Thursday, 8 December 2011

અવલોકન શાણપણ લાવે છે અને અવલોકન માટે સંવેદનશીલતા જરૂરી છે


૮ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: 'આસક્તિ'' નો અર્થ રસ, રુચિ, અથવા હેતુ છે, જ્યારે 'નિરાસક્તિ'' એટલે રસનો અભાવ અથવા અરુચિ.. કોઇ કાર્ય માં રસ અથવા રુચિ ન હોય તો તે કેવી રીતે કરી શકાય?

શ્રી શ્રી રવિ શંકર: હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે સવારે સ્નાન કરો ત્યારે ઘણા રસ સાથે કરો છો? શું તમે ઘણા રસ સાથે તમારા દાંતે બ્રશ કરો છો? ના, કારણ કે આ કામ તમારે કરવાનાજ છે, એટલે તે કુદરતી અને સહજતાથી કરો છો. કંઈપણ કુદરતી કાર્યમાં સહજતા હોય છે. જ્યારે તમે કુદરતી રીતે હસો તો સહેલુ છે, પરંતુ જો તમને મોટું સ્મિત કરવાનું કહેવામાં આવે તો તે મુશ્કેલ કાર્ય બની જાય છે. જે કાર્ય માં પ્રયત્ન કરવાની જરૂર પડે તે આસક્તિ છે, જ્યારે કુદરતી રીતે કરેલ કાર્ય અને જેનાથી તમને આંતરિક શાંતિ થાય છે તે નિરાસક્તિ છે. ઉદાહરણ તરીકે જો તમે અહીં બેઠેલી સ્ત્રીઓને ખાવાનું તૈયાર કરવા માટે કહો, તો તેઓ એકદમ સહજતાથી બનાવશે. જો તે જ કાર્ય પુરુષો ને સોંપશુ, તો તે પાકશાસ્ત્ર ના પાનાંઓ ઉથલાવ્યા કરશે અને મસાલા બરાબર પડ્યા કે નહી તે જોવા ચાખ્યા કરશે.

તેથી ત્યાં પ્રયત્ન લાગુ પડે છે, તે કામ 'આસક્તિ' સાથે થાય છે, અને ઉદ્વેગ પરિણામે છે. તમે ઉદ્વેગથી મૈસુર જશો તો તે આસક્તિ છે; જ્યારે સહજતાથી તમારી કાર મૈસુર જવા માટે ચલાવશો તો તે નિરાસક્તિ છે. નિરાસક્તિ નો અર્થ અરુચિ કે ઉદાસીનતા નથી.

પ્ર: સંજય કૃષ્ણ ભગવાન ને અર્જુન પહેલાં મળ્યા હતા તો કૃપા કરીને અમને તેમના દિવ્યદર્શન વિશે કહો.

શ્રી શ્રી રવિ શંકર: તમને ક્યારેક અનુભવ થયો હશે કે અંતરાત્મા નો અવાજ તમને કહે કે હું આ કરું અથવા આવું થવુ જોઈએ. જ્યારે તમારી આંતરિક ક્ષમતા વધી જાય તો અચાનક એક સમયે તમારા અંતર ચક્ષુ એટલા બધા સંવેદનશીલ થઇ જાય કે ભવિષ્યમા શું થશે તે તમને ખબર પડી જાય.

શરૂઆતમાં માત્ર ઝલક તરીકે આવશે. દરેક પાસે આ ક્ષમતા હોય છે. દરેકને ક્યારેક તો પાંચ જ્ઞાનેન્દ્રીયો અથવા બુદ્ધિ ના ઉપયોગ વિના ભવિષ્યની ઝલક દેખાતી હોય છે. આ છે છઠ્ઠી ઇન્દ્રિય શક્તિ. સંજય તે તેનું વરદાન હતું. તેમણે લાંબા સમય માટે ધ્યાન ધર્યું હતુ અને ધ્યાનની અવસ્થામાં દિવ્યદ્ર્ષ્ટિ વડે તેમણે યુદ્ધ ક્ષેત્રમાં જે બની રહ્યું હતું તે જોયું અને તેનું વર્ણન ધૃતરાષ્ટ્ર માટે કર્યું.

આજ કાલ તમને અમેરિકામાં મનઃશક્તિથી ભવિષ્ય ભાખનારા મળશે, પરંતુ તેમના વર્ણન સંપૂર્ણપણે સાચા નથી. તે અંશતઃ યોગ્ય હોય છે કારણ કે તે ખરેખર પ્રસંગ સાથે જોડાયેલા નથી અને તેમનુ પોતાનુ મન વચમા આવે છે. તેથી સ્પષ્ટ અંતર્જ્ઞાન મેળવવા તમારે ખરેખર સંપૂર્ણપણે પોલા અને ખાલી અને થવું પડે, કોઇપણ રાગદ્વેષ થી મુક્ત થવું પડે.

પ્ર: 'શિવ લિંગ' નો અર્થ શું છે?

શ્રી શ્રી રવિ શંકર: 'લિંગ' નો અર્થ પ્રતિક અથવા ચિન્હ થાય છે. તમે જન્મેલું બાળક પુરુષ છે કે સ્ત્રી તે તેના પ્રજનન અંગ દ્વારા ઓળખો છો. તેથી પ્રજનન અંગ પણ લિંગ તરીકે ઓળખાય છે. 'લિંગ' બ્રહ્માંડ અને તેના સર્જક એક જ છે તેનુ પ્રતિક છે. આ વિશ્વ શિવ અને શક્તિ બે સિદ્ધાંતો નુ બનેલુ છે. વ્યક્ત અને અવ્યક્ત બન્ને એકસાથે એકરૂપ છે તે 'શિવ લિંગ' દ્વારા દર્શાવાય છે. શિવ લિંગ માત્ર 'શિવ' સિધ્ધાંત નુ નહી પણ પૂર્ણ બ્રહ્મન્ડ નુ પ્રતિક છે.

પ્ર: ઝંખના અને લાલસા વચ્ચે શું તફાવત છે? હું કેવી રીતે જાણું કે મને ઝંખના છે કે તૃષ્ણા છે?

શ્રી શ્રી રવિ શંકર: લાલસા ટૂંક સમય માટે અને નાની-નાની વસ્તુઓ માટે છે, પરંતુ ઝંખના મોટી અને કાયમી વસ્તુઓ માટે છે. તમને ખાંડ, સફળતા, અથવા સંભોગ માટે લાલસા હોઇ શકે, પરંતુ ઝંખના પ્રેમ સાથે સંકળાયેલ છે. જ્યારે ઝંખના થાય છે ત્યારે તમારા હૃદયમાં કંઈક લાગે છે.

પ્ર: અંધશ્રદ્ધા નો અર્થ અને મહત્વ શું છે; અને જીવન વ્યવહાર માં એને કેટલુ મહત્વ આપવું?

શ્રી શ્રી રવિ શંકર: અંધશ્રદ્ધા એવુ કહેવાની સાથે તે સમાપ્ત થાય છે. એથી વધુ વિશ્લેષણ કરવાની જરૂર નથી. તમે કચરાની ટોપલી નું વિશ્લેષણ નથી કરતા, પણ જે કચરો દેખાય તે કચરા ટોપલી માં નાખી દો છો. એથી વધુ શું કહુ?

પ્ર: ગુરુજી, જ્યારે હું શંકા અથવા મૂંઝવણ માં હોઉ અને એનુ નિરાકરણ કરવા માટે કોઇ આજુબાજુ માં ન હોય તો હું શું કરુ?

શ્રી શ્રી રવિ શંકર: ચીનમાં એક કહેવત છે: જ્યારે તમે મૂંઝવણ માં હો ત્યારે ઓશીકું લઈને ઊંઘી જાઓ. બધું પોતાની જાતે ઠીક થઇ જશે. પ્રાણશક્તિ ઓછી હોવાના કારણે શંકા થાય છે; પ્રાણશક્તિ વધારો - ભ્રસ્ત્રિકા કરો, તમારા ખોરાક અને કસરત કરવા તરફ ધ્યાન આપો. વ્યાયામથી પરિભ્રમણ વધે છે અને પછી શંકા અદૃશ્ય થઈ જાય.

પ્ર: ભગવાન અને એક બ્રહ્મજ્ઞાની ગુરુ વચ્ચે શું તફાવત છે?

શ્રી શ્રી રવિ શંકર: જો તમે કહો કે ઈશ્વર પ્રેમ છે, તો આપણે બધા પ્રેમ ના બનેલા છીએ. જો ઈશ્વર કળા છે, તો બધામા કળા છે, કાંઇ નહી તો નકલ તો જરૂર કરી શકીએ. ભગવાન સત્ચિદાનંદ છે, જે સત્ય, અસ્તિત્વ, અને ચેતના છે. તમે ચેતના છો અને તમારુ અસ્તિત્વ છે. જ્યાં સ્વ હોય, ત્યાં ભગવાન છે. આત્મા નથી, તો પરમાત્મા નથી. ઈશ્વર ચેતના શક્તિ છે જે બધે વ્યાપિત છે. ભગવાન આકાશ (અવકાશ) છે અને તમે તે અવકાશના એક ભાગ છો.

પ્રાચીન ઉપનિષદો માં એક વાર્તા છે: એક બાળક તેના પિતાને પૂછે છે કે ભગવાન ક્યાં છે. પિતા બાળકને ઘર બહાર લાવે છે અને કહે છે, 'જો! આ ઘર બાંધવામાં આવ્યું હતું તે પહેલાં અહીં શું હતુ?' બાળકે કહ્યું 'કંઈ નહી, ખાલી જગ્યા.' 'આજે ઘર ક્યાં ઉભુ છે?' તેણે કહ્યું, 'ખાલી જગ્યા મા.' 'આવતી કાલે જો ઘરનો નાશ થશે તો શું રહેશે?' તેણે કહ્યું, 'ખાલી જગ્યા' પછી પિતાએ કહ્યું,' તે ભગવાન છે!'

અવકાશ જ ભગવાન છે. તે જેમાં બધું આજે સમાયેલુ છે; જેમાંથી બધું આવેલુ છે અને જેમાં બધું વિસર્જન થશે, તે જ ઈશ્વર છે. તે જ દરેકના અસ્તિત્વનું કેન્દ્ર છે. ઈશ્વર પ્રત્યેકમાં છે, પરંતુ જ્યારે તમે કેન્દ્રિત બનો અથવા જ્યારે તમે આત્મજ્ઞાની બનો, ત્યારે એનો સાક્ષાત્કાર થાય છે. આકાશ બધે છે, પરંતુ બારી મારફતે જ તમે આકાશ ને જોઇ શકો છો, દિવાલ મારફતે નહી.

પ્ર: ગુરુજી, આજે દત્ત જયંતિ છે. અમને ભગવાન દત્તાત્રેય વિશે કૃપા કરી કંઈક કહો!

શ્રી શ્રી રવિ શંકર: આજે હનુમાન જયંતિ પણ છે અને આજે પિતાજી નો (ગુરુજીના પિતા) જન્મદિવસ

પણ છે. આ પહેલું વર્ષ છે તે શારીરિક રીતે અહીં નથી, પરંતુ તેમનો આત્મા અહીં જ છે. જન્મદિવસો હોય છે ઉજવણી માટે અને તેમના સારા ગુણો યાદ કરવા માટે.

દત્તાત્રેય સૃષ્ટિ માં બધા પાસેથી શીખે છે. અત્રિ ઋષિ ને કોઈ બાળકો ન હતા, તેમણે દત્ત ને દત્તક લીધો હતો. દત્ત નો અર્થ આપવામાં આવેલ, લેવામાં આવેલ અથવા અપનાવેલ હોય. તેથી જ્યારે એક બાળકને દત્તક લે છે ત્યારે કહે છે, 'દત્ત સ્વિકાર'. અત્રિ અને અનસુયાએ બાળક દત્તાત્રેય ને અપનાવ્યા જેમની પાસે બ્રહ્મા શક્તિ, વિષ્ણુ શક્તિ અને શિવ શક્તિ હતી. ઘણામાં સર્જનાત્મકતા છે પરંતુ તેઓ તેને જાળવી શકતા નથી. ઘણા લોકો કામની ખૂબ જ સારી શરૂઆત કરતા હોય છે, પરંતુ તેઓ તેને ચાલુ રાખી શકતા નથી. આ સર્જનાત્મકતા બ્રહ્મા શક્તિ છે. જો તમારામાં બ્રહ્મા શક્તિ હોય, તો તમે વસ્તુઓ બનાવી શકો છો, પરંતુ તેને કાયમ કેવી રીતે જાળવવી તે જાણતા નથી. વિષ્ણુ શક્તિ જાળવી રાખવા માટે છે. ઘણા લોકો સારા મેનેજરો છે. તેઓ નવું બનાવતા નથી, પરંતુ જો કંઈક બનાવીને તેમને આપવામાં આવે, તો તેઓ તેને ઉત્તમ રીતે જાળવી શકે છે. તેથી વિષ્ણુ શક્તિની પણ જરૂરિયાત હોય છે; બનાવેલી વસ્તુ જાળવી રાખવા માટે. અને પછી છે - શિવ શક્તિ - જે રૂપાંતર અથવા નવીનતા લાવવા માટે છે. ઘણા માત્ર સારી જાળવણી કરી શકે પરંતુ જ્યારે ફેરફાર જરૂરી હોય ત્યારે તેઓ જાણતા નથી કે કેવી રીતે રૂપાંતર લાવવું; તેને અન્ય સ્તર પર કેવી રીતે લઇ જવું. તેથી શિવ શક્તિ પણ ખૂબ જરૂરી છે! જ્યારે ત્રણે શક્તિ ભેગી થાય તો તે ગુરુ શક્તિ છે! એક ગુરુ અથવા માર્ગદર્શક માટે ત્રણેય શક્તિનું જ્ઞાન જરૂરી છે.

દત્તાત્રેય મા ત્રણે શક્તિ હતી તેથી તે ગુરુ શક્તિ ના પ્રતીક છે. માર્ગદર્શન, રચના, વ્યવસ્થા, અને પરિવર્તન બધી શક્તિઓ એક સાથે! દત્તાત્રેય બધા પાસેથી શીખે છે. તેમણે સમગ્ર સૃષ્ટિ નું અવલોકન કર્યું અને દરેક વસ્તુઓમાં થી કશોક પાઠ શીખ્યા.

શ્રીમદ ભાગવદ મા કહ્યું છે: કેટલું રસપ્રદ છે કે તેમણે રાજહંસ જોયો અને હંસ પાસેથી કંઈક શીખ્યા; કાગડા માંથી, વૃક્ષો પાસેથી અને એક વૃદ્ધ સ્ત્રી પાસેથી પણ કંઈક શીખ્યા. તેમના માટે જ્ઞાન તમામ દિશાઓમાં થી વહેતુ હતુ. તેમનું મન હૃદય ખુલ્લુ હતુ - જ્ઞાન પ્રાપ્ત કરવા અને તેને જીવન માં ઊતારવા માટે.

અવલોકન થી શાણપણ વધે છે અને અવલોકન માટે સંવેદનશીલતા જરૂરી છે. જો તમે તમારા પોતાના વિશ્વમાં મગ્ન રહેશો, તો તમે આસપાસ થી આવતા સંદેશાઓ પ્રત્યે સંવેદનહીન બની જશો.

જ્યારે લોકો તેમના પોતાના વિશ્વ માં મશગૂલ રહે છે ત્યારે તેઓ અન્ય વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ જોઈ શકતા નથી. અને આવા લોકો એવું પણ માને છે તેમનો દ્રષ્ટિકોણ જ સાચો છે, જ્યારે તમને ખબર છે કે તેમનો દ્રષ્ટિકોણ ખોટો છે.

મુલ્લા નસરૂદ્દિન ની એક વાર્તા છે. મુલ્લા ને લાગ્યું કે તે મૃત્યુ પામ્યા છે, અને એ વિચાર એમના મનમા દ્રઢ થઇ ગયો. તેમની પત્નીએ તેમને કંઈક કહ્યું તો તેઓ કહે, 'એક મૃત વ્યક્તિ જવાબ કેવી રીતે આપિ શકે?' જો તેણી તેમને કોઇ કામ કરવાનું કહે, તો બોલે, 'એક મૃત વ્યક્તિ કંઇ પણ કેવી રીતે કરી શકે?' છેવટે તેમની પત્ની કંટાળીને તેમને મનોચિકિત્સક પાસે લઇ ગઇ. ઘણી ચર્ચા ને અંતે મનોચિકિત્સકે મુલ્લાને પૂછ્યું 'હવે કહો, મૃત શરીરમાં લોહી હોય?', મુલ્લાએ કહ્યું, 'ના, લોહી પાણી બની જાય.' મનોચિકિત્સકના ચહેરા પર ચમક આવી અને તેમણે એક પીન લઇ મુલ્લાના હાથ માં ખોસી અને લોહી બહાર નીકળ્યું. 'જુઓ મુલ્લા, તમારામા લોહી છે, જેથી તમે જીવંત છે!' મુલ્લાએ પોતાનો રક્તરંજિત હાથ જોયો અને બોલ્યા, 'તમને લાગે છે કે તમે મને આસાનીથી મૂરખ બનાવશો? આજે મેં જાણ્યું કે મૃત લોકોમાં પણ લોહી હોય છે!'

લોકો સાથે બરાબર આવું જ બને છે. તેઓને તેમની ધારણાઓ પર પૂર્ણ ખાતરી છે. તેઓ પોતાની નાનકડી દુનિયામાં રહે છે અને વિચારે છે કે તે જ સાચું વિશ્વ છે. તમારે તે વિશ્વથી આગળ જવાનું છે.

પ્ર: સ્વાર્થ અને નિઃસ્વાર્થ વચ્ચે ના સાચા સંતુલન નો નિર્ણય કોણ નક્કી કરે?

શ્રી શ્રી રવિ શંકર: તેનો આધાર તમારા પર છે. તમારે એ જોવાનું છે કે શું જરૂરી છે. તમારુ પહેરેલુ શર્ટ ઉતારીને તેનું દાન ન થાય પરંતુ ધારો કે તમે બે ઈડલી ખાઓ છો અને પાસે બેઠેલ વ્યક્તિ ભૂખી હોય, તો તમે એક ઈડલી તેમને આપી દેશો. ખરુ કે નહિં? કારણ કે તે તમારી પ્રકૃતિ છે. જ્યારે તમારા વિચાર વિસ્તૃત થાય અને તમારું ધ્યાન ઊંડુ જાય ત્યારે તમારી વહેંચવાની ક્ષમતા વધી જાય છે.

ધારો કે તમારા ખિસ્સામાં ૫૦૦ રૂપિયા હોય તો તમે તે કોઇ જરુરતમંદ ને આપશો? તમે જરૂર આપશો કારણ કે તમે જાણો છો તમારી પાસે વધુ પૈસા છે અથવા તે મેળવવાની ક્ષમતા છે. પરંતુ જો તમને તે પૈસાની બસ કે ટ્રેન ના ભાડા માટે જરૂર હશે તો પછી પ્રથમ તમે પોતાની કાળજી લેશો, અને તે કશું ખોટું નથી. આને 'આપદ ધર્મ' કહે છે. પ્લેનમા ઉડતા પહેલા તેઓ કહે છે, 'પ્રથમ પોતાના પર ઓક્સિજન માસ્ક મૂકો અને પછી તમે બાજુના બાળક ને પહેરાવો.' કારણકે જો તમે ત્યાં ન હો તો બાળક તમારી પર માસ્ક નથી મૂકી શકવાનો. એક સંન્યાસી અથવા મુક્ત યોગીને આ વાત લાગુ નથી પડતી, પરંતુ જો તમારા પર પરિવારની જવાબદારી હોય તો પછી તમારે આપદ ધર્મ નું પાલન કરવું જોઇએ.