Friday, 9 December 2011

કૃષ્ણ નો અર્થ છે 'સૌથી વધુ આકર્ષક'


૯ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ડિયર ગુરુજી, મારે જાણવું છે કે મોક્ષ મેળવવાની શી જરૂર છે?

શ્રી શ્રી રવિ શંકર: દરેક માનવ કુદરતી રીતે સ્વતંત્રતા ઇચ્છે છે. મુક્તિ વૈભવ નથી, પણ જરૂરત છે. માત્ર  માનવ નહી, પ્રાણીઓ પણ સ્વતંત્ર રહેવા માંગે છે. શિશુઓ સ્વતંત્રતા માંગે છે. જો તમે બાળક ના ગરદન પર ખેસ કે ચેન બંધશો તો તે તેને ખેંચીને દૂર કરવા પ્રયત્ન કરશે. મોટી વ્યક્તિઓ તેમના ગળામાં દાગીના પહેરશે પરંતુ બાળકો ને બંધન નથી ગમતું માટે તેઓ તેમના હાથ ઉપર નીચે હલાવ્યા કરતા હોય છે; મુક્તિ! સ્વતંત્રતા ની ઇચ્છા માણસો તેમજ પ્રાણીઓમાં જન્મજાત હોય છે. દરેક જીવ મુક્તિ માંગે છે અને મોક્ષ બીજુ કંઈ નહી પણ સ્વતંત્રતા છે.

તમે એક ઊંડો શ્વાસ લો પછી શ્વાસ બહાર કરવા માંગો છો. શ્વાસ બહાર કાઢો ત્યારે જ તમે સ્વતંત્રતા અનુભવો છો. ત્યારે જ તમે બીજો શ્વાસ અંદર લેવા ચાહો છો અને તે સ્વતંત્રતા છે.

ફ્રીડમ દરેક મનુષ્ય માં એક કુદરતી ઇચ્છા છે, પરંતુ જ્યારે મન રોજ્બરોજની બિનજરૂરી વસ્તુઓ મા અટવાઇ જાય છે, અને ભુલી જાય છે કે તે સ્વતંત્રતા માંગે છે. જેમ કે કોઇ વ્યકિત ઊંઘવા માંગે છે પરંતુ કેવી રીતે ઊંઘવુ તે ભૂલી ગયો છે.

તેથી દરેક જીવ અથવા માનવી માં સ્વતંત્રતા ની ચાહ છે, તે સ્વતંત્રતા ન માંગે એવું અશક્ય છે.

મુક્તિ નો અર્થ એવો નથી કે જે પરિસ્થિતિ અને ઘટના ચાલી રહી છે તેનાથી દૂર ભાગવુ. ક્યારેક અપ્રિય અથવા મુશ્કેલ પરિસ્થિતિ થી આપણે દૂર જતા રહીએ છીએ અને આપણને લાગે છે કે આ સ્વતંત્રતા છે, પરંતુ તેવું નથી. મુક્તિ એટલે સંજોગો, પરિસ્થિતિ અને આસપાસના લોકો થી પ્રભાવિત ન થવું; તમારા પોતાના લાગણીશીલ મનથી સ્વતંત્રતા; તમારા વિચારો કે સંતાપ માંથી સ્વતંત્રતા; તમામ ભય અને ચિંતા થી સ્વતંત્રતા; ટૂંકમાં જે કાંઇ તમને સંકુચિત બનાવે છે અને તેમાંથી મુક્ત થવાની ઇચ્છા તે સ્વતંત્રતા છે. પ્રથમ મુક્તિ અને પછી ભક્તિ આવે છે, કારણ કે મુક્ત હૃદયમાંજ પ્રેમ અને ભક્તિ આવી શકે. જો તમે બંધનમા હો તો આભાર ની લાગણી થતી નથી. જો કોઇ તમને સ્વતંત્રતા પ્રદાન કરે તો તમે આભાર માનશો, 'ઓહ હું મુક્ત છું. હું ઘણો ખુશ છું! ' માત્ર જે ખુશ છે અને કેન્દ્રિત છે તે જ કૃતજ્ઞતા અને પ્રેમ અનુભવી શકે છે.

હવે તમે પૂછશો, શું પ્રેમ બંધન નથી? હા, તે છે, પરંતુ તે એક અલગ પ્રકારનુ બંધન છે. પ્રેમ અનંત સાથે જોડે છે, અને તે બંધન પણ જ્ઞાન અને શાણપણ થી ધીમે ધીમે છૂટી જાય છે.

આપણું સાહજિક વલણ બંધાવાનું છે. લાગણીઓ ને આસક્તિ જોઇએ છે. તેથી નાની વસ્તુઓ સાથેનું જોડાણ કોઇ મોટી વસ્તુ તરફ જાય છે અને પછી અદ્રશ્ય થઇ જાય છે. વેદાંતમા એક ઉદાહરણ છે. પાણી સ્વચ્છ કરવા તેમાં ફટકડી નાખો તો આ ફટકડી પહેલા પાણી સ્વચ્છ કરે છે અને પછી પોતે ઓગળી જાય છે. તેથી ભગવાન ને મનમોહન કહે છે - એ જે આપણું મન નાની નાની વસ્તુઓમાથી પોતાના પર મોહી લે. સ્થિરતા અને ધ્યાન એટલા આકર્ષક છે કે પછી અન્ય આકર્ષણ તુચ્છ લાગે છે. તે સમજાયા બાદ લોકો નશીલા પદાર્થ અને દારૂ નું સેવન છોડી દે છે, કારણ કે ધ્યાન અને આંતરિક શાંતિ થી નશીલા પદાર્થ અને દારૂ કરતા વધારે આનંદ મળે છે. આ રીતે લોકો આધ્યાત્મિક અભ્યાસ (સાધના) માં આગળ વધે છે. તેથી ઇશ્વરની દિવ્યતાને સૌથી આકર્ષક માનવામાં આવે છે.

તમને કૃષ્ણ શબ્દ નો અર્થ ખબર છે? એ જે પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુને પોતાના તરફ આકર્ષે તે કૃષ્ણ છે.

એટલું મોહક આકર્ષણ કે જેનો પ્રતિકાર ન કરી શકો, એટલુ બધુ આકર્ષણ! આખા ભાગવત માં એ બતાવ્યું છે કે કૃષ્ણ કેવી રીતે બધાને મંત્રમુગ્ધ કરી દે છે. જ્યારે તે રથ માં બેસીને રસ્તા પરથી પસાર થાય, ત્યારે લોકો તેમને મૂર્તિમંત બની જોયા કરતા, રથ દૂર ગયા પછી પણ લોકો બાવરા બની તાક્યા કરતા. ગોપીઓ કહેતી, ' જતા જતા એ મારી દ્રષ્ટિ પણ તેની સાથે લઇ ગયો. ' જાણે દ્રષ્ટા દ્રશ્ય બધું એક બની ગયું. શ્રીમદ ભાગવત મા આવી ઘણી કથાઓ છે. એક ગોપી શ્રુંગાર કરી રહી હતી અને તેણે સાંભળ્યું કે કૃષ્ણ આવે છે તો એક આંખમા જ કાજળ હતું અને બીજુ બધું છોડી તેમની એક ઝલક જોવા શેરી મા દોડી ગઇ. આવી ઘણી કથાઓ છે તે દર્શાવે છે કે દિવ્યતા અત્યંત આકર્ષક છે. જેથી મન ઓછા આકર્ષણો ની જંજાળ થી મુક્ત થાય છે તેથી હરી ને મોહન કહે છે. મોહન એટલે જે હૃદય ને આકર્ષિત કરે, મોહિત કરે અને પ્રેમ રસ થી ભરી દે.

તેથી જ્ઞાન સાથે નું બંધન એ વિલાસિતા ના બંધન કરતાં અલગ છે, જે પીડાકાયક હોય છે.

પરંતુ પ્રેમરસ તમને અનંત સાથે જોડે છે, દિવ્યતા સાથે જોડે છે અને જીવનમા મસ્તી ભરી દે છે. તે સાથે જ્ઞાન જીવનમાં સ્થિરતા લાવે છે. લાગણી વગર જીવન સૂકુ હોય છે; તેથી લાગણી જરૂરી છે. આ લાગણીઓ કાં તો લૌકિક અથવા અલ્પકાલિક વસ્તુઓ ની હોય કાં તો કાયમી તત્વોની; કાયમી પ્રસન્નતા અને કાયમી આનંદની.

પ્ર: ગુરુજી, પ્રજ્ઞા (શાણપણ) નો વિકાસ અમારા પ્રયત્નો થી થાય કે ફક્ત ગુરુકૃપાથી થાય?

શ્રી શ્રી રવિ શંકર: શાણપણ કુદરતી છે. તે વિશે કંઇ પણ કરવાની જરુર નથી. તમે માત્ર તે જ્યારે આવે ત્યારે ઓળખો અને બાજુએ ન મુકી દો. માત્ર તેટલુ જ કરવાની જરૂર છે. 'प्रत्याभिज्ञ हृदयम' એટલે એ હૃદય જેમાં અભિજ્ઞાન (પરખવાની સમજ અથવા વિવેક્બુધ્ધિ) છે.

પ્ર: ગુરુજી, જ્યારે પરિસ્થિતિ 'હું કરવા માંગુ છું' માંથી 'મારે તે કરવુ પડશે' માં બદલાય છે, ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિઓમાં શું કરવું?

શ્રી શ્રી રવિ શંકર: જો પ્રતિબદ્ધતા હોય તો પછી તે કામ પુરુ કરો. નહિંતર તમે કંઇપણ નહી કરી શકો, કારણ કે મન તમારો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર નથી. મન હમણા કંઈક કહે છે અને થોડા સમય બાદ કંઈક બીજું કહે છે. કટિબદ્ધ થઇ જાઓ અને કહો, 'મારે આ કાર્ય સંપૂર્ણ કરવાનું છે અને હું તે કરીશ જ', તો જીવન સાચી દિશામાં ચાલશે. બધો સમય મનનું કહ્યુ માનશો તો તમે ક્યાંય પહોંચી નહી શકો.

બે વર્ષ મેડિકલ કોલેજ માં ગાળ્યા પછી તમને થાય કે આ નથી ભણવુ તો કહો 'મારે આ અભ્યાસ પુરો કરવાનો જ છે.' નહિંતર એક વર્ષ મેડિકલ, એક વર્ષ એન્જિનિયરિંગ, એક વર્ષ કાયદાકીય અને પછીના વર્ષે તમે રસાયણશાસ્ત્ર ભણશો તો તમારું શું થશે? માત્ર મનનું સાંભળવાથી આમ થાય, માટે જીવનમાં પ્રતિબદ્ધતા જરૂરી છે.

જ્યારે તમે એડવાન્સ કોર્સ માટે આવો ત્યારે પહેલા દિવસે તમને ગમે છે પરંતુ બીજા દિવસે વિચારો આવવા લાગે, 'અરે ભગવાન! આ કંટાળાજનક છે, આ શુ ખાલી અને ખોખલું. કોને જાણવાની પડી છે કે શું ખાલી છે અને શુ ખાલી નથી. હું આ ધ્યાન નો ત્રાસ શા માટે ભોગવું?' તમારે બહાર નીકળીને મજા કરવી છે. ના! તમે પ્રતિબદ્ધ થયેલ છો, તે પૂર્ણ કરો.

હવે જો તમારા નિર્ણયનુ પાલન કરવું ખરેખર અશક્ય બની જાય તો તમારા ૧00% આપ્યા પછી એમાથી બહાર નીકળો. જો તમને લાગે કે તમે અજ્ઞાનતામાં લીધેલા નિર્ણય પ્રત્યે પ્રતિબદ્ધ છો અને તેના પાલનમાં તમારો વિકાસ નથી અને જીવન નરક જેવું દરરોજ બની રહ્યું છે, તો હું કહીશ, ઠીક તો તમે તમારા ૧00% આપ્યા, હવે આગળ વધો. તમે આ પ્રતિબદ્ધતાનો વિચાર દૂર કરી અને નવા વિચાર પ્રત્યે  પ્રતિબદ્ધ થાઓ.

પ્ર: ગુરુજી, તમે કહો છો કે વિરોધી વસ્તુઓ એકબીજાની પૂરક હોય છે. પછી અમે સારા સમયમાં ખુશ કેવી રીતે રહીએ જ્યારે આપણે જાણીએ છીએ કે સારા પછી ખરાબ વખત આવશે?

શ્રી શ્રી રવિ શંકર:  હિન્દી માં એક સુંદર દુહો છે: दुख में सुमिरन सब करे सुख में करे ना कोए;
सुख में जो सुमिरन करे दुख काहे को होए|

દુઃખમાં દરેક વ્યક્તિ પ્રાર્થના કરે છે. જ્યારે ક્યાંય જઇ ન શકાય અને જ્યારે બધા દરવાજા બંધ થઇ જાય ત્યારે દરેક પ્રાર્થના કરે છે. પરંતુ સુખમાં પ્રાર્થના કરે તો, તેમના પર દુઃખ શા માટે આવે?

યોગ નો હેતુ દુઃખ ટાળવાનો છે. 'हेयम दुःखम अनागतम' યોગ સૂત્ર માં મહર્ષિ પતંજલિ કહે છે કે યોગ નો હેતુ તમારા પર દુઃખ ન પડે તે છે. યોગ માત્ર આસન નથી પરંતુ ધ્યાન પણ છે. તેથી જ્યારે તમે ખુશ અને આભારી હો ત્યારે સેવા કરો. અને જ્યારે તમે દુઃખી હો ત્યારે સમર્પણ કરો, અને ઇશ્વર પર છોડી દો. પરંતુ થાય છે શું, જ્યારે તમે અસ્વસ્થ હો ત્યારે ઇશ્વર પર છોડવાનું મુશ્કેલ થઇ જાય છે અને જ્યારે તમે ખુશ હો ત્યારે સેવા કરવા નથી માંગતા. આ કારણ થી તમે દુઃખી બની જાઓ છો. દુઃખી વ્યક્તિ માટે શરણાગતિ કરવાની હિંમત હોય તે ખૂબ મહત્વનું છે. ક્યારેક લોકો જાણે તેમના દુ:ખ માણતા હોય છે કારણ કે તેઓ તેને છોડવા તૈયાર નથી.

તેથી દુઃખ માં ત્યાગ અને સુખ માં સેવા. જ્યારે તમે ખુશ હો, ત્યારે ખુશી અને આનંદ માં ખોવાઇ ન જાવ. બહાર આવો અને કોઇક સેવા કરો અને તે સમય એ જ પ્રાર્થના છે.

પ્ર: ગુરુજી, હું લગભગ એક વર્ષ થી નિયમિત ક્રિયા કરું છું; મારા પાછલા કર્મો ના કેટલા ટકા મેં ચુકાવ્યા છે?

શ્રી શ્રી રવિ શંકર: હું જવાબ આપીશ, પહેલા કહો તમારા માથા પર કેટલા વાળ છે! જ્યાં સુધી માથામાં વાળ છે અને તમારી પાસે કાંસકો છે, કામ થઇ ગયુ. આ વાળ ની ગણતરી અને કાંસકામાં કેટલા દાંતિયા છે તે જાણીને શું કરશો? કર્મ અતિગહન છે. કોઇ જાણતુ નથી કેટલા કર્મ છે અને રોજિંદા કેટલા નવા કર્મો ઉમેરાતા રહે છે. કર્મ ઘણી જાતના હોય છે - વ્યક્તિગત કર્મ, કૌટૂંબિક કર્મ, સામૂહિક કર્મ વગેરે.

આજકાલ ડોકટરો કહે છે કે બિમારીનો કૌટૂંબિક ઇતિહાસ છે, પ્રાચીન તબીબી ભાષામાં તેઓ તેને કૌટૂંબિક કર્મ કહેતા હતા. આ વિવિધ પ્રકારના કર્મ ને દરરોજ સાધના કરીને દૂર કરાય. ખરાબ કર્મો જાય અને સારા કર્મો વધે છે. જ્યારે તમે સારા કર્મો કરો છો, ત્યારે તેનો એક ભાગ આસપાસના લોકો માટે જાય છે. તમારા પરિવાર, મિત્રો અને દરેકને એક ભાગ મળશે. કર્મ ના ક્ષેત્રમા જવું એકદમ આકર્ષક છે કારણ કે તે ગહન છે. તેના ઊંડાણ નો કોઈ અંત નથી. તે તો વિશાળ સમુદ્ર ની ઊંડાઈ માપવાના પ્રયાસ કરવા જેવુ  છે. પરંતુ, જ્યારે સમુદ્ર પાર કરવા સમુદ્રમાં ની ઊંડાઈ જાણવાની જરૂર નથી. ઊંડાણ માપવાનો શું અર્થ છે? આમ પણ તમે હોડીમાં જઈ રહ્યા છો. જ્ઞાન અને નિષ્ઠા ના જહાજ માં બેસી તમે કર્મ નો સાગર પાર કરી રહ્યા છો. કેટલુ ઊંડુ તે જાણવાની જરૂર નથી. આમ પણ તમે તરીને કે પાણી પર ચાલી ને જવાના નથી.

પ્ર: ગુરુજી, વિશ્વમાં બધા સમુદાયો માં સપ્તાહના સાત દિવસ અને સમગ્ર વર્ષ ના બાર મહિના છે, એવું કેમ?

શ્રી શ્રી રવિ શંકર: ભારતમાં વૈદિક સમયમા એ શરૂઆત થઇ હતી. 'શૂન્ય', 'સાત દિવસ' અને 'બાર મહિના' ભારતે દુનિયાને આપ્યા છે. પછી ઇજીપ્તે ભારતની નકલ કરી અને ત્યાંથી તે વિશ્વમાં બધે ફેલાયા. ભારતમાં સાત મુખ્ય ગ્રહો છે. આમ તો નવ ગ્રહો છે, પણ બે જે ચંદ્રની છાયામા છે તેનું અસ્તિત્વ નથી. દરેક ગ્રહને એક દિવસ આપવામાં આવ્યો હતો. છાયા ગ્રહો માટે તેમણે એક આખો દિવસ આપવાને બદલે દરરોજ દોઢ કલાક ફાળવ્યો, તેથી તે કોસ્મિક કૅલેન્ડર મા ખૂબ જ સારી રીતે ગોઠવાઇ ગયા. આ રીતે રાહુ કાલ અને કેતુકાલ આવ્યા. તેમણે સૂક્ષ્મતા અને વિશાળતા વચ્ચે જોડાણ કર્યું. અને તેઓએ જણાવ્યું કે પૃથ્વી બાર મહિનામાં સૂર્યની આસપાસ એક વર્તુળ પૂર્ણ કરે છે અને પછી તેને વિભાજિત કર્યો. આ લગભગ ત્રીસ થી ચાલીસ હજાર વર્ષ પહેલાં કર્યું હતું કદાચ તેનાથી પણ વધારે સમય હોઈ શકે છે. કોઇ જાણતુ નથી.

પ્ર: ગુરુજી, રામ ના ગુરુ વસિષ્ઠ હતા અને કૃષ્ણના ગુરુ સાંદીપની, તમારા ગુરુ કોણ છે?

શ્રી શ્રી રવિ શંકર: મારા પણ ગુરુ છે હજુ હયાત છે. તેમની ઉંમર ૧૧૩ કે ૧૧૪ વર્ષ છે. સાંદિપની અને તમામ ગુરૂ હજુ પણ ગુરુતત્વ માં સર્વવ્યાપી છે. આદિ શંકરાચાર્ય પણ ગુરૂઓના વંશવેલામાં છે.

મારા બાળપણમાં અને યુવાવસ્થામાં મેં ઘણા મહાન સંતો નો સત્સંગ કર્યો. મહર્ષિ મહેશ યોગી, શંકરાચાર્ય, કેટલાક ખૂબ વિદ્વાન અને વિખ્યાત સંતો, સ્વામી શરણ આનંદજી; મારું બાળપણ બધા વયસ્ક સંતોના સાન્નિધ્યમાં વિત્યું હતુ.

પ્ર: ડિયર ગુરુજી, હું બધો વખત સાધના, સેવા, અને સત્સંગ કરુ છુ. દરરોજ સવારે હું મારી જાતને વચન આપુ છું કે હું તમારી પાછળ નહીં દોડુ, પણ તે ભૂલીને તમને જોતાજ તમારી પાછળ દોડવા લાગુ છુ, ગુરુજી જો હું આ એક વચન ન રાખી શકુ તે ઠીક છે?


શ્રી શ્રી રવિ શંકર: તમે મારી પાછળ દોડો પરંતુ યાદ રાખજો કે તમે મને ક્યારેય પકડી નહી શકો!!