આવતું, કારણ કે તમે હંમેશા કોઈ પરાઇ વ્યક્તિ ને દાન કરો છો. તમે નથી કહેતા કે 'મેં મારી દિકરી કે દિકરાને દાન કર્યું.' તેથી પ્રથમ પગલું કરુણા છે. બીજું પગલું દાન છે, તમારી પાસે જે છે તે જરૂરતમંદોને આપવું અને પછી ત્રીજું પગલું છે આત્મિયતાનો ભાવ. જ્યાં તમે વહેંચો છો કારણ કે તે સિવાય રહી નથી શકતા. સેવા કરવા છતાં મનમાં "હું સેવા કરું છું" તેવો ભાવ ન હોય તો તે સાચી સેવા છે. ધારો કે તમે કોઇ ઘાયલ વ્યક્તિને ઉંચકીને પાટા-પીંડી કરો અને પછી તેની સેવા કરો છો. પછી એમ નથી કહેતા, 'મેં તે વ્યક્તિની ખૂબ સેવા કરી'. તમે તે કર્યું કારણ કે એક માનવ તરીકે તમે મદદ કર્યા વગર ન રહી શકો. કોઇ ઘાયલ ને મૂકીને તમે જઇ જ ન શકો, તે શક્ય જ નથી. તેથી સેવા આપણી પ્રકૃતિ માં હોવી જોઈએ.

પ્ર: ગુરુજી, હું મારી જાતને કેવી રીતે બદલુ કે જેથી ઇશ્વરેચ્છા નું સાધન બની શકું?

શ્રી શ્રી રવિ શંકરઃ સંપૂર્ણપણે ખાલી થઇ જાઓ. માત્ર એટલુંજ માગો કે ભગવાન, તમારી ઇચ્છા મારા દ્વારા સાકાર કરો.

પ્ર: ગુરુજી, ભક્ત ગુરુને શોધે છે કે ગુરુ ભક્તને શોધે છે. ગુરુનો અર્થ શું છે?

શ્રી શ્રી રવિ શંકર: અંગ્રેજી શબ્દ 'ગાઇડ' નું મૂળ સંસ્કૃત શબ્દ 'ગુરુ' છે. ગુરુ એ જે અજ્ઞાનતા દૂર કરે છે અને તમને જ્ઞાન આપે છે. ગુરુ તમને પુસ્તકિયું નહીં પણ પોતાના ઉદાહરણ દ્વારા જીવનનું સાચું જ્ઞાન આપે છે.

માતા પિતા તમારા શરીર ને જન્મ આપે છે જ્યારે ગુરુ આત્માની ઓળખ આપે છે. સદગુરુ તમને આધ્યાત્મિક જ્ઞાન શીખવે છે, તમને બતાવે છે કે તમે પોતેજ ચેતના છો.

પ્ર: ગુરુજી, મને કામ વાસના ના વિચારો ખલેલ પહોંચાડે છે. તેમાં કેવી રીતે રાહત મેળવી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: તમે "એક સાચા સાધક ને અંતરંગ નોંધ" પુસ્તક વાંચો. તેમાં કેવી રીતે વાસના, ક્રોધ, લોભ, અને મોહ ની લાગણીઓ પર નિયંત્રણ લાવવું તે તમામ ઉલ્લેખ છે.

પ્ર: ગુરુજી, જ્યારે કોઇ બેભાનવસ્થા માં હોય ત્યારે પ્રાણ કઇ અવસ્થામાં હોય છે?

શ્રી શ્રી રવિ શંકર: પ્રાણ ચેતના નો બાહ્ય વિશ્વ સાથે કોઇ સંપર્ક નથી રહેતો. જેવી રીતે ટેલિફોન હોય પરંતુ જોડાણ કાપી નાખે તો બીજા સાથે સંપર્ક તૂટી જાય છે તેમ.

પ્ર: જેઓ આપણને નફરત કરે તેમનો કેવી રીતે સ્વીકાર કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: તેમનો તો સ્વીકાર કરવાનો છે! જે લોકો તમને પ્રેમ કરે છે, તેમના સ્વીકાર નો તો કોઇ પ્રશ્નજ ઉભો નથી થતો. ખરો પડકાર જે તમને નફરત કરે છે તેમને સ્વીકારવાનો છે.

કેટલાક લોકો તેમના અજ્ઞાનના કારણે તમને નફરત કરે છે, તો તમે શું કરી શકો? તમે માત્ર તેમને જેવા છે તેવા સ્વીકારી લો. જો તમે તેમને સ્વીકારશો નહીં તો તમને જ માનસિક અશાંતિ થશે. આ જીવન ના રંગમંચ પર દરેક પોતપોતાની ભૂમિકા રમતા હોય છે. નાટકમાં હીરો પણ હોય અને વિલન પણ હોય! આ વિશ્વમાં લાખો લોકો છે - જરૂરી નથી કે બધાને તમે ગમો. કોઇ તો હશે જ જેમને તમે ન ગમો. તે સ્વીકારી લો અને તમારા મનને બચાવી લો. જો તમે તેમને ન ગમો તો તે તેમની સમસ્યા છે, તમારી નહીં.

પ્ર: ગુરુજી, કોનું અનુસરણ કરીએ – દિલ નું કે દિમાગ નું?

શ્રી શ્રી રવિ શંકર: ક્યારેક તમારા દિલનું સાંભળો અને ક્યારેક તમારા દિમાગનું. વ્યાપાર દિમાગ વાપરીને કરો, અને સેવા કરતી વખતે હૃદયને અનુસરો. જીવનને માણતી વખતે તમારા હૃદયને અનુસરો, તે સમયે ગણતરી ઠીક નથી. ગણતરી ગ્રાહક સાથે હોય છે, પરંતુ જો તમે તમારા મિત્રો અથવા કુટુંબ જનો સાથે ગણતરી શરૂ કરશો તો તકલીફ થશે.

પ્ર: ડિયર ગુરુજી, આદિ શંકરાચાર્ય એ અદ્વૈત ની માન્યતા ને પ્રમાણિત કરી. એનો અર્થ એ કે એમના પહેલા થઇ ગયેલા પ્રબુદ્ધ ગુરુઓને સત્ય ના જુદા જુદા સ્તરની માહિતી હતી? શું સત્ય એક નથી?

શ્રી શ્રી રવિ શંકર: સત્ય એક જ છે પરંતુ તેના સ્વરૂપ અનેક છે. દરેક પરંપરા ના ગુરુઓ એ સત્યના જુદા જુદા પાસાનું વર્ણન કરેલ છે, પણ અંતિમ સત્ય એક જ છે.

પ્ર: ગુરુજી, 'શરણાગતિ ' અને 'થાકી ને હારી ગયો' એ બે ભાવ વચ્ચે શું તફાવત છે?

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમે ગુસ્સામાં હો અથવા હતાશ થઇ જાવ ત્યારે તમે કહી દો છો કે હું હારી ગયો. પરંતુ, જ્યારે તમે કહો કે, 'આ ખૂબ જ મહત્વની વાત છે પણ હું તે વિશે કંઇ પણ નથી કરી શકતો. હવે ઇશ્વર પર છોડી દઉં છું.' આ લાગણીથી વિશ્રામ કરો એટલે શરણાગતિ.